દેશમાં દર વર્ષે 5 વર્ષ સુધીના એક લાખ બાળકો વાયુ પ્રદુષણને કારણે મૃત્યું પામે છે. આ ખુલાસો વિશ્વ પર્યાવરણ દિવસ પર જાહેર એક રિપોર્ટથી થયો છે. રિપોર્ટ મુજબ, વાયુ પ્રદુષણ રાષ્ટ્રીય ઇમરજન્સી બની ચૂક્યું છે. એ દેશમાં થતા 12.5 ટકા મૃત્યું માટે પણ જવાબદાર છે.
પર્યાવરણ થિંક ટેન્ક સીએસઇના સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ (SOE) રિપોર્ટ મુજબ, પ્રદુષિત હવાને કારણે ભારતમાં 10000 બાળકોમાંથી સરેરાશ 8.5 બાળકો પાંચ વર્ષની ઉંમર પહેલા જ પોતાનો જીવ ગુમાવી બેસે છે. આ ઉપરાંત છોકરીઓ માટે પણ વાયુ પ્રદુષણ ઘણું ખતરનાક સાબિત થઇ રહ્યું છે. 10000 છોકરીઓમાંથી 9.6 છોકરીઓ 5 વર્ષની થતા પહેલા જ જીવ ગુમાવી બેસે છે.
પાંચ વર્ષથી નાના બાળકોના મોત
સીએસઇ (સેન્ટર ફોર સાઇન્સ એન્વાયરમેન્ટ) ની રિપોર્ટ મુજબ, 'વાયુ પ્રદુષણ ભારતમાં થતા 12.5 ટકા મૃત્યું માટે જવાબદાર છે. બાળકો પર પડનારો તેનો પ્રભાવ એટલો જ ચિંતાજનક છે. દેશમાં ખરાબ હવાને કારણે લગભગ 1 લાખ બાળકોના મોત પાંચ વર્ષથી ઓછી ઉંમરે થઇ રહ્યા છે'.
સરકારી યોજનાઓ નિષ્ફળ
થિંક ટેન્કે કહ્યું કે વાયુ પ્રદુષણથી લડવા માટે સરકારની સ્કીમ હજુ સુધી સફળ થઇ નથી. અને આ વાત પર્યાવરણ મંત્રાલયે પણ માની છે. આ પહેલા ગ્લોબલ રિપોર્ટ આવી હતી કે 2017માં વાયુ પ્રદુષણને કારણે ભારતમાં 12 લાખથી વધુ લોકોના મોત થયા હતા.