CM રૂપાણીની તબિયત અંગે ભાજપની સ્પષ્ટતા, ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, અફવાઓ પર કોઈ ધ્યાન ન આપે. મુખ્યમંત્રીની તબિયત સારી છે.
વડોદરામાં સભા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી ઢળી પડ્યા હતા
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અમદાવાદ UN મહેતા હોસ્પિટલમાં થશે તપાસ
CM રૂપાણીની તબિયત અંગે ભાજપની સ્પષ્ટતા
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી પ્રચાર સભામાં ભાષણ કરી રહ્યા હતા. ત્યારે જ તેમની તબિયત લથડતા ઢળી પડ્યા હતા. મુખ્યમંત્રી પોતાના ભાષણમાં ગુજરાતના વિકાસ અંગે વાત કરી રહ્યા હતા. દરમિયાન તેમની તબિયત બગડતા જ બોલવામાં પણ તકલીફ પડી રહી હતી. જોકે તેમના કમાન્ડોને અંદેશો આવી જતાં મુખ્યમંત્રીને પકડી લીધા હતા. તેમ છતાં મુખ્યમંત્રી ઢળી પડ્યા હતા. તેમની પાસે બેસેલા પૂર્વ મેયર ડૉ. જીગીષાબેન શેઠે પણ સીએમનો હાથ પકડી ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો.
મુખ્યમંત્રીની આજે વડોદરામાં ત્રણ સભાઓ હતી. પહેલી સભા 6 કલાકે તરસાલીમાં, જે બાદ બીજી સભા સંગમ ચાર રસ્તા પર યોજાઈ હતી. ત્રીજી સભા નિઝામપુરાના મહેસાણા નગર નજીક યોજાઈ હતી. જેમા ભાષણ દરમિયાન જ મુખ્યમંત્રીની તબિયત લથડી હતી. જોકે ગ્લુકોઝનું પાણી આપ્યા બાદ વિજય રુપાણી થોડી વારમાં જ સ્વસ્થ થયા હતા. જાતે જ ચાલીને સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને પોતાની ગાડીમાં બેસી એરપોર્ટ રવાના થયા હતા.
CM રૂપાણીની તબિયત અંગે ભાજપની સ્પષ્ટતા
મુખ્યપ્રધાનને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ભાજપ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, અફવાઓ પર કોઈ ધ્યાન ન આપે. મુખ્યમંત્રીની તબિયત સારી છે. મુખ્યમંત્રીનું બીપી-લૉ થયું હતું. ડૉક્ટરે સારવાર આપતા તેઓ હવે સ્વસ્થ છે. તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ જાણકારી આપી કે, CM રૂપાણીની તબિયત સારી છે. તો આ તરફ મુખ્ય પ્રધાનની તબિયત અંગે જાણ થતા સી.આર પાટીલે શાહીબાગમાં સભા ટૂંકાવી છે અને સિવિલ હોસ્પિટલ જવા નિકળ્યા હતા.
CM રૂપાણીની સારવાર અંગે DyCM નીતિન પટેલનું નિવેદન
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, 10 ડોક્ટર્સની ટીમે CMની તપાસ કરી છે. અલગ-અલગ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તમામ રિપોર્ટ નોર્મલ છે. CM રૂપાણીને 24 કલાક ડૉક્ટર્સના ઓબ્ઝર્વેશનમાં રખાશે. હાલમાં CM રૂપાણીને કોઇ તકલીફ નથી.
આવતીકાલે હેલ્થ બુલેટિન જાહેર કરાશે: ડોક્ટર
UN મહેતાના ડાયરેક્ટર આર.કે.પટેલે કહ્યું કે, CM ચાલતા રૂમમાં ગયા હતા. ચિંતાનું કોઇ કારણ નથી. થાક અને ડિહાઇડ્રેશનના કારણે તેમને ચક્કર આવ્યા હતા. આવતીકાલે હેલ્થ બુલેટિન જાહેર કરાશે.
મુખ્યમંત્રીના પત્ની અંજલી રૂપાણીનું નિવેદન
મુખ્યમંત્રીના પત્ની અંજલી રૂપાણીએ ફોન પર વાત કરી હતી. તેઓ રાજકોટથી ગાંધીનગર જવા રવાના થયા છે. મુખ્યમંત્રીની તબિયત અંગે અંજલી રૂપાણીએ કહ્યું કે, વિજય રૂપાણી હાલ સ્વસ્થ છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ રૂપાણીની તબિયતને લઇને કર્યું ટ્વિટ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતના CM રૂપાણીના અસ્વસ્થ થવાના સમાચાર મળ્યા, હાલ તેઓ ડૉક્ટરોની સારવાર હેઠળ છે અને તબિયત સારી છે. હું ઇશ્વરને તેમના તાત્કાલિક સારા થવાની પ્રાર્થના કરું છું.
ચૂંટણી નજીક આવતા સતત સભાઓ કરી રહ્યા છે મુખ્યમંત્રી
હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દિવસ રાત સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ છેલ્લા કેટલાક દિવસોથી સતત સભાઓ અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે આજે વડોદરામાં મુખ્યમંત્રીની 3 સભા હતી. જોકે ત્રીજી સભા દરમિયાન મુખ્યમંત્રીને ચક્કર આવ્યા હતા. મુખ્યમંત્રીએ વડોદરામાં આ અગાઉ 2 સભા સંબોધી હતી. જામનગર અને ભાવનગરમાં 2-2 સભાઓ ગજવી હતી. સતત વ્યસ્ત કાર્યક્રમને લઇને ચક્કર આવ્યા હતા.