હોલિવૂડથી શરૂ થયેલ #MeToo અભિયાન ભારતમાં સનસનીખેજ રીતે ફેલાઇ રહ્યું છે અને તેમાં અત્યાર સુધીમાં કેટલાંય મોટાં માથાંઓનાં નામ જાહેર થઇ ચૂક્યાં છે.
આ અભિયાન વચ્ચે જાણીતી અભિનેત્રી રેણુકા શહાણેએ કહ્યુ છે કે ભાગ્યે જ કોઇ એવી મહિલા હશે કે જેની પાસે #MeTooની કોઇ કહાણી ન હોય. રેણુકા શહાણેએ જણાવ્યું છે કે મારી સાથે પણ #MeTooની કહાણી છે પરંતુ મારી સાથે દુષ્કર્મ કરનાર કોઇ પ્રસિદ્ધ વ્યકિત ન હતી. તેણે જણાવ્યું છે કે હું એવું માનતી નથી કે એક પણ એવી મહિલા નહીં હોય કે જેને #MeToo યાતનામાંથી પસાર થવું ન પડ્યું હોય.
મારી #MeToo કહાણીમાં કોઇ પ્રસિદ્ધ વ્યકિત ન હતી. આ ઘટના ઘણા સમય પહેલાં બની હતી પરંતુ તેનાથી હું પ્રભાવિત થઇ ન હતી. આ ઘટનાએ દુનિયાને જોવાના મારા દૃષ્ટિકોણને પ્રભાવિત કર્યો હતો.
રેણુકા શહાણેએ મુંબઇથી આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મેં મારી આખી જિંદગી લોકલ ટ્રેન અને બસમાં સફર કરતાં વીતાવી છે. પ્રવાસ દરમિયાન તમને ખબર હશે કે કોઇ પણ વ્યકિત તમને સ્પર્શ કરીને તમારા વક્ષસ્થળને દબાવીને નીકળી જતી હોય છે.
અથવા આવા કોઇ અડપલાં કરતી હોય છે. તેમને એ વાતથી ફરક પડતો નથી કે તમારી ઉંમર શું છે પરિણીત છો કે ગર્ભવતી. આ ક્યારેય સમાપ્ત ન થનારી યાદી છે.