કોરોના વાયરસની ગતિ મેના પ્રથમ અઠવાડિયામાં એપ્રિલની તુલનાએ વધી હોવાનું જાણવા મળી રહ્યું છે. 1 મેથી લઇને 5 મે દરમિયાન 13106 નવા મામલા સામે આવ્યા છે. આજે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે દેશમાં હાલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 46433 થઇ ચૂકી છે. જેમાં અત્યાર સુધીમાં 12727 લોકો સાજા થઇ ચૂક્યા છે અને એક્ટિવ કેસની સંખ્યા 32138 છે.
કોરોના વાયરસે સમગ્ર દેશમાં ભરડો લીધો
મે મહિનાના શરૂઆતના માત્ર 4 દિવસમાં 500 લોકોના મોત
અત્યાર સુધીમાં 1568 લોકોના મોત થઇ ચૂક્યા છે. ગત 24 કલાકમાં સમગ્ર દેશમાં 195 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયાં છે. અને નવા 3900 નવા મામલા સામે આવ્યા છે. આ સાથે મે મહિનાના પ્રથમ 4 દિવસની તુલનાએ જો આપણે એપ્રિલના પ્રથમ 4 દિવસની વાત કરીએ તો મે મહિનાની શરૂઆતના માત્ર 4 દિવસમાં જ 500 લોકોના મોત થયાં છે. આ સાથે જ આ તારીખો દરમિયાન 2200 જેટલા નવા મામલા સામે આવ્યા છે. ત્યારે આ આંકડા પરથી અંદાજ લગાવી શકાય કે કોરોનાની ઝડપ ગત એક મહિનામાં કેટલી વધી છે અને ગત 4 દિવસોમાં 500 લોકોના મોત થયાં છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોટાભાગના કેસો
રાજ્યોની વાત કરીએ તો ઉપલબ્ધ માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં 14541 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, 1567 નવા કેસો અને અહીં 35 લોકોનાં મોત થયાં છે. બીજા નંબર પર ગુજરાત છે જ્યાં અત્યાર સુધીમાં 5804 દર્દીઓ નોંધાયા છે જેમાં 24 કલાકમાં 376 નવા કેસ જોડાયા છે અને છેલ્લા 24 કલાકમાં 29 લોકોનાં મોત નીપજ્યાં છે.
ગુજરાતમાં ફસાયેલા લાખો પરપ્રાંતિયોની ધીરજ હવે ખુટી ગઈ છે. છેલ્લા દોઢ મહિનાથી કામ-ધંધો બંધ છે. ત્યારે હવે આ પરપ્રાંતિયોએ એકઠા થઈને વતન જવાની માંગ કરી રહ્યા છે.
અમદાવાદમાં પણ સુરત જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. વતન જવાની માગ સાથે શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કિડિયારૂ ઉભરાય તેમ રોડ માણસોથી ઉભરાઈ રહ્યા હતા. સોનીની ચાલી આગળ મોટી સંખ્યામાં શ્રમિકો ઉમટ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. પોલીસે સ્પીકર પર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.