PM મોદીએ દિલ્હીમાં રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરી નાખતા કોંગી નેતા શશિ થરૂરે કટાક્ષ કરતા કહ્યું કે, 'રાજસ્થાનનું નામ પણ કર્તવ્યસ્થાન કરી દો ને!'
રાજપથનું નામ બદલાતા કોંગી નેતાએ કર્યો કટાક્ષ
શશિ થરૂરની PMને રાજસ્થાનનું નામ બદલવા અપીલ
તમામ રાજભવનોને પણ કર્તવ્યપથ કરી દેવા જોઇએ!: થરૂર
કોંગ્રેસ નેતા અને સાંસદ શશિ થરૂરે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ રાખવા બદલ ભાજપ સરકાર અને પીએમ મોદીની ટીકા કરતા કહ્યું કે, જો રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ રાખવાનું હોય તો શું તમામ રાજભવનને કર્તવ્ય પથ ના કરી નાખવું જોઈએ? થરૂરે વધુમાં કહ્યું કે "પ્રધાનમંત્રી ત્યાં કેમ રોકાયા? રાજસ્થાનનું નામ બદલીને પણ કર્તવ્યસ્થાન કરી દે?" તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 સપ્ટેમ્બરના રોજ કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કર્યું હતું.
શશિ થરૂરે ટ્વિટ કરતા કહ્યું કે, 'જો રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવામાં આવ્યું તો શું તમામ રાજભવનોને કર્તવ્યપથ ના કરી દેવા જોઇએ?' તેઓએ વધુમાં લખ્યું કે, સરકાર ત્યાં જ કેમ રોકાઇ ગઇ? રાજસ્થાનનું નામ બદલીને કર્તવ્યસ્થાન કરી દેવું જોઇતું હતું. તમને જણાવી દઇએ કે, રાજપથનું નામ બદલવા પર કોંગ્રેસે સરકારના આ નિર્ણયની બરાબર નિંદા કરી હતી.
પીએમએ કહ્યું કે, 'કર્તવ્ય પથ' સત્તાના પ્રતિકના રૂપમાં પૂર્વવર્તી રાજપથથી હટીને જાહેર માલિકી અને અધિકારક્ષેત્રનું એક ઉદાહરણ હોવાનું પ્રતિક છે. આ સાથે પીએમએ આ દરમ્યાન ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.
ગુલામીનું પ્રતિક રાજપથ, આજથી ઇતિહાસ થઇ ગયોઃ PM મોદી
પીએમ મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહેલા લોકોને અભિનંદન આપું છું. પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં, દેશને આજે નવી પ્રેરણા મળી છે, નવી ઉર્જા મળી છે. આજે આપણે વિતેલા કાલને છોડીને આવનારા કાલની તસવીરમાં નવા રંગ ભરી રહ્યા છીએ. આજે જે ચોતરફ નવી આભા દેખાઇ રહી છે, તે નવા ભારતના આત્મવિશ્વાસની આભા છે.
રાજપથ હવે કર્તવ્યપથ તરીકે ઓળખાશે
એક દિવસ પહેલા જ નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને રાજપથનું નામ બદલની કર્તવ્ય પથ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. રાજપથ રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીનો રસ્તો છે, જેની લંબાઈ 3.20 કિલોમીટર છે. મહત્વનું છે કે, રાજપથ પર દર વર્ષે ગણતંત્ર દિવસ પર પરેડ નીકળે છે.
આ પથનો ઇતિહાસ
રાજપથને 1947 પહેલા 'કિંગ્સ વે' કહેવામાં આવતો હતો. તે પશ્ચિમમાં રાષ્ટ્રપતિ ભવનથી વિજય ચોકથી પૂર્વમાં ઈન્ડિયા ગેટ થઈને ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ સુધી જાય છે. તે બંને બાજુ ઘાસ અને સુંદર મેદાનોથી ઢંકાયેલું છે. આ રોડ પરનું તળાવ તેની સુંદરતામાં વધારો કરે છે. અહીં રસ્તો પશ્ચિમમાં રાયસીના પહાડો પર ચઢીને ભારતના રાષ્ટ્રપતિના આવાસ રાષ્ટ્રપતિ ભવન સુધી જાય છે, જેના બંને બાજુએ વહીવટી કેન્દ્ર અથવા સચિવાલય નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક સાઉથ બ્લોક છે.
કોંગ્રેસે પણ કર્યા હતા પ્રહાર
તમને જણાવી દઇએ કે, રાજપથનું નામ બદલીને 'કર્તવ્ય પથ' કરવા પર કોંગ્રેસે પણ મોદી સરકારની નિંદા કરી હતી. પીએમ મોદીના આ નિર્ણયની નિંદા કરવાની સાથે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે, રાજપથનું નામ બદલવું જ હતું તો રાજધર્મ પથ કરી દેતે કે જેનાથી અટલજીની આત્માને પણ અવશ્ય શાંતિ મળતી. એ સિવાય અનેક કોંગી નેતાઓએ પણ સરકારના આ નિર્ણયની નિંદા કરી હતી.