ઘરમાં પાલતૂ પ્રાણીઓને પાળવાનો શોખ રાખનારા લોકો માટે જરૂરી સમાચાર સામે આવ્યાં છે. નોઈડા ઓથોરિટીએ ઘરમાં શ્વાન અને બિલાડી અથવા અન્ય પાલતૂ પ્રાણીઓને પાળવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દીધુ છે. જે લોકો રજીસ્ટ્રેશન નહીં કરાવે તેમની સામે 1 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવશે.
નોઈડામાં પાલતૂ પ્રાણીઓને પાળવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત
જે લોકો રજીસ્ટ્રેશન નહીં કરાવે તેની સામે 1 હજાર રૂપિયાનો દંડ લગાવાશે
જો તમે પણ ઘરમાં પાલતૂ પ્રાણીઓને રાખો છો તો તમારે 14 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. જેના માટે તમે ઘેર બેઠા પ્લે સ્ટોર પરથી નોઈડા પેટ્સ રજીસ્ટ્રેશન એપના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ઓથોરિટી મુજબ, અત્યાર સુધી ફક્ત 360 લોકોએ પોતાના પ્રાણીઓની નોંધણી કરાવી છે. જ્યારે હજારોની સંખ્યામાં એવા લોકો છે, જેણે અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. આવા લોકોને ઓથોરિટીએ 14 ફેબ્રુઆરી સુધી અલ્ટીમેટમ આપ્યું છે. ત્યારબાદ દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવશે.
વાર્ષિક 500 રૂપિયાની ફી જમા કરાવવી પડશે
ખરેખર, નોઈડામાં રહેતા હજારો લોકો શ્વાન-બિલાડી પાળવાનો શોખ રાખે છે. હવે આ પાળેલા પ્રાણીઓનો આખો રેકોર્ડ નોઈડા ઓથોરિટી પાસે રહેશે. જેના માટે આવા લોકોએ પોતાના પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરાવવા માટે વાર્ષિક 500 રૂપિયાની ફી જમા કરાવવી પડશે. રજીસ્ટ્રેશન બાદ બધા પાલતૂ પ્રાણીઓને એન્ટી રેબીજની રસી લગાવવાની જવાબદારી ઓથોરિટીની થશે. ઓથોરિટીના વિશેષ કાર્ય અધિકારી ઈન્દુ પ્રકાશનું કહેવુ છે કે નવેમ્બરમાં સીઈઓ રિતુ માહેશ્વરીએ નોએડા પેટ્સ રજીસ્ટ્રેશન એપ લોન્ચ કરી હતી. પરંતુ લોકો હજુ સુધી જાગૃત થયા નથી. સરેરાશ 360 લોકોએ પોતાના પાલતૂ પ્રાણીઓના રજીસ્ટ્રેશન કરાવ્યાં છે. 15 ફેબ્રુઆરીથી અભિયાન ચલાવીને રજીસ્ટ્રેશન નહીં કરાવનારા વિરુદ્ધ કાર્યવાહી કરીને 1 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે.
14 ફેબ્રુઆરી સુધી અલગ-અલગ જગ્યાએ યોજાશે રજીસ્ટ્રેશન કેમ્પ
જો તમે પણ પોતાના પાળતૂ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તો ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન કરાવી લો નહીંતર તમારા વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે. નોઈડા ઓથોરિટી પાલતૂ પ્રાણીઓના રજીસ્ટ્રેશનમાં તેજી લાવવા માટે અલગ-અલગ સ્થાનો પર 14 ફેબ્રુઆરી સુધી પેટ રજીસ્ટ્રેશન કેમ્પ લગાવવામાં આવશે. આ સિવાય મોબાઈલ એપના માધ્યમથી પણ પાળતૂ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.