છેલ્લા થોડા સમયથી ખાસ કરીને કોરોના વાયરસના ડરના કારણે લોકો હાથ ધોવા માટે સાબુના બદલે સેનિટાઇઝરનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. હાલ સેનિટાઇઝરનો ઉપયોગ એ હદે વધી ગયો છે કે, બજારમાંથી સેનિટાઇઝરની બોટલો પણ ખાલી થઇ ગઇ છે. અને ડબલ કિંમતે વેચાવા લાગી. હેન્ડ સેનિટાઇઝર કીટાણુઓ અને બેક્ટેરિયાને આપણા હાથમાંથી દુર કરી દે છે. સાથે સાથે તેના ઉપયોગ બાદ પણ હાથમાંથી ભીની ખુશ્બુ આવે છે.
કેટલાક લોકોને વારંવાર હાથ ધોવાની આદત હોય છે. આવા લોકોને દરેક નાના મોટા કામ કર્યા બાદ લાગે છે કે, તેમના હાથ ફક્ત પાણીથી સાફ નહીં થઇ શકે, તેથી તેઓ વારંવાર હાથ સાફ કરવા માટે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરે છે. ક્યારેક તો નાના બાળકોની સ્કુલબેગમાં પણ હેન્ડ સેનિટાઇઝરની બોટલો મુકવામાં આવે છે.
હેન્ડ સેનિટાઇઝર વાપરનારી વ્યક્તિ પોતાની જાતને સ્વસ્થ માનવા લાગે છે, પરંતુ કોઇ પણ વસ્તુનો અતિરેક નુકશાન કરે છે. તે રીતે હેન્ડ સેનિટાઇઝરનો વધુ પ્રયોગ પણ તમારી હેલ્થને નુકશાન પહોંચાડે છે. વારંવાર હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ તમારા શરીરને શું નુકશાન પહોંચાડે છે તે જાણવા જેવું છે.
હેન્ડ સેનિટાઈઝરમાં ટ્રાઇક્લોસાન નામનુ એક કેમિકલ હોય છે, જેને હાથની સ્કીન શોષી લે છે. તેના વધુ પડતા ઉપયોગથી આ કેમિકલ તમારી ત્વચામાં થઇને તમારા લોહીમાં ભળી જાય છે. લોહીમાં ભળી ગયા બાદ તમારી માંસપેશીઓના ઓર્ડિનેશનને નુકશાન પહોંચાડે છે.
હેન્ડ સેનિટાઇઝરમાં ઝેરીલા તત્વ અને બેંઝાલ્કોનિયમ ક્લોરાઇડ હોય છે. જે કીટાણું અને બેક્ટેરિયાને હાથમાંથી બહાર કરી દે છે, પરંતુ તે આપણી ત્વચા માટે યોગ્ય નથી. તેનાથી ત્વચામાં બળતરા અને ખંજવાળ જેવી સમસ્યા આવે છે.
સેનિટાઇઝરમાં ખુશ્બુ માટે ફેથલેટ્સ નામના રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેની માત્રા સેનિટાઇઝરમાં વધુ હોય છે જે આપણા માટે હાનિકારક હોય છે. આ રીતે વધુ ખુશ્બુ ધરાવતા સેનિટાઇઝર લીવર, કિડની, ફેફસા અને પ્રજનન તંત્રને નુકશાન પહોંચાડે છે.
સેનિટાઇઝરમાં આલ્કોહોલની માત્રા હોવાના લીધે તે બાળકોના આરોગ્ય પર ખરાબ અસર કરે છે. બાળકો ભુલમાં તે ચાટી ન લે તેનુ પણ ધ્યાન રાખવું જોઇએ. સેનિટાઇઝરના વધુ પડતા ઉપયોગથી ત્વચા ડ્રાય થાય છે. ઘણા રિસર્ચ એમ પણ કહે છે કે તેના વધુ પ્રયોગથી બાળકોની ઇમ્યુનિટિ ઘટે છે.