ગણતંત્ર દિવસ પર આતંકી હુમલાના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જમ્મૂ કાશ્મીર પોલીસે જૈશ-એ-મોહમ્મદના 5 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ ગણતંત્ર દિવસ પર આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યા હતા.
આ આતંકીઓ ગણતંત્ર દિવસ પર આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યા હતા
શ્રીનગર પોલીસે જૈશ-એ-મોહમ્મદના આંતકી મોડ્યૂલનો ભાંડો ફોડ્યો છે
આતંકીઓએ કાશ્મીર યુનિવર્સિટી પાસે થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ હોવાની વાતનો સ્વીકાર કર્યો
જાણકારી મુજબ, શ્રીનગર પોલીસે જૈશ-એ-મોહમ્મદના આંતકી મોડ્યૂલનો ભાંડો ફોડ્યો છે. ધરપકડ કરવામાં આવેલા આતંકીઓ 26 જાન્યુઆરીએ ગ્રેનેડથી હુમલો કરવાની તૈયારીમાં હતા. જે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે તેમા એજાજ અહમદ શેખ, ઉમર હમીદ શેખ, ઇમ્તિયાજ અહમદ ચિકલા, સાહિલ ફારુક ગોજરી અને નસીર અહમદ મીર સામેલ છે.
જમ્મૂ કાશ્મીરના શ્રીનગરમાં સીઆરપીએફ પાર્ટી પર 8 જાન્યુઆરીએ આતંકી હુમલો થયો હતો. હજરતબલની પાસે હબક ક્રોસિંગ પર સીઆરપીએફની રોડ સુરક્ષા પાર્ટી પર શંકાસ્પદ આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં બે સામાન્ય નાગરિક ઘાયલ થઇ ગયા. તેના બાદ કેસ નોંધવામાં આવ્યા અને આ ઘટનાની તપાસ કરવામાં આવી.
તપાસ દરમિયાન સીસીટીવી ફુટેજ સહિત ઇલેક્ટ્રોનિક પુરાવા મેળવવામાં આવ્યા અને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું. સાથે જ ગુપ્તચર માહિતી પણ એકઠી કરવામાં આવી. તેના આધાર પર શંકાસ્પદ વ્યક્તિઓના ઠેકાણાઓ પર અને ઘરો પર દરોડા પાડવામાં આવ્યા અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકીઓની ધરપકડ કરવામાં આવી.
જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી તો તેઓએ પોતાની ભૂમિકા સ્વીકાર કરી. આતંકીઓએ 26 જાન્યુઆરી 2019એ કાશ્મીર યુનિવર્સિટીના સર સૈયદ ગેટ પર થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો.