દિલ્હી અને ઉત્તર પ્રદેશની પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે ૨૬ જાન્યુઆરીના રોજ એક ટ્રેક્ટર પલટી જવાની ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના શરીર પર ગોળી લાગ્યાના ચિહ્નો ન હતા.
દિલ્હી પોલીસ અને યુપી પોલીસે આપ્યું નિવેદન
૨૬ જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર પરેડમાં એક યુવકનું મોત થયું હતું
દિલ્હી હાઇકોર્ટને આપેલા એક નિવેદનમાં બંને રાજ્યોની પોલીસ જણાવ્યું હતું કે ગણતંત્ર દિવસના રોજ થયેલી ટ્રેક્ટર પરેડમાં તે પલટી જવાની ઘટનામાં જીવ ગુમાવનાર ૨૫ વર્ષીય યુવાનની બોડી પર ક્યાંય પણ ગોળી લાગ્યાના નિશાન નહોતા. બંને રાજ્યોની પોલીસે ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લા હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમોર્ટમ અને એક્સરે રિપોર્ટના આધારે આ વાત કહી હતી.
ગોળી લાગવાના નિશાન નહોતા : પોલીસ
દિલ્હી પોલીસે તેના નિવેદનમાં કહ્યું હતું કે દુર્ઘટનામાં માથા પર ઇજા થવાથી યુવા ખેડૂતનું મોત નીપજ્યું હતું, મૃતકના દાદા હરદીપસિંહની અરજીના અન્વયે આ નિવેદન આપવામાં આવ્યું હતું, જો કે આ અરજીમાં મૃતકના દાદાએ કહ્યું હતું કે મૃતક યુવાનના માથા પર ગોળી વાગી હતી.
સીસીટીવી ફૂટેજના આધારે દિલ્હી પોલીસના વકીલોએ કરી દલીલો
આ મામલે હાઇકોર્ટ દ્વારા આગામી સુનાવણી ૪ માર્ચના રોજ નિર્ધારિત કરવામાં આવી છે, જો કે ઘટનમાં દિલ્હી પોલીસનો પક્ષ રજૂ કરી રહેલા વકીલોએ ઘટનાસ્થળ દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે કહ્યું હતું કે તે વ્યક્તિ ખૂબ જ ઝડપથી ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો, જે બેરીકેડ સાથે ટકરાઇ જવાથી પલટી ગયું હતું.
પોલીસકર્મીઓ દૂર ભાગી રહ્યા હતા : પોલીસ
આ પછી પોલીસ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે સીસીટીવિ ફૂટેજથી સાફ દેખાઈ રહ્યું છે કે પોલીસકર્મીઓ આ ટેક્ટરથી દૂર ભાગી રહ્યા હતા અને કોઈએ પણ તેની તરફ ગોળી ચલાવી ન હતી, ઊલટાનું વિરોધ કરનારાઓએ ઘાયલ યુવાનને નજીકની હોસ્પિટલમાં લઈ જવાના બદલે પાંચ કલાક સડક પર રાખ્યો હતો, અને એમ્બ્યુલન્સ પર હુમલો કરી દીધો હતો, અને પછી અફવા ફેલાવી દીધી હતી કે તે પોલીસ ગોળીબારમાં માર્યો ગયો.