જો બધુ ઠીક રહ્યું તો સામાન્ય લોકોની ઇએમઆઇ ઓછી થઇ શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ ઘટાડાના સંકેત આપ્યા છે. રેપો રેટમાં ઘટાડાને લઇને શક્તિકાંત દાસે કહ્યું કે, ' આજે આપણે જોઇએ છીએ કે કિંમત સ્થિર છે. મોંઘવારી ચાર ટકાથી નીચે છે. આશા છે કે આવનારા 12 મહીના સુધી મોંઘવારી નીચે બની રહેશે.
એમણે કહ્યું કે, વિશેષ રૂપે એવા સમયે જ્યારે વૃદ્ધિમાં ઘટાડો નોંધાયો છે. નીતિગત દરમાં વધુ ઘટાડાની શક્યતા છે. જોકે, એમણે ચાલૂ નાણાકીય વર્ષની વૃદ્ધિને લઇને રિઝર્વ બેન્કના અનુમાન વિશે કંઇપણ બોલવાથી ઇનકાર કર્યો. એમણે કહ્યું કે, આ વિશે જે કંઇપણ કહેવાનું છે તે, 4 ઓક્ટોબરની નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત સાથે જ સાર્વજનિક કરવામાં આવશે.
નોંધનીય છે કે, આરબીઆઇની નાણાકીય નીતિ સમિતિની 3 દિવસ ચાલનારી સમીક્ષા બેઠક એક ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે. આ વર્ષે રિઝર્વ બેન્ક ચાર વાર પોતાના નીતિગત રેપો રેટમાં ઘટાડો કરી ચુકી છે. તેમા કુલ મળીને 1.10 ટકા સુધીનો ઘટાડો કરાયો છે.
કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી વિદેશી રોકાણ વધશે
ગત શુક્રવારે કેન્દ્ર સરકાર તરફથી કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાનું એલાન કરવામાં આવ્યું હતું. શક્તિકાંત દાસ મુજબ, સરકારના આ નિર્ણય બાદ વિદેશી રોકાણકારો ભારત તરફ આકર્ષાશે, શક્તિકાંત દાસે કહ્યું, આ ખૂબ જ સાહસિક અને સકારાત્મક પગલુ છે. જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય રોકાણકારોનો સવાલ છે તો ભારતમાં કોર્પોરેટ ટેક્સના દર આશિયાન અને અશિયાના અન્ય ભાગના ઉભરતા બજારોની તુલનામાં ખુબ જ આકર્ષક બન્યા છે. મારી નજરમાં આજે ભારત પ્રતિસ્પર્ધાના સમયમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. તેથી વધુ રોકાણ આકર્ષિત થશે.