એક તરફ શૈક્ષણિક ડિગ્રીના પ્રમાણપત્રો છે અને બીજી તરફ ધરતીમાંથી પેદા થયેલી ઊપજ છે. એક સમય હતો જ્યારે ન ભણે તે ખેતીમાં લાગી જતાં હતા. પરંતુ હવે ભણેલા લોકો પણ ખેતી કરવા લાગ્યા છે. જ્યારે ભણેલા લોકો ખેતીમાં ઝંપલાવે છે ત્યારે કેવું પરિણામ મળે છે તેનો આ પુરાવો છે.
MBA યુવા ખેડૂત અહીં કરે છે ખેતી
બુદ્ધિની ડિગ્રી, મહેનતની ઊપજ
શહેરો તરફ ભાગતા યુવાનનો ચિંધે છે રાહ
આજે મોટા ભાગના યુવાનો લાખો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચી સરકારી નોકરીની તૈયારી કરતા જોવા મળે છે. જેમાં ક્યારેક સફળતા ન મળ્યા બાદ યુવાનો નાસીપાત પણ થઈ જતા હોય છે, ત્યારે જોડિયા પંથકના શિક્ષિત અને પ્રગતિશીલ યુવાન ખેડૂતોએ યુવાનોને નવો રાહ ચીંધ્યો છે. MBA જેવી મહત્વની ડિગ્રી મેળવ્યા બાદ અનેક નોકરીની ઓફરો ઠુકરાવીને આ યુવાને ખેતીમાં જંપલાપી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આજે એ સરસ્વતીના આરાધકે કૃષિકાર બની પોતાના ખેતરમાં કેવી લહેરાવી છે ઐશ્વર્યની હરિયાળી જોઈએ આ અહેવાલમાં...
નોકરીની ઓફરોને ઠુકરાવીને ખેતીને કરી પસંદ
જોડિયા તાલુકાના હડિયાણા ગામના રહેવાસી નકુમ બાબુલાલ નામના યુવકે MBA સુધીનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેમણે જૂનાગઢ ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટી ખાતે અગ્રો માટે કોર્ષ પણ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમને નોકરીની પણ અનેક ઓફર આવતી હતી, છતાં આ તમામ ઓફરોને ઠુકરાવીને તેઓએ ખેતીને પસંદ કરી.
20 વીઘાના ખેતરમાં કરી રહ્યા છે ઓર્ગેનિક ખેતી
હાલ તેઓ પોતાના વતન હડિયાણા ગામમાં જ પોતના પરિવાર સાથે રહે છે અને પોતના 20 વીઘા જેટલા ખેતરમાં આધુનિક પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, જેમાં ટપક સિંચાઈ અપનાવી ડ્રેગન ફ્રૂટ જેવા ફળફળાદી સાથે કારેલા, કોબી જેવા શાકભાજીનું વાવેતર કરીને મોટી કમાણી કરી રહ્યા છે.
યુવાનો ખેતીમાં મહેનત કરે તો ખૂબ સારી કમાણી કરી શકે છેઃ બાબુલાલ
તેઓ પોતાના ખેતરમાં હરિયાળી સમૃદ્ધિ લહેરાવી શક્યા છે અને અન્ય લોકો માટે પણ પ્રશંસાનું પાત્ર બન્યા છે. ત્યારે આજના યુવાનોને સંદેશો આપતા બાબુલાલ કહે છે કે, 'જો યુવાનો પોતાની સૂઝબૂઝ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીમાં મહેનત કરે તો ખૂબ સારી કમાણી કરી શકે છે.'
યુવા ખેડૂતના પત્ની પણ છે ગ્રેજ્યુએટ
યુવા ખેડૂત બાબુલાલના પત્ની આશાબેન પણ ગ્રેજ્યુએટ છે અને તેઓ પણ કોઈ પણ પતિ પર વ્હાઇટ કોલર જોબની નોકરીનું દબાણ કર્યા વગર ગામડામાં જ રહીને પતિને ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમનું પણ માનવું છે કે, આજના યુવાનો અભ્યાસ કરીને શહેરોમાં નોકરી કરે છે. પરંતુ અભ્યાસ કર્યા પછી પરંપરાગત ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતી તરફ રુચિ દાખવે તો શહેરની નોકરી કરતા પણ સારી આવક મેળવી શકે છે.
આમ, ખેતીમાં જો વૈજ્ઞાનિક અભિગમનું સંયોજન કરવામાં આવે તો આવકની કોઈ મર્યાદા રહેતી નથી. આજે યુવાનો લાખો રૂપિયાની ફી ભરી શિક્ષણ મેળવે છે, ત્યારબાદ મામૂલી અને સીમિત પગારમાં નોકરી માટે શહેર તરફ વળે છે જેને લઈને ગામડાઓ તૂટી રહ્યા છે. ત્યારે યુવાનો જો બાબુલાલ નકુમ જેવા યુવાનોમાંથી પ્રેરણા લે તો ગામડાઓ બચી શકે છે..