રિપબ્લિક ટીવીના એડિટર અર્ણબ ગોસ્વામીની મુશ્કેલીમાં વધારો ત્યારે થયો છે જ્યારે હવે તેમની વૉટ્સઍપ ચૅટ વાયરલ થઈ રહી છે. આ ચૅટથી એટલે ખળભળાટ મચી ગયો છે કારણ કે 500થી વધુ પાનાની ચેટ BARCના પૂર્વ ચીફ પાર્થોદાસ ગુપ્તા સાથેની છે. ઉલ્લેખનીય છે કે TRP કૌભાંડમાં મુંબઈ પોલીસે પાર્થોદાસની ધરપકડ કરી હતી જેના પગલે આ કેસની ચાર્જશીટમાં આ ચૅટને પણ અટેચ કરવામાં આવી છે. આ ચૅટમાં અર્ણબ ગોસ્વામી કેન્દ્ર સરકારમાં પોતાની કેટલી પહોંચ છે અને કેવી રીતે પાર્થોદાસની મદદ કરી શકે તેના દાવાઓ જોવા મળી રહ્યાં છે.
TRP કૌભાંડમાં પત્રકાર અર્ણબ ગોસ્વામીની ચેટ થઈ વાયરલ
ચેટ પરથી ઉઠી રહ્યા છે ગંભીર સવાલ
કેન્દ્ર સરકારના મોટા મંત્રી સાથે સાંઠગાંઠ હોવાની કબૂલાત
લોકોની ચેટ વાયરલ કરનારની જ ચેટ સામે આવી
દેશની વિવિધ હસ્તીઓની વાયરલ ચેટ પર સૌથી વધારે હંગામો કરનાર પત્રકાર અર્ણબ ગોસ્વામીની પોતાની જ ચેટ હવે વાયરલ થઈ રહી છે. BARCના પૂર્વ ચીફ પાર્થો દાસગુપ્તા અને ગોસ્વામી વચ્ચે થયેલ વાતચીત હવે ઈન્ટરનેટમાં ખૂબ છવાઈ રહી છે. હાલમાં જ મુંબઈમાં TRP કૌભાંડ કેસમાં ખૂબ હોબાળો મચ્યો છે જેમાં મુંબઈ પોલીસ દ્વારા 3600 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે ત્યારે ગોસ્વામીની 500થી વધુ પેજની ચેટ પણ આ ચાર્જશીટમાં સામેલ છે જે સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
સરકારમાં ઉપર સુધી પકડ હોવાનો દાવો
વાયરલ ચેટમાં દેખાઈ રહ્યું છે કે ગોસ્વામી કઈ રીતે કેન્દ્રમાં અને ખાસ કરીને I&B મંત્રાલયમાં પોતાની પકડ હોવાનો રૌફ બતાવે છે. વારંવાર ગોસ્વામી કેન્દ્ર સરકારમાં મોટા નેતાઓ સાથે પોતાની પહોંચ હોવાનો દાવો કરતાં દેખાઈ રહયા છે.
સરકારમાંથી મદદની શરતે BARCના પૂર્વ ચીફે ગોસ્વામીને ગુપ્ત માહિતી શૅર કરી હોવાનું ચૅટમાં દાવો
ચેટમાં જોઈ શકાય છે કે કઈ રીતે રિપબ્લિક ટીવીની રેટિંગ્સ વધારવા માટે ગોસ્વામી અને દાસગુપ્તા ખેલ ખેલી રહયા છે. દાસગુપ્તાએ કેન્દ્ર સરકારમાં ટૉચ લેવલથી મદદની શરતે ગોસ્વામી સાથે ઘણી બધી માહિતીઓ પણ શેર કરી રહ્યા છે જે ગુપ્ત છે. ચેટમાં દાસગુપ્તા એમ પણ કહેતા દેખાઈ રહ્યા છે કે તેમણે સરકારને આ પહેલા ઘણીવાર મદદ કરી છે.
ચૅટમાં નવા I&B મિનિસ્ટરથી ગોસ્વામી અને પાર્થોદાસ નારાજ દેખાયા
ચેટમાં ગોસ્વામી એવું કહેતા દેખાઈ રહ્યા છે કે સરકારમાં જે કઈ પણ ફેરફાર થયા હતા તે તેમને પહેલેથી જ ખબર હતી. ગોસ્વામી અને દાસગુપ્તા નવા મંત્રી પ્રકાશ જાવડેકરથી નાખુશ દેખાઈ રહ્યા છે. બીજી બાજુ અર્ણબ રજત શર્માની એમ કહીને મજાક ઉડાવી રહ્યા છે કે રજતને ઉપર સુધી પહોંચ બનાવવી છે પરંતુ તેનાથી કંઈ થઈ નથી રહ્યું.
