ગંગા, હિમાલયમાં આવેલી ગૌમુખ નામની જગાએથી નીકળે છે. ગૌમુખની સમુદ્ર સપાટીથી ઉંચાઇ ૩૮૯૦ મીટર છે. તે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં, ચીનની સરહદની નજીક આવેલું છે. આ આખો વિસ્તાર પર્વતોવાળો છે. ગંગા ગૌમુખ આગળથી નીકળે ત્યાં તે ભાગીરથીના નામે ઓળખાય છે. આગળ જતાં દેવપ્રયાગ આગળ તેને બદરીનાથ તરફથી આવતી અલકનંદા નદી મળે છે. પછીથી તે ગંગા તરીકે ઓળખાય છે.
ગૌમુખથી નીકળે છે ગંગા
ગૌમુખ સમુદ્રથી 3890 મીટર ઉપર છે
ગંગોત્રીથી ગૌમુખનું અંતર ૧૮ કિ.મી.
પહાડી અને ચડાણવાળો માર્ગ છે
ઋષિકેશથી જ હિમાલયના પહાડોનું ચડાણ શરૂ થઇ જાય છે. ઋષિકેશથી ગંગાને કિનારે કિનારે પહાડોની ધારે રસ્તો બનાવેલો છે. નદી ઉપરથી ખીણમાં નીચે તરફ આવે અને આપણે તેના કિનારે ઉપર તરફ જવાનું. રસ્તો પહાડોની ધારે હોવાથી તે સાંકડો, વાંકોચૂકો અને વળાંકો લેતો આગળ વધે છે. વાહન બહુ સાચવીને ચલાવવું પડે. ગાડી નદીમાં પડી ના જાય એનું ધ્યાન રાખવું પડે. જો કે રસ્તા સારા છે, એટલે એસ.ટી. જેવું મોટું વાહન પણ જઇ શકે છે. આ રસ્તો ઋષિકેશથી ઉત્તરકાશી, હરસીલ વગેરે ગામો થઈને ગંગોત્રી સુધી જાય છે. ઋષિકેશથી ઉત્તરકાશી ૧૭૦ કી.મી. અને ત્યાંથી ગંગોત્રી ૯૫ કી.મી. દૂર છે. આખો માર્ગ પહાડી અને ચડાણવાળો છે.
ભાગીરથી નદીને કિનારે ગંગા માતાનું પ્રસિદ્ધ મંદિર છે
ગંગોત્રી પવિત્ર અને ધાર્મિક સ્થળ છે. અહીં ભાગીરથી નદીને કિનારે ગંગા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. ગંગોત્રીની સમુદ્ર સપાટીથી ઉંચાઈ ૩૦૪૮ મીટર છે. અહીં ઠંડી ઘણી પડે છે. ભાગીરથીનું પાણી બહુ જ ઠંડું હોય છે. છતાં, ઘણા લોકો અહીં નદીમાં સ્નાન કરે છે. નદીમાં સ્નાન કરવાનો મહિમા છે. શિયાળામાં તો અહીં બધે બરફ જામી જાય, એટલે નવેમ્બરથી મે સુધી ગંગોત્રી મંદિર બંધ રહે છે. લગભગ મેના અધવચ્ચે મંદિરનાં કપાટ ખૂલે છે. રાજા ભગીરથે ગંગોત્રી મંદિર આગળ જ શિલા પર બેસીને તપ કર્યું હતું. આ શિલા ભગીરથ શિલા તરીકે ઓળખાય છે. શિવજીએ અત્યારે જ્યાં નદી છે, તેમાં બેસીને ગંગાને જટામાં ઝીલી હતી. અહીં શિવલિંગ છે, પણ તે પાણીમાં ડૂબેલું રહે છે. ગંગોત્રી, ચાર ધામોમાંનું એક છે. બાકીનાં ત્રણ ધામ બદરીનાથ, કેદારનાથ અને જમનોત્રી છે.
ગૌમુખની પાછળ હિમાલયનાં ઉત્તુંગ શિખરો છે
ગંગોત્રીથી હજુ આગળ જઈએ તો ગૌમુખ આવે. ગંગોત્રીથી ગૌમુખનું અંતર ૧૮ કિ.મી. છે. અહીં પણ ભાગીરથીને કિનારે જ જવાનું. પણ આ રસ્તો સારો નથી. આ રસ્તે વાહન ના જઇ શકે, એટલે ચાલીને કે ઘોડા પર જ જવું પડે. આ રસ્તે દેવગઢ, ચીરવાસા અને ભોજવાસા ગામો આવે છે. ગંગોત્રીથી ભોજવાસા ૧૩ કી.મી. દૂર છે. ભોજવાસા એ આ રૂટ પરનું છેલ્લું ગામ છે. ભોજવાસા સુધી ઝાડ પાન અને જંગલો જોવા મળે છે. ભોજવાસાથી આગળનો રસ્તો ઉજ્જડ અને વેરાન છે. ભોજવાસામાં રહેવાજમવાની સગવડ છે. અહીં એક મંદિર પણ છે. પ્રવાસીઓ ભોજવાસાથી ગૌમુખ પહોંચે છે. ગૌમુખની પાછળ હિમાલયનાં ઉત્તુંગ શિખરો આવેલાં છે. ભોજવાસાથી જ આ શિખરો દેખાવા માંડે છે.
ગૌમુખની ઉંચાઈ સમુદ્રથી ૩૮૯૦ મીટર
ગૌમુખ એ હિંદુઓનું પવિત્ર સ્થાન છે. અહીં ખડકોમાં ગુફા જેવી એક મોટી બખોલ છે, એમાંથી પાણીનો જોરદાર પ્રવાહ બહાર આવે છે. આ પ્રવાહ એ જ ભાગીરથી નદી. ભાગીરથીનું આ ઉદ્ભવસ્થાન. આ ગુફામાં અંદર જઇ શકાય નહિ. ગુફા અને ખડકોનો દેખાવ ગાયના મોં જેવો હોવાથી એ ગૌમુખ કહેવાય છે. ગૌમુખ આગળ લાકડાના થાંભલાઓ ઊભા કરીને મંદિર જેવું બનાવ્યું છે. મંદિર પર ધજાઓ ફરકે છે. ગૌમુખની ઉંચાઈ ૩૮૯૦ મીટર છે. અહીં ગંગોત્રી કરતાં યે વધુ ઠંડી હોય છે. ભાગીરથીનું પાણી અતિશય ઠંડું હોય છે. છતાં ઘણા શ્રદ્ધાળુઓ અને સાધુઓ અહીં ભાગીરથીમાં સ્નાન કરે છે અને નદીને વંદન કરે છે.
ગૌમુખમાં આ પાણી ક્યાંથી આવતું હશે? ગૌમુખની પાછળ પાંચેક કિલોમીટર જેટલો મેદાની વિસ્તાર છે, એ તપોવનના નામે ઓળખાય છે. એની પાછળ ગંગોત્રી ગ્લેશિયર અને એની યે પાછળ બરફછાયાં શિખરો આવેલાં છે. ગ્લેશિયર એટલે બરફનો લાંબોપહોળો જાડો થર. આ ગ્લેશિયર પીગળીને એનું જે પાણી બને તે પાણી તપોવનની નીચેના ખડકોમાં થઈને ગૌમુખમાં પહોંચે છે, અને ભાગીરથી નદી રૂપે નીકળે છે.