દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ ઐતિહાસિક ચુકાદા બાદ હવે ગુજરાતનાં પ્રખ્યાત ક્લબને તેમના મેમ્બર્સ પાસેથી સર્વિસ ટેક્સનાં નામે લીધેલ 90 કરોડ પાછા આપવા પડશે.
ક્લબ મેમ્બર્સે હવે નહીં ભરવો પડે સર્વિસ ટેક્સ
વિવિધ કલબોએ 90 કરોડ રૂપિયા પાછા આપવાનાં થશે
ક્લબ દ્વારા મીટીંગ કર્યા બાદ નિર્ણયો લેવાશે
ક્લબ મેમ્બર્સ માટે સર્વોચ્ચ અદાલત દ્વારા ખુબ સારા સમાચાર આવ્યા છે સર્વોચ્ચ અદાલત દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે કોઈ પણ ક્લબ પાસે મેમ્બર્સ પાસેથી સર્વિસ ટેક્સ લેવાનો કોઈ અધિકાર નથી. ગુજરાતનાં કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ જેવા મોટા ક્લબ દ્વારા છેલ્લાં 14 વર્ષ દરમિયાન લેવામાં આવેલ સર્વિસ ટેક્સ પાછા આપવા પડશે. આ ક્લબ દ્વારા 90 કરોડથી વધારે ટેક્સ પાછા આપવા પડશે.
મોટા ભાગનાં મેમ્બર્સ પાસે ભૂતકાળમાં ભરેલ સર્વિસ ટેક્સનાં કોઈ પૂરાવા નથી
રાજપથ ક્લબ દ્વારા 55 કરોડ જયારે કર્ણાવતી ક્લબ દ્વારા 28 કરોડ રૂપિયા પાછા આપવામાં આવશે. જોકે હવે જોવાનું એ થશે કે આ ક્લબ બધાને તેમના પાછા કઈ રીતે આપશે. કારણ કે મોટા ભાગનાં મેમ્બર્સ પાસે ભૂતકાળમાં ભરેલ સર્વિસ ટેક્સનાં કોઈ પૂરાવા નથી. અમુક ક્લબ દ્વારા ક્લબ મેમ્બર્સ સાથે ચર્ચા કરીને અથવા કાયદાકીય પ્રક્રિયાઓ તપાસીને આ પૈસાને સર્વિસ સુધારવા માટે ઉપયોગ માટે કરવામાં આવે તેવી શક્યતાઓ પણ છે.
કર્ણાવતી ક્લબ
કર્ણાવતી ક્લબનાં વાઈસ પ્રેસિડેન્ટ જયેશ મોદીએ કહ્યું કે 'અમે બોર્ડને સર્વિસ ટેક્સ મુદ્દે વાત કરી છે. અમારા કાનૂની સલાહકારે અમને કોઈ પણ નિર્ણય લેતા પહેલાં 90 દિવસ સુધી રાહ જોવાની સલાહ આપી છે કારણ કે ટેક્સ ડીપાર્ટમેન્ટ પુનર્વિચાર અરજી પણ કરી શકે છે. વર્ષ 2005થી ઘણી વખત ટેક્સનાં માળખામાં ફેરફાર આવ્યા છે. અમે હેલ્થ ક્લબ, સ્વીમીંગ પૂલ અને સ્પોર્ટસ ફેસીલીટી માટે પણ સર્વિસ ટેક્સ લીધો છે.' સાથે જ તેમણે કહ્યું કે કોઈ પણ નિર્ણય બધા જ મેમ્બર્સ સાથે ચર્ચા કરીને સર્વસંમતીથી લઈશું. કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ કર્ણાવતી ક્લબ દ્વારા બેઠક પણ યોજવામાં આવશે.
રાજપથ ક્લબ
રાજપથ ક્લબને પણ સર્વોચ્ચ અદાલતનાં આ ચુકાદા બાદ મેમ્બર્સ પાસેથી લીધેલ સર્વિસ ટેક્સ પાછા આપવાનું થાય છે ત્યારે ક્લબના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. વિક્રમ શાહે મીડિયાને કહ્યું કે 'અમે આ નિર્ણય બાદ ખુબ ખુશ આનંદિત છીએ. અમે લગભગ બધી જ સેવાઓ સામે સર્વિસ ટેક્સ લીધો હોવાથી લગભગ 55 કરોડ રૂપિયા પાછા આપવા પડશે. સરકારનાં ટેક્સ વિભાગ દ્વારા પુનર્વિચાર અરજી ન કરવામાં આવે તે બાદ અમે ક્લબની મિટિંગ કરીશું અને નિર્ણય લઈશું. મેમ્બર્સ ને વિશ્વાસમાં લીધા બાદ જ અમે કોઈ નિર્ણય લઈશું.' ગુજરાતના સૌથી જુના ક્લબમાનું એક સ્પોર્ટસ ક્લબ દ્વારા 10 કરોડ રૂપિયા પાછા આપવામાં આવશે. આ ક્લબ પણ બધા જ સભ્યો સાથે ચર્ચા કરને નિર્ણય લેવામાં આવશે. ક્લબનાં સભ્યોની વાત કરીએ તો વિવિધ ક્લબનાં સભ્યોનું માનવું છે કે તેઓ વર્ષોથી ક્લબનાં મેમ્બર હોય ત્યારે ખુબ બધા નાણાં ક્લબને આપ્યા હોય ત્યારે હવે ક્લબ જો ટેક્સ પાછું આપવાની હોય તો કઈ રીતે આપશે અને તેની પદ્ધતિ શું હશે. જોકે હાલ તો આ મુદ્દે કોઈ પણ નિર્ણય જે તે ક્લબની બેઠક બાદ જ લેવામાં આવશે.