સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બરોની ભલામણના સ્ક્રિનશોર્ટ વાયરલ થયા હતા, ભરતીમાં મોટી ધાંધલીના આરોપ લાગ્યા બાદ હવે એક્શન લઈ સમગ્ર ભરતી જ રદ કરી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી રદ
જુદા જુદા ભવનોમાં કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી
મીડિયા દ્વારા મુદ્દો ઉપડવામાં આવતા ભરતી પ્રક્રિયા રદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 23 ભવનોમાં 88 જેટલા પ્રાધ્યાપકોની કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી જેમાં વ્હાલા દવલા નીતિ રાખી હોવાના કોંગ્રેસની NSUI પાંખના આરોપ બાદ ભરતી રદ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવે ભરતી પ્રક્રિયા રદ કરવાનો આપ્યો આદેશ
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી મામલે આજ સવારથી મોટા પાયે NSUI વિરોધ કરી રહી હતી. જે બાદ સમગ્ર મામલો મીડિયાને ધ્યાને આવતા જુદા જુદા ભવનોમાં કરાર આધારિત ભરતીમાં થયેલી ગેરરીતિને ઉજાગર કરવામાં આવી હતી. મહત્વનું છે કે ઓપન ઇન્ટરવ્યૂ આધારે અધ્યાપકોની ભરતી યોજાઈ હતી જેમાં 23 ભવનોમાં 88 જેટલા પ્રાધ્યાપકોની કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી પણ ભરતી પ્રક્રિયામાં ધાંધલીના આરોપ લાગી રહ્યા હતા. વ્હાલા દવલાની નીતિ રાખી ઓળખીતા પ્રાધ્યાપકોને ભરવામાં આવ્યાના આરોપ લાગી રહ્યા હતા. બાદમાં સમગ્ર મામલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ભરતી પ્રક્રિયા પારદર્શિતા, મેરીટને આધારે કરવામાં આવે તેવી સૂચના આપી હતી. જે બાદ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવે ભરતીપ્રકિયા રદ કરવાના આદેશ આપ્યા છે.તેમજ આગામી સમયમાં નવેસરથી પ્રક્રિયા કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના ફોન બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવે લીધો નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની નિમણુકમાં વ્હાલા દવલાંની નીતિ અપનાવાતી હોવાને મામલે વિવાદ સર્જાયો હતો,ભાજપના સિન્ડિકેટ સભ્યોએ ‘ખાસ’ ગ્રૂપ બનાવી મનગમતા નામો આપ્યાનું સામે આવતા જ યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તેમના દ્વારા ભરતીની પ્રક્રિયા રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડને લઈ શિક્ષણમંત્રી હરકતમાં આવ્યા છે, તેમણે કુલપતિ સાથે ફોન પર શિક્ષણમંત્રી જીતુ વાઘાણી વાત કરી ભરતી અંગે વિગતો મેળવી ભરતી પ્રક્રિયા પારદર્શિતા, મેરીટને આધારે કરવામાં આવે તેવી સૂચના આપી હતી. તેમજ સમગ્ર મામલે શિક્ષણ વિભાગના અગ્ર સચિવને કાર્યવાહી કરવા સૂચના આપતા હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવે ભરતીપ્રકિયા રદ કરવાના આદેશ આપ્યા છે.જો કે હાલ તો સમગ્ર મામલે વધુ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.