કૃષિ કાયદા વિરૂધ્ધ ચાલી રહેલ આંદોલનને 4 મહિના થવા પર શુક્રવારે ભારત બંધ પણ આપવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ ખાતે એક નેતાની ચાલુ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ધરપકડ કરાઇ હતી.
ખેડૂત આંદોલન વચ્ચે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન
કહ્યું- અમદાવાદના ખેડૂત નેતાને કરવામાં આવે મુક્ત
યુદ્ધવીરને છોડવામાં આવે નહીંતર આંદોલન કરીશું
ઉલ્લેખનીય છે કે, ખેડૂત યુનિયનના મહાસચિવ યુદ્ધવીર સિંહ અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે ગુજરાત પોલીસે તેમની ચાલુ પ્રેસ કોન્ફરન્સમાંથી ધરપકડ કરી હતી. ત્યારે હવે આ મામલે ખેડૂત આંદોલનના મુખ્ય સૂત્રધાર રાકેશ ટિકૈતે કહ્યું છે કે, યુદ્ધવીરને છોડવામાં આવે નહીંતર ખેડૂતો તમામ નેતાઓને નજરબંધ કરવાનું શરૂ કરશે.
યુદ્ધવીરને છોડવામાં આવે નહીંતર આંદોલન કરીશું : ટિકૈત
ખેડૂત મહાપંચાયતમાં લોકોને સંબોધન કરતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, જે લોકો ની ધરપકડ થઈ છે અથવા જેમના પર કેસ કરવામાં આવ્યો છે તેમને છોડી મુકવામાં આવે છે. સાથે જ સરકારને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, સરકાર સુધરી જાય નહીંતર લોકો નેતાઓને નજરબંધ કરવાનું શરૂ કરશે. તો એમપણ કહ્યું હતું કે, સરકાર એવી જ જગ્યાએ લોકડાઉન કરશે જ્યાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે પરંતુ સરકારની આ મનશા અમે સફળ નહીં થવા દઇએ.
ગુજરાતના લોકો બંધાયેલા હોવાની ટિકૈતે કરી વાત
આપને જણાવી દઇએ કે, યુદ્ધવીર સિંહની ધરપકડ બાદ ખેડૂત અગ્રણી રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, આ અસલ ગુજરાત મોડેલ છે જે અમે લોકોને બતાવવા માગીએ છીએ. ગુજરાતમાં લોકો સંપૂર્ણ રીતે બંધાયેલા છે. દેશમાં આવી સ્થિતિ ક્યાંય નથી જેવી હાલત ગુજરાતની છે. કારણ કે અહીં ચાલુ કોન્ફરન્સમાંથી ખેડૂત નેતાને ઉઠાવી લેવામાં આવી રહ્યા છે. જો યુદ્ધવીર સિંહની તાત્કાલિક અસરથી છોડવામાં નહીં આવે તો અમે ત્યાં જઇને પણ આંદોલન કરીશું.
ખેડૂત નેતાએ કહ્યું- સરકાર ખેડૂતોથી ડરી ગઇ છે
ખેડૂત અગ્રણી અવિક સાહાએ યુદ્ધવીર સિંહની ધકપકડ મામલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની 56 ઇંચની છાતી પર ઘમંડ છે. તેમને પૂર્ણ બહુમત સરકારનું ગુમાન છે. પરંતુ એક ખેડૂત નેતાની ધરપકડથી સ્પષ્ટ થઇ ગયું છે કે, સરકાર ખેડૂતોથી કેટલી હદે ડરી ગઈ છે.