સુરત શહેરમાં તાપી નદીના કિનારે આવેલા ઐતિહાસિક કિલ્લાનું રિનોવેશન પૂર્ણ થઈ ગયું છે. 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કિલ્લાનું લોકાર્પણ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 29 અને 30મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પીએમ મોદીના હસ્તે સુરતની ઓળખસમા ઐતિહાસિક કિલ્લા લોકાર્પણ કરવામાં આવશે. પાલિકાએ આ પહેલાં કિલ્લાને ઝગમગ રોશની શણગારવાની કવાયત શરૂ કરી છે.
કિલ્લાનું ડેવલપમેન્ટ અને રિસ્ટોરેશન પૂર્ણ
સુરતની ઓળખસમા ઐતિહાસિક કિલ્લાનું અલગ-અલગ તબક્કામાં ડેવલપમેન્ટ અને રિસ્ટોરેશન પૂર્ણ થયું છે. કિલ્લામાં 6 ઇમારતની સાથે 4 બુર્જ, 2 પાર્શિયલ બુર્જ તૈયાર કરાયા છે. આ સાથે મુલાકાતીઓને સોવેનિયર શોપ, બ્રિટિશ ટી-રૂમ, મોબાઇલ એપ, વીઆર બેઝ્ડ સુરતનો નકશો, છફ રૂમ, સાંજના સમયે લાઇટ-સાઉન્ડ શૉ વગેરે જોવા મળશે. આ લાઈટ-સાઉન્ડ શૉના માધ્યમથી સુરત શહેરના ભવ્ય ઈતિહાસની તમામ જાણકારી આપવામાં આવશે.
પાલિકાને સોંપાઈ હતી સંરક્ષણ કાર્યની જવાબદારી
આપને જણાવી દઈએ કે, વર્ષ 2018માં પાલિકાને સંરક્ષણ કાર્યની જવાબદારી રાજ્ય સરકારે સોંપી હતી. જે બાદ પાલિકાએ કિલ્લાની બિલ્ડિંગોની નિષ્ણાતો પાસે કામગીરી શરૂ કરાવી હતીઅગ્રેજો અને મુગલોનું સાશન જોઈ ચુકેલા આ ઐતિહાસિક કિલ્લાને પાલિકાએ ટુરિસ્ટ પ્લેસમાં રૂપાંતરિત કર્યો છે. હવે આ કિલ્લાને સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.
ટિકિટના દર કરાયા નક્કી
જેના માટે ટિકિટના દર નક્કી કરાયા છે. કિલ્લાને જોવા માટે 3થી 16 વર્ષ સુધીના બાળકો માટે 50 રૂપિયા અને 17થી 60 વર્ષ સુધીના મુલાકાતીઓ માટે ટિકિટનો દર 100 રૂપિયા નક્કી કરાયો છે. તો 60થી વધુ વયના વ્યક્તિ 50 રૂપિયા ચૂકવીને આ ઐતિહાસિક કિલ્લાને નિહાળી શકશે. મુલાકાતીઓ મંગળવારથી રવિવાર સુધી પ્રવાસીઓ કિલ્લાને નિહાળી શકશે. 29 સપ્ટેમ્બરે પીએમ મોદીના હસ્તે કિલ્લાનું લોકાર્પણ કરાશે.
જાણો PM મોદીનો બે દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ
PM મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે
29 સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર
સુરતમાં ઐતિહાસિક કિલ્લાનું કરશે લોકાર્પણ
29 સપ્ટેમ્બરે ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન
29 તારીખે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે
29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામા આપશે હાજરી
PM મોદી 29 સપ્ટેમ્બર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનમા બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે PM
કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
કાલુપુર થી થલતેજ અને ગ્યાસપુર થી મોટેરા રુટની શરુઆત કરાવશે
અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે PM
અમદાવાદ થી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
30 તારીખે PM અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે
અંબાજી મંદિરે દર્શન કરી ગબ્બર ખાતે પણ દર્શન કરશે PM મોદી