પોલીસ ગ્રેડ પે આંદોલનમાં ગેરશિસ્ત કરનાર પોલસકર્મીઓ સામે કાર્યવાહીના આદેશ, ધરણા પર બેસનાર હાર્દિક પંડ્યાને જુનાગઢ નાખ્યો
ગ્રેડ પે મુદ્દે વિરોધ કરનારા પોલીસકર્મીઓની બદલી
એડમીન JCP દ્વારા અપાયા બદલીના આદેશ
9 પોલીસ કર્મચારીઓની રાજ્યના વિવિધ જિલ્લામાં કરાઇ બદલી
પોલીસ ગ્રેડ પે આંદોલનમાં શિસ્તભંગ કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મામલો થોડો થાળે પડતાં ગ્રેડ પે મુદ્દે વિરોધ કરનારા પોલીસકર્મીઓની એક ઝાટકે બદલી કરી દેવામાં આવી છે. 9 પોલીસ કર્મચારીઓની રાજ્યના વિવિધ જિલ્લાની અલગ અલગ જગ્યાએ બદલી કરી નાખવામાં આવી છે.
ધરણા પર બેસનાર હાર્દિક પંડ્યાની જુનાગઢ બદલી
ગાંધીનગરમાં વિધાનસભા બહાર હાર્દિક પંડ્યા નામના કોન્સ્ટેબલ ધરણાં પર બેઠો હતો. ગ્રેડ પે અને સાતમા પગાર માંગને લઈ ધરણાં પર બેઠેલા સેક્ટર 7 પોલીસ દ્વારા કોન્સ્ટેબલને પોતાની અભિવ્યક્તિ રજૂ કરતાં રોકવામાં આવ્યો હતો અને પોલીસે પોલીસ કોન્ટેબલને ધરણાં સ્થળેથી ડિટેઇન કર્યો હતો.જે બાદ આજે શિસ્તભંગની કાર્યવાહી કરતાં ધરણા પર બેસનાર હાર્દિક પંડ્યાની જુનાગઢ બદલી કરી નાખવામાં આવી છે.
પોલીસ ગ્રેડ પેનો મામલો વેગ પકડતા કરાઇ હતી કમિટીની જાહેરાત
CM, રાજ્ય ગૃહ મંત્રી અને DGPની બેઠક બાદ 28 ઓકટોબરના રોજ પોલીસ ગ્રેડ પેને લઈ કમિટીની જાહેરાત કરવામાં આવી હતી.પત્રકાર પરિષદમાં પોલીસ વડા આશિષ ભાટીયાએ કહ્યું હતું કે ગ્રેડ પે તેમજ અન્ય માંગોને લઈ સરકારે એક કમિટીના ગઠનનો નિર્ણય કર્યો છે. જેમાં 5 જેટલા પોલીસના ઉચ્ચ અધિકારીઑની બ્રિજેશ ઝાના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવાઇ છે.જે સૂચિત સમયગાળામાં વિવિધ માંગ પર અભ્યાસ કરી સરકારને રિપોર્ટ સોંપશે જે બાદ સરકાર કોઈ યોગ્ય જાહેરાત કરશે. સાથે જ કહ્યું હતું કે કમિટીની રચના બાદ હવે પછી કોઈ કર્મચારી કાયદા વિરુદ્ધ વર્તન કરશે તો કડક પગલાં લેવામાં આવશે.
229 પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ
આંદોલન પૂર્ણ થયા બાદ પોલીસ કર્મીઓની મુશ્કેલી વધી છે. જેમા આદોલનને સમર્થન આપનારા 229 પોલીસ કર્મચારીઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાંથી 9 સામે શિસ્તભંગ મામલે સજાના ભાગ રૂપે બદલી આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગ્રેડ પે આંદોલનને લઈને પોલીસકર્મીઓ સામે શિસ્તભંગની નોટિસ ફટકારવામાં આવી હતી. આંદોલનને લઈ હાર્દિક પંડયા સહિત 6 લોકો સામે ફરિયાદ પણ નોધાઈ હતી.