ભારતમાં ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. લોકો એમેઝોન અને ફ્લિપકાર્ટ પર અઢળક વસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે, પરંતુ વર્ષ 2020માં આ દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓને પડકારોનો સામનો કરવો પડી શકે છે કારણ કે, ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ રિટેલ લિમિટેડે 'જિયો માર્ટ'ની શરૂઆત કરી દીધી છે. જિયો માર્ટમાં રજિસ્ટ્રેશન માટે કંપનીએ જિયો ટેલિકોમ યુઝર્સને આમંત્રણ મોકલવાનું પણ શરૂ કરી દીધું છે. કંપનીએ જિયો માર્ટને 'દેશની નવી દુકાન' ગણાવી છે. જિયો માર્ટની શરૂઆત નવી મુંબઈ, થાણે અને મુંબઈના કલ્યાણથી થશે.
એમેઝોન અને ફ્લિપકાર્ટ ટક્કર આપવા તૈયાર રિલાયન્સ
રિલાયન્સે શરૂ કર્યું જિયો માર્ટ
રજિસ્ટ્રેશન માટે મોકલાયું આમંત્રણ
ટૂંક સમયમાં લોન્ચ થશે જિયો માર્ટ એપ
રિલાયન્સ રિટેલે સત્તાવાર રીતે તેના લોન્ચિંગની જાહેરાત કરી દીધી છે અને કહ્યું છે કે, આવનારા સમયમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. આ સંદર્ભમાં એક અધિકારીએ કહ્યું કે, 'અમે જિયો માર્ટ લોન્ચ કરી દીધું છે. આ માટે જિયો યુઝર્સને ડિસ્કાઉન્ટ માટે રજિસ્ટ્રેશન કરવા આમંત્રણ અપાયું છે. હાલમાં તે ત્રણ સ્થળોએ ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. જિયો માર્ટ એપ પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.'
એજીએમમાં જણાવી હતી કંપનીની યોજના
આ અગાઉ 12 ઓગસ્ટના રોજ યોજાયેલી એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ ટૂંક સમયમાં કરિયાણા બજારનો નક્શો બદલવા જઈ રહ્યું છે. રિલાયન્સ દેશમાં દુનિયાનું સૌથી મોટું ઓનલાઈન-ટૂ-ઓનલાઈ ઈ-કોમર્સ બજાર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. રિલાયન્સે તેને ન્યૂ કોમર્સ નામ આપ્યું છે. રિલાયન્સના નવા રિટેલ પ્લાન હેઠળ હાઈ સ્પીડ ડિજિટલ પ્લેટફોર્મને કરિયાણા સ્ટોર્સની સાથે જોડવામાં આવશે. જેનો ઉપયોગ ગ્રાહકોને ઓર્ડર સપ્લાય કરવા માટે કરવામાં આવશે. દેશભરમાં લગભગ 3 કરોડ કરિયાણાની દુકાનવાળા અથવા વેપારી છે. જેઓ 20 કરોડ લોકોની આજીવિકા સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાયેલા છે અને આ લોકો દેશની કોમર્સ ઇકો સિસ્ટમ તૈયાર કરે છે.