૧૦૦ વ્યાજમુક્તિની સ્કીમ ધરાવતી તંત્રની વન ટાઇમ સેટલમેન્ટ યોજનાનો રવિવારે તા. ૩૦ એપ્રિલ હોઈ છેલ્લો દિવસ છે. રવિવારે બાકી કરદાતાઓ વન ટાઇમ સેટલમેન્ટ યોજનાનો વધુમાં વધુ લાભ લઈ શકે તેવા ઉમદા આશયથી તંત્રએ સિવિક સેન્ટરને રાબેતા મુજબના સમયે ચાલુ રાખવાનો નાગરિકલક્ષી નિર્ણય લીધો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રોપર્ટી ટેક્સની આવક સૌથી મહત્ત્વનો સ્રોત
વન ટાઇમ સેટલમેન્ટ યોજનાનો રવિવારે તા. ૩૦ એપ્રિલ છેલ્લો દિવસ
૨૬ એપ્રિલ સુધી પ્રોપર્ટી ટેક્સમાં રૂ. ૧૬૨.૮૯ કરોડની આવક થઈ
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રોપર્ટી ટેક્સની આવક સૌથી મહત્ત્વનો સ્રોત ગણાય છે. તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેક્સની આવકમાં વૃદ્ધિ કરવા નીતનવાં આયોજન હાથ ધરાય છે, જે હેઠળ તંત્રએ વન ટાઇમ સેટલમેન્ટ યોજના જાહેર કરી છે, જેના હવે છેલ્લા ત્રણ દિવસ બાકી રહ્યા છે. ઉપરાંત પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના પણ જાહેર કરાઈ છે. આની સાથે ડિફોલ્ટર્સને ભીંસમાં લેવા સત્તાધીશોએ નવા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રારંભની સાથે મોટી રકમના બાકીદારો સામે લાલ આંખ કરવા લીધી છે, જે હેઠળ આવા ડિફોલ્ટર્સની મિલકતની જાહેર હરાજી કરવાનાં પણ ચક્રો ગતિમાન કર્યાં છે. તંત્રએ આજે પ્રસિદ્ધ કરેલી જાહેર નોટિસ મુજબ નવા ઓઢવની હોટલ તક્ષશિલાનો રૂ. ૫૩.૧૯ લાખથી વધુનો ટેક્સ તંત્રના ચોપડે બાકી છે.
ત્રણ દિવસમાં ભરપાઈ નહીં કરાય મિલકતોની એકતરફી જાહેર હરાજી કરવામાં આવશે
પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચિત હરાજીની આજે બહાર પડાયેલી જાહેર નોટિસ મુજબ કુલ પાંચ કોમર્શિયલ મિલકતોના માલિક કે કબજેદાર દ્વારા પ્રોપર્ટી ટેક્સની રકમ લાંબા સમયથી ભરપાઈ કરાઈ ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ બાકી મિલકતોના માલિક કે કબજેદાર દ્વારા બાકી રકમ ત્રણ દિવસમાં ભરપાઈ નહીં કરાય તો તેવા સંજોગોમાં તેમની મિલકતોની એકતરફી જાહેર હરાજી કરવામાં આવશે.
ક્યાં એકમનો કેટલો ટેક્ષ બાકી
જાહેર હરાજીમાં સૌથી ટોચના ક્રમે વસ્ત્રાલ રોડના નવા ઓઢવ ખાતેની તક્ષશિલા ગેલેરિયા હોટલ એન્ડ ક્રિશ રેસ્ટોરાં એન્ડ બેન્ક્વેટ હોલનો સમાવેશ થાય છે. આ હોટેલનો વર્ષ ૨૦૨૨-૨૩ સુધીનો રૂ. ૫૩,૧૯,૬૪૭નો ટેક્સ તંત્રમાં ભરપાઈ કરાયો નથી. ઉપરાંત વટવા જીઆઇડીસીના સી, બી ૧૨૩-ઈ + એ-ફેઝના શ્યામ ઇન્ટર મીડિયેટ્સનો રૂ. ૨૬,૦૫,૧૯૧નો બાકી ટેક્સ તંત્રના ચોપડે ઉધાર બોલે છે.
અમરાઈવાડીના નાગરવેલ હનુમાન રોડ પરના લક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ નં. ૨૫થી ૨૭ બાબુલ પ્રોડક્ટ્સનો રૂ. ૧૨,૬૭,૪૬૮નો ટેક્સ ભરાયો નથી તેમજ આ જ જીઆઇડીસીના ફેઝ નં. આઇ પ્લોટ નં. ૯૦/૦૯ના અજય કેમિકલનો રૂ. ૧૧,૯૨,૬૮૧નો ટેક્સ પણ તંત્રમાં બાકી બોલે છે. આ ઉપરાંત વટવા જીઆઇડીસીના ૭૭/૧૨ ફેઝ-આઇમાં આવેલી પી એન્ડ ડી રેસ્ટોરાંનો રૂ. ૮,૧૪,૨૯૮નો ટેક્સ ઉધાર છે.