પાર્થો દાસગુપ્તાએ BARCનો એક ખાનગી પત્ર અર્ણબને મોકલ્યો
25 માર્ચ 2019ના રોજ BARCના પાર્થો દાસગુપ્તાએ BARCનો એક ખાનગી પત્ર અર્ણબને મોકલ્યો હતો. પાર્થોએ કહ્યું હતું કે તે NBA એટલે કે ન્યુઝ બ્રોડકાસ્ટર એસોસિએશનને અટકાવવાની કોશિશ કરી રહ્યો છે. (ન્યુઝ બ્રોડકાસ્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ ઇન્ડિયા ટુડેના ચીફ એડિટર રજત શર્મા છે.) પાર્થોએ કહ્યું કે રજત શર્મા તેની પાછળ પડ્યા છે. પાર્થોએ અર્ણબને વિનંતી કરી કે તે કેન્દ્રમાંથી મદદ મેળવીને તેને રજતથી બચાવે.
આની સામે અર્ણબે દાવો કર્યો કે આ ક્ષેત્રમાં રજતની કોઈ ગજ વાગતી નથી. અર્ણબે એમ પણ કહ્યું કે તે આવતી કાલે દિલ્હી જઈ રહ્યો છે. પાર્થોએ વિનંતી કરી કે અર્ણબ દિલ્હીમાં કોઈ વ્યક્તિને રજત શર્મા, NBA અને TRAIને નિયંત્રણમાં રાખવા કહે.
વાંરવાર મોટા મંત્રીઓ સાથે સાંઠગાંઠની ચર્ચા
નોંધનીય છે કે આ ચેટમાં વારંવાર એક કેન્દ્ર સરકારના દિગ્ગજ નેતાનું નામ સામે આવી રહ્યું છે જેમાં ગોસ્વામી દાવો કરે છે તેની તે મોટા નેતા સાથે ઉઠક-બેઠક છે. પાર્થો દાસગુપ્તા ગોસ્વામીને કહેતા દેખાઈ રહ્યા છે કે શું તે PMOમાં મીડિયા એડવાઇઝર બનવામાં મદદ કરી શકે છે. જેમાં જવાબમાં અર્ણબ કહે છે તે તેની મોટા નેતા સાથે ઉઠવા બેસવાનું છે તો જોઈશ કે તેમાં તે શું કરી શકે છે.
અન્ય ચેટમાં ગોસ્વામી દાવો કરતાં દેખાઈ રહ્યા છે કે I&B મંત્રાલય રિપબ્લિક ટીવી માટે મળી રહેલ ફરિયાદો બાજુમાં મૂકી રહ્યું છે. આટલું જ નહીં ગોસ્વામીનો દાવો છે કે મંત્રી પણ આ ફરિયાદો વિશે પહેલેથી જાણ કરી દેતા હતા કે આવી ફરિયાદ આવી છે.
ટ્વિટર પર આ મુદ્દો ખૂબ ચગ્યો
આ વૉટ્સઍપ ચૅટ લીક થયા બાદ આ મુદ્દો ટ્વિટર પર ધડાધડ ટ્રેન્ડ થવા લાગ્યો છે. કેટલાંય યુઝર્સે વૉટ્સઍપ ચૅટના સ્ક્રીનશૉટ વાયરલ કરીને પોતાની પ્રતિક્રિયા તેમ જ આક્રોશ પણ વ્યક્ત કર્યો છે. અર્ણબ ગોસ્વામીની નેતાઓ સાથેની પહોંચને લઈને લોકો સવાલ કરી રહ્યાં છે. આવામાં જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે પણ આ મામલે ટ્વિટ કર્યુ હતું અને કહ્યું હતું આ ચૅટથી જોઈ શકાય છે કે આ લોકો કેવી રીતે પોતાના પદનો ઉપયોગ કરીને કેન્દ્રમાં 'દલાલી' કરી રહ્યાં છે. કોઈ પણ દેશમાં આ પ્રકારના કૃત્ય માટે તેઓ જેલમાં હોઈ શકે.