રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેમના વધુ પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં 50% સુધીનો પગાર ઘટાડો કર્યો છે. આ માટે કંપનીએ કારણ કોરોના સંકટને કારણે કંપનીને થયેલો ઓછો નફો ગણાવ્યો છે.
વાર્ષિક 15 લાખથી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં કોઈ ઘટાડો નહીં
કેશ બોનસ, પરફોર્મન્સ ઈન્સેન્ટિવ વગેરે પણ આ વર્ષે રદ
ચેરમેન મુકેશ અંબાણીએ તેમનો આખેઆખો પગાર જતો કરવાનું નક્કી કર્યું
દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વાર્ષિક 15 લાખથી વધુ એટલે કે 20000 ડોલરથી વધુ પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં 10% જેટલો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત સિનિયર એક્ઝિક્યુટિવ અધિકારીઓના પગારમાં 30 થી 50% જેટલો ઘટાડો કર્યો છે. નોંધનીય છે કે વાર્ષિક 15 લાખથી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં કોઈ ઘટાડો નહીં કરવામાં આવે.
પેટ્રો કેમિકલ્સની માંગ ઘટવાથી બિઝનેસને અવળી અસર
કંપનીના એક્ઝિકયુટિવ ડાયરેક્ટર હિતલ મેસવાનીએ એક પત્રમાં કહ્યું હતું કે વિશ્વભરમાં પેટ્રો કેમિકલ્સની માંગ ઘટવાથી હાઈડ્રોકાર્બન બિઝનેસને અવળી અસર થઇ છે. આ સમયે કંપનીની ઓપરેશન કોસ્ટ અને ફિક્સ કોસ્ટ જેવા ખર્ચના ભારણ સહેવા માટે સહુ કોઈએ પોતાનો સહકાર આપવો પડશે. તેમણે એમ પણ કહ્યું કે આ પ્રક્રિયામાં ચેરમેન મુકેશ અંબાણીએ તેમનો આખેઆખો પગાર જતો કરવાનું નક્કી કર્યું છે.
આ સાથે કંપનીએ સારા કર્મચારીઓને મળતું કેશ બોનસ, પરફોર્મન્સ ઈન્સેન્ટિવ વગેરે પણ આ વર્ષે રદ કર્યું છે.
કંપનીએ માર્ચ 2021 સુધી દેવા મુક્ત થવાનો લક્ષ્યાંક રાખ્યો છે
નોંધનીય છે કે આ ગુરુવારે કંપની તેનું ક્વાર્ટરલી રિઝલ્ટ આપવા જઈ રહી છે. કંપનીએ માર્ચ 2021 સુધી દેવા મુક્ત થવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ગયા વર્ષ સુધીમાં કંપનીનું કુલ દેવું 43 અબજ ડોલર હતું.
ફેસબુકે હાલ જ રિલાયન્સ Jioનો 9.99% શેર 5.7 અબજ ડોલરમાં ખરીદ્યો હતો. કંપનીના ક્વાર્ટરના આંકડા બહાર આવે તે પૂર્વે કંપનીના શેરમાં 2.86%નો ઉછાળો આવ્યો હતો અને કિંમત 1467 રૂપિયા પહોંચી હતી.