રેમિટેન્સ એટલે કે બીજા દેશમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા પોતાના દેશમાં મોકલાયેલી રકમ. વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ કોરોનાના કારણે આ વર્ષે દુનિયાભરમાં રેમિટેન્સમાં લગભગ ૨૦ ટકા ઘટાડો થયો છે.
રેમિટેન્સમાં ૭ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો
રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૯માં દુનિયાભરમાં એક દેશથી બીજા દેશમાં લગભગ ૪૦ લાખ કરોડ રૂપિયા રેમિટેન્સ તરીકે મોકલવામાં આવ્યા હતા. આ વર્ષે કોરોનાના કારણે ભારે સંખ્યામાં લોકોની નોકરીઓ ગઇ છે. તેની સીધી અસર રેમિટેન્સ પર પડી છે. આ વર્ષે ૨૦ ટકા ઘટીને રેમિટેન્સ લગભગ ૩૩ લાખ કરોડ હોવાનું અનુમાન છે. મતલબ કે તેમાં ૭ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
ખાડી દેશોમાં વસેલા ભારતીય સૌથી વધુ રેમિટેન્સ મોકલે છે
દુનિયાભરમાં લોકો રોજગારની તલાશમાં એક દેશથી બીજા દેશમાં જાય છે અને ત્યાંથી પોતાના ઘરે થોડા પૈસા મોકલે છે, તેથી તેમનું ઘર ચાલે છે. આ રકમને રેમિટેન્સ કહેવાય છે. ખાડી દેશોમાં વસેલા ભારતીય સૌથી વધુ રેમિટેન્સ મોકલે છે. આ ઉપરાંત અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકિસત દેશોમાં કામ કરનારા લોકો ભારતમાં પોતાના પરિવાર માટે પૈસા મોકલે છે. જે વિદેશી કર્મચારી બીજા દેશોમાંથી પોતાના દેશમાં રેમિટન્સ તરીકે જે રકમ મોકલે છે, તેના લગભગ ૭૫ ટકા ખાણી-પીણી જેવી જરૂરી વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે. ૧૦ ટકા શિક્ષણ અને બાકી ૧૫ ટકા બચતના રૂપમાં ઉપયોગમાં લેવાય છે.
ભારતમાં આ વર્ષે રેમિટેન્સમાં ૨૩ ટકાની કમીનું અનુમાન
ભારતમાં રેમિટેન્સ પર કોરોનાની ખરાબ અસર પડી છે. વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ ભારતમાં આ વર્ષે રેમિટેન્સમાં ૨૩ ટકાની કમીનું અનુમાન છે. ભારતની જેમ દુનિયાના બીજા દેશોના રેમિટેન્સ પર પણ કોરોનાની અસર પડી છે. સાઉથ એશિયામાં ૨૭.૫ ટકાની કમીનું અનુમાન છે. પાકિસ્તાનમાં ૨૩ ટકા, નેપાળમાં ૧૯ ટકા, શ્રીલંકામાં ૧૪ ટકા અને બાંગ્લાદેશમાં લગભગ ૨૨ ટકા ઘટાડાનો અંદાજ છે.
રેમિટેન્સ પ્રાપ્ત કરનાર દેશોમાં ભારત નંબર વન પર છે
દુનિયાભરમાં રહેતા વિદેશી કર્મચારીઓ લગભગ ૨૨૨ લાખ કરોડ રૂપિયા કમાય છે, તેમાંથી ૧૫ ટકા તે પોતાના ઘરે મોકલે છે. યુએનના રિપોર્ટ મુજબ ભારતના મોટા ભાગના પ્રવાસી ખાડી દેશોમાં કામ કરે છે, તેમાથી ૯૦ ટકા લો કે સેમી સ્કિલ્ડ છે. મોટા ભાગના લોકોની નોકરી કોરોના મહામારીના કારણે ગઇ છે. રેમિટેન્સ પ્રાપ્ત કરનાર દેશોમાં ભારત નંબર વન પર છે. રેમિટેન્સની કમીની અસર લોકોની રોજિંદી જિંદગી પર પડશે અને આ કારણે ગરીબી, ભૂખમરો, ક્રાઇમ, માનવ તસ્કરી, વેશ્યાવૃત્તિ વધવાનું અનુમાન છે. રેમિટેન્સ મોકલનારા મોટા ભાગના લોકો ગરીબ પરિવારના હોય છે. રેમિટેન્સ મેળવ્યા વગર આ પરિવારોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ જશે અને તેઓ ખોટા રસ્તે ચાલવા મજબૂર બનશે.