સમભાવ ગ્રૂપના સ્થાપક, તેજ તર્રાર પત્રકાર અને લોકો હૃદયી સાહિત્યકાર ભુપત વડોદરિયાની આજે આઠમી પુણ્યતિથિ છે. પત્રકારથી તંત્રી અને ત્યાર બાદ મીડિયા ગ્રૂપના માલિક સુધીની સફર ખેડનાર ભુપતભાઇનું નામ આજે ગુજરાતના ઘરે ઘરમાં જાણીતું છે. સાહિત્યક્ષેત્રે પણ ખેડાણ કરનાર ભુપતભાઇની પંચામૃત કોલેમે અનેક પરીવારની જિંદગીને નવી દિશા આપી હતી. ભુપતભાઇ ભલે આજે હયાત નથી પણ તેમની યાદો પત્રકારત્વ અને સાહિત્યમાં સંગ્રહાયેલી પડી છે.
સરળ-સૌમ્ય વ્યક્તિત્વના માલિક ભુપત વડોદરિયા
ગુજરાતમાં ભાગ્યે કોઇ વ્યક્તિ હશે જે આ આઠ અક્ષરના નામથી અજાણી હશે. સ્પષ્ટ વક્તા, સરળ અને સૌમ્ય વ્યકિતત્વ, નિખાલસ સ્વભાવ... આ હતી ભુપતભાઇ વડોદરિયાની ઓળખ. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર ભુપતભાઇ નોખું-અનોખું કરવા માટે જાણીતા હતા. ઝવેરચંદ મેઘાણીને આદર્શ માનનાર ભુપતભાઇએ નાની ઉંમરે જ પત્રકારત્વમાં પ્રવેશ મેળવ્યો.
નિર્ભિક પત્રકારત્વઃ મહાગુજરાત આંદોલન વખતે મોરારજી દેસાઇનો વિરોધ હોય કે પછી...
લોકો વચ્ચે જઇ તેમના પ્રશ્નોને વાચા આપવાનું દ્રઢપણે માનતા ભુપતભાઇએ પોતાના પત્રકાત્વથી અનેક ચમરબંધીઓને નાથ્યા. નિર્ભિક પત્રકાત્વના હિમાયતી ભુપતભાઇએ સૌરાષ્ટ્રના સલાયા બંદરની દાણચોરીને ખુલ્લી પાડી. મહાગુજરાત આંદોલન વખતે મોરારજી દેસાઇનો વિરોધ કરવાનો હોય કે 1975ની કટોકટીમાં ઇન્દીરા ગાંધીનો વિરોધ... ભુપતભાઇએ કોઇને બક્ષ્યા નહીં. પત્રકારત્વમાં તેમની લાગણી અને ઝનૂનની તે વખતના લોકપ્રિય અખબાર ફૂલછાબે નોંધ લીધી અને માત્ર 26 વર્ષની ઉંમરે જ જન્મભુમિ મેનેજમેન્ટે તેમને ફૂલછાબના તંત્રી બનાવ્યા. સમય જતા ફુલછાબ અને ભુપતભાઇ એક બીજાના પર્યાય બની ગયા.
ગુજરાત સરકારના માહિતી ખાતાના ઉચ્ચ હોદ્દાની નોકરી છોડી
ઝવરેચંદ મેઘાણીને પોતાનો આદર્શ માનતા ભુપતભાઇએ જીવંત પર્યંત નિર્ભિક પત્રકારત્વની જ્યોત જલાવી રાખી. આ જ્યોત આજે પણ સમભાવ ગૃપના સમભાવ મેટ્રો, વીટીવી ન્યુઝ અને અભિયાન મેગેઝિન રુપે પ્રજ્વલિત છે. ફુલછાબ છોડ્યા બાદ તેઓ ગુજરાત સરકારના માહિતી ખાતામાં જોડાયા. માહિતી ખાતામાં તેમણે અનેક સુધારા કર્યા. રાજ્ય સરકારના પાક્ષિક ગુજરાતની કાયાકલ્પ કરી. જો કે અંતે ભુપતભાઇ તો હતા પત્રકાર જીવ. માહિતી ખાતાના ઉચ્ચ હોદ્દાની નોકરી છોડી ભુપતભાઇએ 1986માં સમભાવ દૈનિકની શરુઆત કરી.
સમભાવના જન્મ સાથે જ ગુજરાતી પત્રકારત્વમાં એક નવા યુગનો જન્મ થયો
એ સાથે જ સમભાવ દૈનિક ખરા અર્થમાં લોકોનો અવાજ બન્યું. ભુપતભાઇના હાથ નીચે પત્રકારત્વની એક વિશાળ પેઢી તૈયાર થઇ. સમભાવ ગ્રૂપ આજે વિસ્તરીને પ્રિન્ટ સાથે ઇલેકટ્રોનિક, વેબ, એફએમ રેડિયો, vtvgujarati.com અને ટ્રાન્ઝિટ ચેનલ સુધી ફેલાયું છે. સમભાવ ગ્રૂપ સમભાવ મેટ્રો, અભિયાન મેગેઝિન, વીટીવી ન્યુઝ, વાઇઝ ટીવીના માધ્યમથી ગુજરાતના ખૂણે ખણે પહોંચ્યું છે.
લેખક થયો ન હોત તો કદાચ હું જીવી જ શક્યો ન હોતઃ ભૂપતભાઇ
ભુપતભાઇ માત્ર પત્રકાર કે અખબાર માલિક જ ન રહેતા સંવેદનાસભર લેખક પણ હતા. ગુજરાતની સાહિત્યજગત ભુપતભાઇને અવિસ્મરણીય યોગદાન માટે યાદ રાખશે. ભૂપતભાઈએ લખ્યું અને અઢળક લખ્યું. માત્ર ચિંતનાત્મક સાહિત્ય નહીં, તેમણે અસંખ્ય વિશિષ્ટ નવલકથાઓ પણ આપી. વાચકો માટે ભૂપતભાઈનું નામ જ વાંચન-પ્રેરણા માટે પૂરતું બની રહેતું. ભૂપતભાઈએ પણ સ્વયં કહ્યું છે કે લેખક થયો ન હોત તો કદાચ હું જીવી જ શક્યો ન હોત.
ભૂપતભાઈએ પત્રકારત્વ જ નહીં સાહિત્યનું બહારવટું પણ ખેલ્યું
ભૂપતભાઈના આત્માની અભિવ્યક્તિ આ કથનમાં સમાયેલી છે. "ભૂપતભાઈ માત્ર પત્રકાર નહોતા, તેમણે સાહિત્યનું પણ બહારવટું ખેલ્યું હતું. 'પ્રેમ એક પૂજા' તેમની કાળજયી કૃતિ છે જો કે, તે અત્યારે અપ્રાપ્ય છે. આ નવલકથામાં આલેખાયેલું પ્રેમનું ચિરંતન તત્ત્વ માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, વિશ્વ સાહિત્યમાં સ્થાન પામે તેવું છે. અભિયાનમાં આવતી પંચામૃત કોલમ આજે પણ એટલી જ લોકપ્રિય છે. પંચામૃતે ગુજરાતના અનેક પરીવારોને નવી રાહ ચીંધી છે. તેમણે અનેક નવલિકા લખી. 30થી વધુ નવલકથા પણ લખી. જીવન વિષયક પુસ્તકો પણ લખ્યાં. આ બધા પુસ્તકો આજે પણ લોકોને પ્રેરણા આપે છે.
આવા આ ગુજરાતના પનોતા પુત્ર ભુપતભાઇ આજે પણ સેંકડો પત્રકાર અને કરોડો ગુજરાતીના દિલમાં અનોખું સ્થાન ધરાવે છે. ભલે આ અનોખા પત્રકાર અને લેખક આજે હયાત નથી પણ તેમની યાદો આજે પણ આંખ ભીની કરી જાય છે.