અમદાવાદ: અસહ્ય ગરમી પડ્યા બાદ અચાનક આજે હવામાન માં પલટો આવ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હોય તેવું જણાતુ હતું. ક્યાંક ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળતી હતી તો ક્યાંક પવનથી ઠંડક પણ પ્રસરી હતી. આ પલટા બાદ હવે વરસાદ પણ નજીકના સમયમાં થશે તેવું જણાઈ રહ્યુ છે.
લોકોને પણ આવા વાતાવરણથી ગરમીથી છુટકારો થયો હોય તેવું લાગતું હતું. આવું વાતાવરણ બનાસકાંઠા ગાંધીનગર અને અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. સમગ્ર જિલ્લામાં ધુળીયા પવન સાથે વાદળછાયું વાતાવરણ થયું છે. વાતાવરણનો આ પલ્ટો આંશિક રીતે સાગર વાવાઝોડાની અસર થઈ હોવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ જાણે વધી રહ્યો છે. લોકો આવી કાળઝાળ ગરમીથી પરેશાન થઈ ગયા છે. આકાશમાંથી જાણે અગ્નિવર્ષા વરસી રહી છે. ત્યારે લોકો દિવસમાં જેમ બને તેટલું ઘરથી બહાર નિકળવાનું ટાળે છે. અને ગરમીથી બચવા માટે એ.સી. પંખો એર કંડીશનર જેવા ઉપકરણોનો સહારો લે છે.
તો કેટલાક લોકો ગરમીમાં ઠંડક મેળવવાં માટે સ્વિમીંગ પુલ જવાનું પસંદ કરે છે. તો ગઈ કાલનો દિવસ જાણે અગ્નિ સરસાવા માટે ખાસ દિવસ હોય તેમ ગઈ કાલે રાજ્યભરમાં અગન વર્ષા થઈ હતી. ત્યારે ગરમીનો કહેર કંડલા પર પડયો હતો અને અહીનું તાપમાન 45.2 ડીગ્રી નોંધાયુ હતું. જો કે આ ગરમીને જોતા એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં ગરમીનો પારો હજુ ઉંચે જઈ શકે છે.
આપને જણાવી દઇએ કે ઉનાળાના દિવસો અંતિમ ચરણમાં છે ત્યારે પણ ગરમીનું જોર યથાવત છે ત્યારે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવે ઝડપથી વરસાદ પડે તેની રાહ જોઇ રહ્યા છે ત્યારે આજરોજ અમદાવાદ ખાતે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અને લોકોને કામ સિવાય ઘરની બહાર નહીં નિકળવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. આ સાથે પાણીનો વધારેમાં વધારે ઉપયોગ પણ કરવા જણાવવામાં આવ્યું હતું.
ત્યારે અસહ્ય ગરમી વચ્ચે આજે રાજ્યના કેટલાક પ્રદેશના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને ઠંડક પ્રસરી વળતા સ્થાનિક લોકોએ કાળઝાળ ગરમી વચ્ચે રાહતનો શ્વાસ લીધો હતો.જો કે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવતા ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.