ગાંધીનગરના રાજભવન ખાતે PM મોદી મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.
મોરબીમાં થયેલ પૂલ દુર્ઘટના મામલે
PM મોદીએ રાજભવન ખાતે યોજી હાઈલેવલ બેઠક
અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ કરો : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન મોરબીમાં થયેલ દુર્ઘટને લઇને નરેન્દ્ર મોદી સતત અપડેટ મેળવી રહ્યા છે. ગઇકાલે મુખ્યમંત્રી સાથે વાતચિત કરી અસરગ્રસ્તોને શક્ય તેટલી તાત્કાલિક મદદ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ આજે મોરબી દુર્ઘટના મામલે PM મોદીએ ગાંધીનગર રાજભવન ખાતે હાઇલેવલની બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમને સ્થળ પર ચાલી રહેલા બચાવ કાર્ય વિશે સબંધીત વિભાગ પાસેથી માહિતી મેળવી હતી અને PM મોદીએ ફરી એકવાર એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો કે અસરગ્રસ્તોને તમામ શક્ય તમામ મદદ મળે. PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.
બનાસકાંઠા કાર્યક્રમમાં મોરબીની ઘટનાથી નરેન્દ્ર મોદી થયા ભાવુક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠા જિલ્લાના થરાદથી ₹ 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોનું મુહૂર્ત કર્યું હતું. આ વેળાએ નરેન્દ્ર મોદી મોરબીની ઘટનાને લઇને ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું કે આજે ગુજરાત શોકમાં ડૂબેલું છે અને દેશવાસીઓ પણ ખૂબ દુ:ખી થયા છે. દુ:ખની ઘડીમાં સૌની સંવેદના પીડિત પરિવારની સાથે છે, ભૂપેન્દ્રભાઈ અને તેમના સાથીઓ પૂરી શક્તિથી કામ કરી રહ્યા છે. ભૂપેન્દ્ર ભાઈ ગઇકાલે જ મોરબી પહોંચી ગયા હતા, હું પણ રાતભર સતત તેમના સંપર્કમાં રહ્યો. કહ્યું મન બહુ વ્યથિત હતું કે કાર્યક્રમ કરું કે ન કરું, પણ કર્તવ્યથી બંધાયેલા સ્વભાવના કારણે મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો છું. તેમ જણાવ્યું હતું.
હું એકતાનગરમાં છું પણ મારુ મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે : PM મોદી
વધુમાં એકતાનગરના કાર્યક્રમ પણ PM મોદી મોરબીની ઘટનાને પગલે ભવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે હું એકતાનગરમાં છું પણ મારુ મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. વધુમાં તેમણે કહ્યું કે આવી પીડા મેં મારા જીવનમાં ખૂબ ઓછી અનુભવી છે. એક તરફ દર્દથી ભરાયેલ હૃદય છે અને બીજી તરફ કર્મ અને કર્તવ્યનું પથ છે, હું તમારી વચ્ચે છું પણ કરુણાથી ભરાયેલું મન પીડિત પરિવારો સાથે છે.
મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીના તમામ અપડેટ:
- મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 130 થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ
- ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત
- CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ
- આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
- મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત
- તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
- મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ
- દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ
- ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા
- જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો