દેશમાં કોરોના સંક્રમણના કહેર વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,734 નવા કેસ નોંધાયા છે.
દેશમાં કોરોના સંક્રમણના મામલામાં વધઘટ યથાવત
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,734 નવા કેસ નોંધાયા
ગઈકાલ કરતાં આજે 3 હજાર કેસો ઓછા નોંધાયા
દેશમાં કોરોના સંક્રમણના મામલામાં વધઘટ યથાવત છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,734 નવા કેસ નોંધાયા છે. જોકે, રાહતની વાત એ છે કે ગઈકાલની સરખામણીએ આજે કેસ ઓછા છે.સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં એક દિવસમાં 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસ પહેલા એટલે કે 1 ઓગસ્ટના રોજ 16,464 કેસ નોંધાયા હતા, જ્યારે 31 જુલાઈએ 19,673 નવા કેસ નોંધાયા હતા. આ સાથે, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,39,792 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા આંકડા આવ્યા બાદ આ વાયરસના કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 5,26,430 થઈ ગઈ છે. એટલે કે કુલ મૃત્યુઆંક 5,26,430 પર પહોંચી ગયો છે. બીજી બાજુ કુલ 4,33,83,787 રિકવરી થઈ છે.
મહારાષ્ટ્રમાં 1 લી ઓગસ્ટની રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 1849 નવા કેસો સામે આવ્યાં હતાં. જ્યારે ત્રણ દર્દીઓનું મોત નીપજ્યું હતું. આ સાથે અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા વધીને 80,47,455 થઈ ચુકી છે. આ સાથે મૃતકોની સંખ્યા 1,48,104 પર પહોંચી ગઈ છે.
દેશની રાજધાની દિલ્હીમાં પણ નવા 1263 નવા કેસો નોધાયા
દેશની રાજધાની દિલ્હીમાં 1 ઓગસ્ટના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1263 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ચેપ દર 9.35 ટકા નોંધાયો છે. સાથે જ 13511 લોકોની તપાસ કરવામાં આવી હતી. રાહતની વાત એ છે કે 984 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 2977 થઈ ગઈ છે. એક દિવસમાં કોરોનાના કેસમાં 70નો ઘટાડો થયો છે. શનિવારે કોરોનાના 1333 નવા કેસ નોંધાયા છે.