'મંદી' આ શબ્દ સાંભળતા જ કેટલાય વેપારીઓ અને ઉઘોગપતિઓમાં ચિંતાનું મોજુ ફરી વળે છે. પરંતુ રાજકોટના એક ઉઘોગપતિએ મંદીનો સદ્દઉપયોગ કારીગરોના વ્યસનમુક્તિ માટે કર્યો હતો. ત્યારે કંપનીના આ નિર્ણય બાદ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા બાદમાં નિર્ણયને આવકાર્યો.
મંદીનો કરાયો સદુપયોગ
મંદીએ છોડાવ્યા વ્યસન
વ્યસનમુક્તિનું ઉત્તમ ઉદાહરણ
દેશમાં આર્થિક સ્થિતિને જોતા સૌ કોઇ મંદીના માહોલનો અનુભવ કરી રહ્યા છે. કેટલાક લોકો પોતાના વ્યવસાય બંધ કરવા લાગ્યા છે. તો કેટલાક કારખાનેદારો કામના કલાકો અને દિવસો ઓછા કરી રહ્યા છે. કારીગરોને કામ કેવી રીતે મળવું તે એક સવાલ છે ત્યારે આ જ મંદીનો રાજકોટના એક ઉઘોગપતિએ વ્યસનમુક્તિ માટે કર્યો હતો.
'કાં તો વ્યસન છોડો નહીં તો નોકરી...'
રાજકોટના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં ફાઉન્ડ્રીનો ઉધોગ ચલાવતા પર્વ મેટલ પ્રોસેસિંગ કંપની દ્વારા મંદીના સમયમાં તેમાં કામ કરતા 150થી વધારે કારીગરોને વ્યસનમૂક્તિ કરાવી હતી. કંપનીના માલિક સહદેવસિંહ ઝાલાએ થોડા છ મહિના પહેલા એક નિયમ બહાર પાડ્યો હતો. ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ કાં તો વ્યસન છોડે અથવા તો નોકરી છોડે.
કર્મચારીઓએ નોકરી માટે છોડ્યા વ્યસન
માલિકના આ નિયમનો કડક રીતે અમલવારી થઇ. એક તરફ મંદીમાં નોકરી મળવાના ફાફા પડી રહ્યા છે ત્યારે કંપનીના માલિકનો આદેશ પણ કર્મચારીઓએ સહર્ષ સ્વીકારી લીધો અને નોકરી માટે વ્યસન છોડી નાખ્યા.
સ્વાસ્થ્ય અને નોકરી માટે નિર્ણયને આવકાર્યો
કર્મચારીઓના કહેવા પ્રમાણે શરૂઆતના તબક્કે મુશ્કેલી પડી રહી હતી જો કે બાદમાં સ્વાસ્થ્ય અને નોકરી માટે આ નિયમ કર્મચારીઓએ પણ આવકાર્યો હતો.
મંદીના ડરના કારણે લોકો વ્યસન માટે જાગૃત બને તે જ હેતુઃ કંપની માલિક
કંપનીના માલિક સહદેવસિંહ ઝાલાએ કહ્યું હતું કે ઉધોગની માહિતી માટે અલગ અલગ દેશ અને કંપનીની મુલાકાત લેવા જવાનું થયુ તેમાં ટાટા ગ્રુપ પૂણા વ્યસનને લઇને કડક છે જે સૌરાષ્ટ્રમાં નથી અને સૌરાષ્ટ્રમાં તમાકુ સેવનનું પ્રમાણ વધારે છે જેથી મંદીના ડરને કારણે લોકો વ્યસન માટે જાગૃત બને તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં તમાકુ, માવા, બીડીનું વ્યસન વધારે છે જેના કારણે નાના અને મધ્યમ વર્ગના લોકો નાની ઉમરે પોતાની જીંદગીને જોખમમાં મૂકી દેતા હોય છે ત્યારે રાજકોટના ઉધોગપતિ સહદેવસિંહે મંદીનો લાભ લઇને ખરા અર્થમાં કર્મચારીઓનું સ્વાસ્થ્ય સુખી કરવાનું કામ કર્યુ છે.