એડજસ્ટેડ ગ્રોસ આવક (AGR)ના બાકી લેણાંને લઇને સંઘર્ષ કરી રહેલા ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે આવકવેરા વિભાગને 700 કરોડથી વધુના રિફંડની મંજૂરી આપી છે. કોર્ટે આવકવેરા વિભાગને આ રકમ ચાર સપ્તાહમાં જાહેર કરવાનું જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે વોડાફોન-આઇડિયાને આપી રાહત
733 કરોડ રિફંડ આપવા IT વિભાગને આપી મંજૂરી
ઉલ્લેખનીય છે કે, વોડાફોન-આઇડિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આવકવેરા વિભાગ પાસેથી 4700 કરોડ રૂપિયાના રિફંડની માગણી કરી હતી. ટેલિકોમ કંપનીનું કહેવું છે કે, 2014-15 થી 2017-18નું આવકવેરા રિફંડ આપ્યું નથી. કોર્ટે અરજી પર સુનાવણી કરતા બુધવારે કુલ 733 કરોડ રૂપિયાના રિફંડ પર મહોર લગાવી હતી.
કંપનીએ આવકવેરા વિભાગ પર રિફંડ માટે કર્યું દબાણ
કંપનીએ આવકવેરા વિભાગ પર રિફંડ માટે દબાણ મુક્યું હતું કારણ કે, બાકી કાયદાકીય રકમ ચૂકવવામાં કેટલીક આર્થિક રાહત મળી શકે. ગત દિવસોમાં સુપ્રીમ કોર્ટે AGR પર પોતાનો નિર્ણય સંભળવતા સરકારની પરિભાષાને યોગ્ય ગણાવી હતી અને ટેલિકોમ કંપનીઓને 1.74 લાખ કરોડ રૂપિયાની બાકી રકમ ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા. ત્યારે ટેલિકોમ કંપનીએ બાકી લેણાની રકમને લઇને સરકાર પાસે મદદ માગી હતી.
સરકારે સ્પેક્ટ્રમનો હપતો ભરવામાં આપી રાહત
ત્યારબાદ સરકારે નાણાકીય સંકટ સાથે સંઘર્ષ કરી રહેલી ટેલિકોમ કંપનીઓને રાહત આપતા તેમને સ્પેક્ટ્રમનો હપતો ભરવા 2 વર્ષ છૂટ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
વોડાફોન-આઇડિયા પર 50 હજાર કરોડ રૂપિયાનો એજીઆર બાકી
આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, વોડાફોન-આઇડિયા પર 50 હજાર કરોડ રૂપિયાનો એજીઆર બાકી છે. કંપનીએ અત્યાર સુધીમાં દુરસંચાર વિભાગને માત્ર 3500 કરોડ રૂપિયાની જ ચૂકવણી કરી છે.