મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે કોરોનાથી મરનાર કર્મચારીઓના પરિવારને પાંચ વર્ષ સુધી પગાર આપવાની મોટી જાહેરાત કરી છે.
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની મોટી જાહેરાત
કોરોનાથી મરનાર કર્મચારીઓના પરિવારને 5 વર્ષ સુધી પગાર મળશે
બાળકોના ભણતરનો ખર્ચ પણ ઉઠાવશે
ઓફ રોલ કર્મચારીઓને આપશે એકીસાથે 10 લાખની સહાય
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે કર્મચારીનો છેલ્લો જે પગાર હશે તે પગાર આગામી પાંચ વર્ષ સુધી તેમના પરિવારને મળતો રહેશે. તે ઉપરાંત કોરોનાથી મરનાર કર્મચારીઓના બાળકોના ગ્રેજ્યુએશન સુધીના ભણતરનો ખર્ચ પણ પૂરો પાડવાની રિલાયન્સે જાહેરાત કરી છે.
મુકેશ અંબાણી તથા નીતા અંબાણીએ કર્મચારીઓને લેટર લખીને યોજનાની જાણ કરી
કર્મચારીઓના મોકલવામાં આવેલા એક લેટરમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી તથા તેમની પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ જણાવ્યું કે આ સંકટના સમયે તમે એકલા નથી. આખી રિલાયન્સ કંપની તમારી અને તમારા પરિવારની સાથે છે.
બાળકોના ભણતરનો ખર્ચ પણ ઉઠાવશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું કે કોરોનાથી મરનાર કર્મચારીઓના બાળકો માટે ભારતમાં કોઈ પણ સંસ્થાનમાં ગ્રેજ્યુએશનની ડીગ્રી સુધી મફત શિક્ષણ, હોસ્ટેલ અને પુસ્તક ખર્ચ પણ કંપની પૂરો પાડશે. તે ઉપરાંત કંપની મૃત કર્મચારીના પતિ કે પત્ની, માતાપિતા અને બાળકોની હોસ્પિટલમાં ભરતી થવાના કિસ્સામાં વીમા પ્રીમિયમની 100 ટકા ચુકવણી પણ કરશે.
રિલાયન્સે એવું પણ જણાવ્યું કે જે કર્મચારી કોરોનાથી સંક્રમિત છે અથવા તો તેમના પરિવારના કોઈ સભ્ય કોરોના થયો છે તો તેવા કર્મચારી સ્પેશિયલ કોવિડ-19 લીવ લઈ શકે છે. રિલાયન્સના તમામ કર્મચારીઓ સંપૂર્ણ રીતે સાજા ન થઈ જાય અથવા તો કર્મચારી તેના પરિવારના કોરોના સંક્રમિત સભ્યોની સારી સારવાર કરાવી શકે તે માટે સ્પેશિયલ લીવની જાહેરાત કરવામાં આવી છે.
ઓફ રોલ કર્મચારીઓનું કોરોનાથી મોત થાય તો તેમના પરિવારને 10 લાખની સહાય
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેમના ઓફ રોલ કર્મચારીઓના પરિવાર માટે પણ મોટી જાહેરાત કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ કહ્યું કે કંપની કોવિડ-19 થી મરનાર તેના ઓફ રોલ કર્મચારીઓના નોમિનીને એકીસાથે 10 લાખ રુપિયાની સહાય આપશે.
બીજી કઈ-કઈ કંપનીઓએ કર્મચારીઓ માટે કરી જાહેરાત
આ પહેલા ટાટા સ્ટીલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની પણ કોરોનાથી મરનાર કર્મચારીઓના પરિવાર માટે મદદની જાહેરાત કરી ચૂકી છે. ટાટા સ્ટીલે કોરોનાથી મરનાર કર્મચારીના પરિવારને પાંચ વર્ષ સુધી પગાર અને વાર્ષિક આવકની બમણી રકમ એકીસાથે આપવાની જાહેરાત કરી હતી.