ગુજરાતમાં કોરોના દર્દીઓનો હોસ્પિટલમાં ભારે ધસારાને પગલે રાજ્યમાં ઑક્સિજનની અછત વર્તાઈ છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રિલાયન્સના મુકેશ અંબાણીને પત્ર લખ્યો છે ત્યારે આ પત્રનો જવાબ ધનરાજ નથવાણીએ આપ્યો હતો.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી
ધનરાજ નથવાણીએ અમિત ચાવડાને આપ્યો જવાબ
કહ્યું- ગુજરાતને દરરોજ 400 ટન ઓક્સિજન અપાય જ છે
ધનરાજ નથવાણીએ અમિત ચાવડાને ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો કે, રિલાયન્સ જામનગર દ્વારા ગુજરાતને દરરોજ 400 ટન ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.આ ગુજરાત માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. તમારા પત્ર દ્વારા સાબિત થાય છે કે,રાજ્યના રાજકીય નેતા હોવા છતાં જાગૃતિનો અભાવ છે.
અમિત ચાવડાએ લખ્યો હતો પત્ર
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાને કારણે હાલત ખરાબ થઈ રહી છે. સંક્રમણ વધી રહ્યું છે અને સામે હોસ્પિટલો ફૂલ થઈ રહી છે. આ બધા વચ્ચે સૌથી મોટી આફત એ થઈ રહી છે કે હોસ્પિટલોમાં ઑક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. ત્યારે કોંગ્રેસના અમિત ચાવડાએ રિલાયન્સના મુકેશ અંબાણીને પત્ર લખ્યો હતો.
મુકેશ અંબાણીને પત્ર લખી રાજ્યને ઑક્સિજન આપવાની માંગ કરી
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે મુકેશ અંબાણીને પત્ર લખી રાજ્યને ઑક્સિજન આપવાની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતને પણ ફ્રીમાં ઑક્સિજન રિલાયન્સ દ્વારા આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની રિલાયન્સ દ્વારા મહારાષ્ટ્રને 100 મેટ્રિક ટન ઑક્સિજન વિના મૂલ્યે આપવામાં આવ્યો છે. જેનું ઉત્પાદન જામનગરમાં થઈ રહ્યું છે.
ગુજરાતને ફ્રિ ઓક્સિજન આપો : અમિત ચાવડા
અમિત ચાવડાએ માંગ કરી છે કે ઑક્સિજનનું ઉત્પાદન જામનગરમાં થઈ રહ્યું છે ત્યારે ત્યાંથી ઑક્સિજન ગુજરાતને પણ આપવામાં આવે. ગુજરાતની અનેક હોસ્પિટલોમાં હાલ ઑક્સિજનની ઘટ વર્તાઈ રહી છે.
જામનગર રિફાઈનરીથી મહારાષ્ટ્રને પૂરો પડાયો ઑક્સિજન
અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડ.લિમિટેડ જામનગર ખાતેની તેની રિફાઈનરીમાંથી ઓક્સિજન કાઢીને મહારાષ્ટ્રને મફતમાં પૂરો પાડી રહી છે. ઘણા રાજ્યોમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાઈ રહી છે ત્યારે મુકેશ અંબાણીએ મહારાષ્ટ્રને મફતમાં ઓક્સિજન પૂરો પાડવાનું કામ શરુ કર્યું છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં પણ ઑક્સિજનની ભારે અછત છે.