જુનાગઢઃ ગુજરાત રાજ્યનું વર્ષ 2018-19નું બજેટ વિધાનસભામાં રજૂ થતાં જ તેના વિશે ક્રિયા-પ્રતિક્રિયાઓ આવી રહી છે. બજેટ અંગે પોતાનુ મંતવ્ય જણાવતતાં મંત્રી ગણપત વસાવાએ આ બજેટને આદિવાસીઓ માટે અનેક યોજના વાળું બજેટ ગણાવ્યું હતું.
ટ્રાઈબલ યુનિવર્સિટી બનાવવા માટે 20 કરોડ રૂપિયાની ફાળવણી કરવા બદલ નાણામંત્રીનો આભાર માન્યો હતો. તો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે અનુસૂચિતજાતિ અને અન્ય પછાત વર્ગો માટેની જોગવાઈને લઇને સંતોષ અને ખુશી વ્યક્ત કરી હતી.
ગણપત વસાવાએ કહ્યું કે આદિવાસી દલિત ઓબીસી સમાજ વતી હું નાણામંત્રીને અભિનંદન કરૂં છું. આ બજેટમાં આદિવાસી સમાજ માટે અનેક યોજનાઓનો સમાવેશ છે. ટ્રાઇબલ યુનિવર્સીટી બનાવવા માટે 20 કરોડનું આયોજન છે. આઝાદીમાં આદિવાસી સમાજના લડવૈયાઓ માટે મ્યુઝિયમ માટે 7 કરોડની જોગવાઇ.
આદિવાસી વિદ્યાર્થીઓ માટે 5 શાળાઓ પણ શરૂ કરવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં દૂધ સંજીવની યોજના માટે 377 કરોડની જોગવાઇ. આદિવાસી સમાજની સિંચાઇની સુવિધા માટે 857 કરોડની જોગવાઇ કરાઇ છે. આદિવાસી ખેડૂતો આવનાર દિવસોમાં સિંચાઇનો લાભ લઇ શકશે. આદિવાસી જિલ્લાઓમાં ઘરે ઘરે પીવાનું પાણી મળે તે 2800 કરોડની યોજના છે.
જ્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારે અનુસૂચિતજાતિ અને અન્ય પછાત વર્ગો માટે જોગવાઇઓને લઇ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું ખાસ મહત્વ છે. ગત વર્ષના 2857 કરોડના બજેટમાં આ વર્ષે 27.42 ટકાનો વધારો કરાયો છે.
સામાજિક ન્યાય વિભાગ માટે બજેટમાં 3641 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બિનઅનામત વર્ગના સામાજિક આર્થિક રીતે નબળા વર્ગ માટે 506 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. દિવ્યાંગોને ઇલેક્ટ્રિકલ સ્કૂટર ખરીદવા સહાય આપવામાં આવશે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 300ની રકમમાં વધારો કરીને 600 રૂપિયા કરવામાં આવ્યા છે.