આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી કાયમ બકરીનું દુધ પીતા હતા. આયુર્વેદમાં પણ બકરીના દુધના અનેક ગુણો વિશે ઉલ્લેખ છે. બકરીના દુધમાં પેટ અને આંતરડા માટે અત્યંત હેલ્ધી એવા પ્રિબાયોટીક તત્વો ભરપુર માત્રામાં હોય છે. ખાસ કરીને નાના બાળકોને બકરીનું દુધ આંતરડાના ઇન્ફેકશનથી બચાવે છે.
બ્રિટીશ જર્નલ ઓફ ન્યુટ્રીશનમાં પ્રસિધ્ધ એક સંશોધન મુજબ બકરીના દુધમાં 14 જેટલા ખાસ પ્રકારના પ્રિબાયોટીક હોય છે. જે એક પ્રકારના કાર્બોહાઇડ્રેટસ છે. શરીરના કોષોની રચનામાં પણ તેની મહત્વની ભુમિકા છે. જેમાંના 5 તો માતાના દુધમાં હોય તેવા છે. સંશોધકોના જણાવ્યા મુજબ બકરીના દુધ પર માતામાં દુધ સાથે સરખામણી કરીને પ્રથમ વખત આટલું રિસર્ચ થયું છે. તેમાં રહેલા પ્રિબાયોટિકસ આંતરડામાં હેલ્ધી બેકટેરિયા વધારે છે.
બાળકો માટે બકરીનું દુધ અથવા તેમાંથી તૈયાર કરાયેલું ફુડ સપ્લિમેન્ટ ખુબ જ ફાયદાકારક છે. હેલ્ધી બેકટેરિયા માત્ર સારા પાચનતંત્ર માટે જ નહીં પરંતુ હાનિકારક બેકટેરિયાને દુર કરીને રોગપ્રતિકારક શકિત વધારવા માટે પણ જરુરી છે. કેટલાક સંજોગોમાં માતા બાળકને પોતાનું દુધ પીવડાવી ન શકે ત્યારે તેને ગાય કે ભેંસનું દુધ પીવડાવવું પડે છે.
નવા સંશોધન મુજબ બકરીનું દુધ આવા બાળકો માટે શ્રેષ્ઠ છે. ગાયનું દુધ પણ આરોગ્ય માટે ઉત્તમ મનાય છે. જોકે બકરીના દુધમાં માતાના દુધ સાથે ઘણું સામ્ય છે. સંશોધકોના મતે બકરીના દુધ દરેક બાળક માટે ઉપલબ્ધ ન થઇ શકે તે સંજોગોમાં તેમાં રહેલા માતાના દુધ જેવા તત્વોમાંથી બેબી ફુડસ બનાવવા જોઇએ.