મહારાષ્ટ્રના તટીય વિસ્તારમાં નિસર્ગ વાવાઝોડું ત્રાટક્યું છે. નિસર્ગ વાવાઝોડાના કારણે તેજ પવન સાથે વરસાદ થઇ ગયો છે. ત્યારે વરસાદના કારણે અલીબાગમાં અને રત્નાગીરીમાં તેજ પવન ફૂંકાઇ રહ્યો છે. જેને કારણે કેટલાક ઘરના છાપરા ઉડી ગયા તો કેટલીક જગ્યાઓ પરવ વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે નિસર્ગ વાવાઝોડાની અસરો ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. નિસર્ગની અસરને લઈને ગુજરાતની વહીવટી તંત્રની બાજ નજર છે. નિસર્ગ વાવાઝોડાને લઇને ગુજરાતના રાહત કમિશનર હર્ષદ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, ગુજરાત પર બહુ મોટી અસર નહીં થાય.
નિસર્ગ વાવાઝોડાની ગુજરાતમાં અસર શરૂ
ગુજરાત પર બહુ મોટી અસર નહીં થાય: રાહત કમિશનર
63 હજારથી વધુ લોકોનું સ્થળાંતરણ કરાયું છેઃ રાહત કમિશનર
નિસર્ગ વાવાઝોડાની અસરો ગુજરાતમાં દેખાવાની શરૂ થઈ છે. 52 કિલોમીટરના દરિયામાં કરન્ટ જોવા મળ્યો છે. હળવો પવન ફૂંકાવવાની શરૂઆત કરી છે. તકેદારીના ભાગરૂપે NDRF ટીમને બોરસી ગામે અને SDRF ટીમને ભાટ ગામે તૈનાત કરવામાં આવી છે. જોકે તમામ 7 જેટલા ગામોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ગણતરીના કલાકોમાં 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
રાહત કમિશનર હર્ષદ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, નિસર્ગ વાવાઝોડાએ મહારાષ્ટ્રના રાયગઢમાં પ્રવેશ કર્યો છે. વાવાઝોડું મુંબઈથી 80 કિમી દૂર છે. આ વાવાઝોડાની ગુજરાત પર બહુ મોટી અસર નહીં થાય. જોકે વલસાડ અને નવસારીમાં આગામી 34 કલાક પવન ફૂંકાશે. 63 હજારથી વધુ લોકોનું સ્થળાંતરણ કરાયું છે. દરિયાકિનારે સલામત સ્થિતિ છે.
રાયગઢ, અલીબાગ, રત્નાગીરી અને મુંબઈ સુધી વાવાઝોડાની અસર
અરબી સમુદ્રમાં સર્જાયેલુ નિસર્ગ વાવાઝોડુ આખરે મહારાષ્ટ્રના તટીય વિસ્તારમાં ટકરાઈ ગયું છે. મહારાષ્ટ્રના અલીબાગથી દક્ષિણમાં 40 કિમી નીચે આવેલા દિવેઆગર બીચ પર નિસર્ગ વાવાઝોડુ ટકરાયું છે. 100થી 120 કિમીની ઝડપે આ વાવાઝોડું જમીન સાથે ટકરાયું છે. જેના કારણે દિવેઆગર અને અલીબાગ સહિત મુંબઈમાં તેજ પવન સાથે વરસાદ થયો છે. અલીબાગ અને રત્નાગીરીમાં ઘરના છાપરા ઉડી ગયા હતા. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. તો રત્નાગીરીથી મુંબઈ સુધીનો દરિયો તોફાની થયો છે. દરિયો તોફાની થવાના કારણે દિવેઆગર પાસે 6 મીટર ઉંચા મોજા ઉછળ્યા. આ વાવાઝોડાની અસર 2 કલાક રહી શકે છે. તો દરિયા કાંઠાથી 50 કિમી સુધી જમીન પર આ વાવાઝોડાની અસર રહી શકે છે.
આ વાવાઝોડાની અસર રાયગઢથી મુંબઈ સુધી જોવા મળી. રાયગઢમાં વાવાઝોડાની સાથે ભારે વરસાદ થયો છે. 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા તેના માર્ગેમાં જે આવ્યું તે તમામને નષ્ટ કરતું ગયું. વાવાઝોડાની ઝપેટમાં હજારો વૃક્ષો ધરાશાયી થઈ ગયા. તો પાલઘરમાં અને અલીબાગમાં દરિયા કિનારે ઉંચા મોજા ઉછળ્યા. તો મુંબઈમાં પણ ઈન્ડિયા ગેટ પાસે ઉંચા મોજા ઉછળ્યા હતા.
નવસારીના ભાટ ગામમાં દરિયો સંરક્ષણ દિવાલથી 1 કિમી દૂર સુધી અંદર પહોંચ્યો
નિસર્ગ વાવાઝોડાની અસરના કારણે દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે નવસારીના દરિયાકાંઠા વિસ્તારમાં આવાલે ભાટ ગામમાં દરિયો સંરક્ષણ દિવાલથી 1 કિમી દૂર સુધી અંદર પહોંચી ગયો. છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યાં છે. તો તેજ પવનના કારણે કાચા મકાન, વૃક્ષો અને વીજપોલને પણ અસર થઇ શકે છે. દરિયામાં કરંટ જોવા મળતા ભાટ ગામમાં આવવા જવા પર રોક લગાવી દેવામાં આવી છે. અને પોલીસ અને NDRFની ટીમ પણ સજ્જ કરી દેવાઇ છે. તો બોરસી માછીવાડ ગામમાં દરિયા કિનારે કરંટ જોવા મળ્યો. હાલ NDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઇ છે. અને દરિયાકિનારે જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. તો હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
દ્વારકામાં દરિયો થયો ગાંડોતૂર
નિસર્ગ વાવાઝોડાની અસર હવે દ્વારકાના દરિયા કિનારે પણ જોવા મળી છે. દ્વારકાનો દરિયો પણ તોફાની થઈ ગયો અને ગોમતી ઘાટ સુધી દરિયાના પાણી પહોંચી ગયા છે. દરિયો ગાંડોતૂર થતાં ઉંચા મોજા પણ ઉછળ્યા છે..