ઓઢવ સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત થવાથી ગત સપ્ટેમ્બર-ર૦૧૮માં તેના બે બ્લોક પત્તાંના મહેલની જેમ ધરાશાયી થતાંં એક વ્યકિતનું કરુણ મોત થયું હતું, જ્યારે ચાર વ્યકિતઓ ઇજાગ્રસ્ત થઇ હતી. આ દુર્ઘટનાના પગલે તંત્રએ હરકતમાં આવીને શહેરનાં તમામ મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સને લગતો ઘનિષ્ઠ સર્વે હાથ ધર્યો હતો.
આ તંત્રના સર્વે રિપોર્ટના આધારે પૂર્વ ઝોનમાં આવેલ છ મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સ વર્ષોજૂનાં હોઇ ભયજનક જાહેર કરાયાં છે. આ મકાન ઉપયોગ કરવા લાયક ન હોઇ સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે તેને રિપેરિંગ કરાવવાની અથવા તો ઉપયોગ બંધ કરવાની જાહેર ચેતવણી આપી છે.
તંત્ર દ્વારા ઓઢવના સોનેરિયા બ્લોકની દુર્ઘટનાના પગલે અન્ય બ્લોકના સ્ટ્રક્ચરની તપાસ હાથ ધરાઇ હતી, જેના કારણે ૧પ બ્લોક ભયજનક લાગતાં તાત્કાલિક ધોરણે પાંચ બ્લોકને પાડી નાખ્યા હતા. ત્યારબાદ અન્ય બાકી બચેલા બ્લોકને પણ ધરાશાયી કરાયા હતા. હવે તંત્રે રિડેવલપમેન્ટ યોજના હેઠળ ઓઢવનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે હેઠળ ઓઢવના તમામ લાભાર્થીને તેમના મૂળ મકાન કરતાં ૪૦ ટકા મોટું મકાન આપવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.
બીજી તરફ સત્તાવાળાઓએ અન્ય મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સનાં મકાનોની સલામતી ચકાસવા માટે સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેના આધારે પૂર્વ ઝોનમાં આવેેલાં જૂના ગોમતીપુર હેલ્થ ક્વાર્ટર્સ, નવા ગોમતીપુર હેલ્થ ક્વાર્ટર્સ, મોટા રાજપુર હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સ, નાના રાજપુર હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સ, સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સ (વિનોબા ભાવેનગર) અને અમરાઇવાડી સ્લમ ક્વાર્ટર્સ એમ છ મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સને આજે ફરીથી તાકીદની જાહેર ચેતવણી આપીને ભયજનક જાહેર કરાયાં છે.
જાણકાર સૂત્રો કહે છે કે આ તમામ યોજનાઓનાં મકાન વર્ષોજૂનાં થઇ ગયાં હોઇ ભયજનક અને જર્જિરત બન્યાં છે. આ મકાન ઉપયોગ કરવા લાયક ન હોઇ પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તમામ બાંધકામને તંત્ર માન્ય સ્ટ્રક્ચરલ ઇજનેરના માર્ગદર્શન હેઠળ રિપેર કરાવી તેનો ઉપયોગ કરવા અથવા ઉપયોગ બંધ કરવા અગાઉ નોટિસ અપાઇ છે તેમ છતાં જવાબદાર વ્યકિતઓ દ્વારા આ ભયજનક મકાનોનું સ્ટ્રકચરલ એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ રિપેિરંગ કરાયું નથી અથવા તો ઉપયોગ બંધ કરવા કોઇ જ કાર્યવાહી કરાઇ નથી કે કરતા નથી. આ તમામ સ્લમ ક્વાર્ટર્સમાં આશરે રપ૦૦ પરિવાર રહે છે.
હવે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જાહેર ચેતવણી અપાઇ છે, જે મુજબ ભયજનક મકાન કે તેનો ભાગ પડી જવાથી તે મિલકત કે આસપાસની કોઇ પણ મિલકતને નુકસાન થશે અગર તો કોઇ વ્યક્તિના જાનમાલને નુકસાન કે અકસ્માત થશે તો તેની પૂર્ણ જવાબદારી આવા મકાનના કબજેદાર કે સંબંધિત હિત ધરાવતી વ્યકિતની રહેશે.
આવા ભયજનક મકાનની આસપાસ અવરજવર કરવી નહીં કે આજુબાજુના મકાનના ઉપયોગકર્તાઓએ સાવચેતીના ભાગરૂપે પૂરતી કાળજી રાખવી તેમ પણ તંત્રની તાકીદની જાહેર ચેતવણીમાં જણાવાયું છે. જાણકાર સૂત્રો વધુમાં કહે છે કે આ છ મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સના રિડેવલપમેન્ટ માટે ટેન્ડર નીકળી ચૂક્યાં હોઇ જે તે લાભાર્થીને મૂળ મકાન કરતાં ૪૦ ટકા મોટું મકાન અપાશે. પીપીપીના ધોરણે રિડેવલપમેન્ટ થનાર હોઇ જે તે લાભાર્થીને લગભગ બે વર્ષ અથવા તો જ્યાં સુધી પઝેશન ન મળે ત્યાં સુધી જે તેે જગ્યાના આધારે માસિક ભાડું ચૂકવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ મકાન રપ થી ૪૦ ચો.મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે.