ભારત ઘણાં વર્ષોથી પાકિસ્તાનમાં હિંદુઓ અને શીખો પર થઈ રહેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવતું રહ્યું છે. પાકિસ્તાનથી સતત હિંદુ પરિવારો ભારત આવીને શરણ લે છે અને ભારત તેમને નાગરિકતા પણ આપે છે. પાકિસ્તાનમાં હિંદુઓનું ભયંકર હદે ઉત્પીડન અને શોષણ કરવામાં આવે છે.
પાકિસ્તાનમાં ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ
પાકિસ્તાનમાં હવે ફક્ત ૨.૫ લાખ હિંદુઓ જ બચ્યા
હિંદુઓનાં ઘર પર હુમલાઓ વધ્યા
લઘુમતી હિંદુઓ પર હુમલાઓ અને તેમના ધર્મસ્થાનોને નિશાન બનાવવાના સમાચારો હવે સામાન્ય બની ગયા છે. લગભગ બે વર્ષ પહેલાં ઓક્ટોબરમાં સિંધ પ્રાંતમાં સ્થાનિક પોલીસે હિંદુ સમાજના મંદિરને તોડી નાખ્યું હતું. સિંધના બદિન જિલ્લાના ઘનૌર શહેરમાં પણ મંદિર તોડવામાં આવ્યું હતું. પાકિસ્તાનના પેશાવર સ્થિત પ્રાચીન હિંદુ મંદિર પંજ તીર્થને ગયા વર્ષે રાષ્ટ્રીય વારસો જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ બે પક્ષોના વિવાદિત દાવાના કારણે મંદિરને પુનઃ ખોલવાનું કામ રોકી દેવામાં આવ્યું. પવિત્ર નવરાત્રિ દરમિયાન જ બલુચિસ્તાનમાં શક્તિપીઠ ગણાતા હિંગળાજ માતાના મંદિરને તોડી નાંખવામાં આવ્યું. હિંદુ સગીરાઓ અને યુવતીઓનાં બળજબરીથી ધર્માંતરણ કરાવીને તેમના મુસ્લિમ યુવકો સાથે નિકાહ કરાવી દેવાના સમાચાર પણ અવારનવાર સામે આવતા રહે છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યક એટલે કે લઘુમતી હિંદુઓનાં ઘર પર હુમલાઓ કરવામાં આવે છે.
પાકિસ્તાનનું માનવાધિકાર આયોગ હિંદુસ્તાનીના અધિકારોની રક્ષા કરવામાં નિષ્ફળ
પાકિસ્તાનનું માનવાધિકાર આયોગ આ ઘટનાઓની ટીકા તો કરે છે, પણ હિંદુસ્તાનીના અધિકારોની રક્ષા કરવામાં તે સંપૂર્ણ નિષ્ફળ નિવડ્યું છે. માનવાધિકાર સંસ્થા મૂવમેન્ટ ફોર સોલિડેરિટી એન્ડ પીસના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં દર વર્ષે એક હજાર કરતાં પણ વધુ હિંદુ અને ખ્રિસ્તી સગીરાઓ અને યુવતીઓના અપહરણ કરવામાં આવે છે. ત્યારબાદ બળજબરીપૂર્વક તેમનું ધર્મ પરિવર્તન કરાવીને ઈસ્લામિક રીતિ-રિવાજ પ્રમાણે તેમના નિકાહ કરાવી દેવામાં આવે છે.
પીડિતાઓમાંથી મોટાભાગની તો ફક્ત ૧૨ વર્ષથી ૨૫ વર્ષની વચ્ચેની ઉંમરની જ હોય છે. આ આંકડાઓ વધુ ભયાનક હોઈ શકે છે, કેમ કે મોટાભાગના કિસ્સાઓમાં પોલીસ કેસ જ દાખલ કરતી નથી. જેમનું અપહરણ કરવામાં આવે છે એ છોકરીઓ ગરીબ ઘરમાંથી જ આવતી હોય છે, જેને કોઈનો સાથ પણ મળતો નથી.
પાકિસ્તાનમાં હવે ફક્ત ૨.૫ લાખ હિંદુઓ જ બચ્યા
૧૯૫૧ની વસ્તી ગણતરી અનુસાર, પશ્ચિમી પાકિસ્તાનમાં ૧.૬ ટકા હિંદુઓની વસ્તી હતી, જ્યારે પૂર્વી પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)માં ૨૨.૦૫ ટકા હતી. ૧૯૯૮ની પાકિસ્તાનની વસ્તી ગણતરીમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે, ફક્ત ૨.૫ લાખ હિંદુઓ જ બચ્યા છે. ૨૦૨૦ આવતા સુધીમાં તો હિંદુઓની આ સંખ્યામાં મોટો ઘટાડો થયો હશે તે નક્કી જ છે.પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઈસ્લામી દેશ છે. ૧૯૭૦ના દાયકામાં પાકિસ્તાને અહમદિયા લોકોને બિન મુસ્લિમ જાહેર કરી દીધા હતા. આ સાથે એક જ ઝાટકે ૪૦ લાખની વસ્તીવાળો આ સમુદાય પાકિસ્તાનમાં સૌથી મોટો બિન મુસ્લિમ ધાર્મિક લઘુમતી બની ગયો. બાંગ્લાદેશમાં પણ ધર્મના નામ પર અલ્પસંખ્યકો સાથે ક્રૂર ભેદભાવ કરવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં બિન મુસ્લિમ સમૂહોમાં હિંદુ, શીખ, બહાઈ અને ખ્રિસ્તી છે. તેઓ ત્યાંની વસ્તીના ફક્ત ૦.૩ ટકાથી પણ ઓછા છે. ૨૦૧૮માં ત્યાં ફક્ત ૭૦૦ શીખ બચ્યા હતા. આ માટે જ ભારતે આ દેશોમાંથી આવનારા હિંદુઓ, શીખોને નાગરિકતા આપવા માટે નાગરિકતા સંશોધન વિધેયક (સીએએ) પસાર કર્યું છે.
ભારતમાં દરેક ધર્મનું પૂરું સન્માન કરવામાં આવે છે
હવે અમેરિકાએ હોંગકોંગની સ્વાયત્તતાના મુદ્દે બીજિંગના અધિકારીઓ પર લગાવવમાં આવેલા પ્રતિબંધોની સાથે ચીન અને તેના મિત્ર પાકિસ્તાનને ધાર્મિક સ્વતંત્રતાના મામલે ઘેર્યા છે. અમેરિકાએ પાકિસ્તાન અને ચીનમાં ધાર્મિક સ્વતંત્રતાના અતિક્રમણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જોકે આ યાદીમાં ચીન અને પાકિસ્તાન ઉપરાંત અન્ય આઠ દેશોના નામ પણ સામેલ છે.
ભારતમાં દરેક ધર્મનું પૂરું સન્માન કરવામાં આવે છે. લઘુમતી મુસ્લિમો અને ખ્રિસ્તીઓને પણ પૂરી ધાર્મિક સ્વતંત્રતા મળેલી છે. શીખ તો ભારતનું ગૌરવ ગણાય છે. અનેકતામાં એકતા એ જ ભારતની સાચી ઓળખ છે અને એ આપણે કોઈપણ ભોગે જાળવી રાખવી જોઈએ.•