રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે જેને પરિણામે બંને શહેરોમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો થયો છે.
અમદાવાદ-સુરતમાં વકર્યો કોરોના
તંત્રએ જાહેર કર્યા રેડઝોન
અમદાવાદમાં તંત્રની લાપરવાહી આવી સામે
અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે પરંતુ હજી પણ ક્યાંકને ક્યાંક બેદરકારી દાખવી રહ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. પછી તે તંત્ર હોય કે સામાન્ય નાગરિક. અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યા પરંતુ તંત્ર માત્ર કન્ટેઇનમેન્ટ ઝોનના પાટિયા મારીને સંતોષ માની રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 177 પહોંચી છે પણ તંત્ર દ્વારા માત્ર પાટિયા માર્યા સિવાય અહીં બીજી કોઇ કામગીરી કરવામાં આવતી નથી. માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં લોકો બેરોકટોક અવરજવર કરી રહ્યા છે તો પછી કન્ટેઇનમેન્ટ ઝોન રાખવાનો શુ મતલબ ?
તંત્ર પાટિયા મારીને સંતોષ માનશે ?
કોઇ વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવાનો અર્થ એ છે અહીં કોરોનાના કેસ વધારે છે જેથી સંક્રમણ વધુ ન ફેલાય. આ વિસ્તારમાં અવરજવર બંધ કરી દેવામાં આવે છે. ખાસ જરુરિયાત સિવાય કોઇને અવરજવર કરવા દેવામાં આવતી નથી. પરંતુ અહીં તો લોકો બેફામ અવરજવર કરી રહ્યા છે. આ નિયમોનું ઉલ્લંઘન નથી તો બીજુ શું છે ?શું આ અવર જવર કરતા લોકોથી સંક્રમણ વધારે નહી ફેલાય ? અહીં મોટુ બોર્ડ મુકવાથી કંઇ ન થાય, નિયમોનું પાલન કરાવવાની જવાબદારી કોની ? 152 ઘરોના 580 લોકોને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકવામાં આવ્યા છે પણ જો આવી રીતે માત્ર પાટિયા મારીને દેખાડો જ કરવાનો હોય તો માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનનો કોઇ અર્થ નથી રહેતો.
અમદાવાદમાં વધ્યા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન
અમદાવાદમાં ત્રીજી લહેરમાં કોરોનાએ આતંક મચાવ્યો છે. રોજે રોજ શહેરમાંથી લગભગ 2 હજારની આસપાસ કોરોના પોઝિટિવ કેસો બહાર આવી રહ્યા છે જે બહુ મોટી ચિંતાનો વિષય તંત્ર માટે છે. ત્યારે કોરોના બેલગામ થતો અટકાવવા શહેરમાં વધુ 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જ્યારે 16 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન માંથી મુક્તી આપી દેવામાં આવી છે. પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ, હાટકેશ્વર અને નિકોલમાં વિસ્તારમાં વધુ કેસો બહાર આવતા અમુક વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે.ગોદરેજ ગાર્ડન સિટીના તીવોલી ફ્લેટના 48 ઘરો તેમજ કુલ અલગ અલગ 21 વિસ્તારોના 152 ઘરોના 580 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
અમદાવાદમાં 10 દિવસમાં 4 ગણા કેસ
01 જાન્યુઆરી 559 કેસ
02 જાન્યુઆરી 396કેસ
03 જાન્યુઆરી 631કેસ
04 જાન્યુઆરી 1290કેસ
05 જાન્યુઆરી 1637કેસ
06 જાન્યુઆરી 1835કેસ
07 જાન્યુઆરી 2281કેસ
08 જાન્યુઆરી 2521કેસ
09 જાન્યુઆરી 2487કેસ
10 જાન્યુઆરી 1923કેસ
સુરતમાં વધ્યા રેડ ઝોન
સુરતમાં પણ કોરોનાએ રફતાર પકડી છે. કેસો એટલા વધી રહ્યા છે કે હવે તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. અઠવા ઝોનના 6 વિસ્તારો રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે જ્યારે અઠવાના અન્ય 12 વિસ્તારોને હાઇરિસ્ક ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વરાછા અને ઉધનામાં એક એક વિસ્તાર હાઇરિસ્ક ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે રેડઝોન અને હાઇરિસ્ક ઝોનમાં બિનજરુરી અવરજવર કરવાનું ટાળે.