કોઇ પણ મંદિરમાં જાઓ કોઇ પણ ભગવાનને જોવો તેમની સાથે એક વસ્તુ સામાન્ય રીતે જોડાયેલી છે અને તે છે તેમનુ વાહન. લગભગ દરેક ભગવાનને કોઈને કોઈ વાહન જોવા જ મળે છે. આ વાહનમાં પશુ-પક્ષી જ જોવા મળે છે. શિવના નંદીથી લઈને સરસ્વતીના હંસ સુધી ભગવાન વિષ્ણુના ગરુડથી લઈ ઈન્દ્રના ઐરાવત સુધી દરેક દેવી દેવતાઓ પ્રાણીઓ પર સવાર થતાં દેખાય છે. જોકે શું તમને એ બાબતની જાણ છે કે આખરે શા માટે સર્વશક્તિમાન ભગવાન પ્રાણીઓ પર સવાર થતાં જોવા મળે છે? આવો જાણીએ…
ભગવાનનું વાહન દરેક પ્રાણીઓ છે એ પાછળ અનેક કારણો છે. જેમાં આધ્યાત્મિક વૈજ્ઞાનિક અને વ્યાવહારિક કારણોનો સમાવેશ થાય છે. જે કારણે ભારતીય ઋષિઓએ ભગવાનના વાહન તરીકે બતાવ્યાં છે. હકીકતમાં દેવતાઓ સાથે પશુઓને તેના વ્યવહારને અનુરૂપ જોડવામાં આવ્યાં છે. બીજું સૌથી મોટું કારણ છે પ્રકૃતિની રક્ષા કરવી. જો પશુઓને ભગવાન સાથે જોડવામાં ન આવ્યાં હોત તો પશુ પ્રત્યે હિંસાનું પ્રમાણ પણ વધ્યું હોત.
ગણેશજી અને મૂષક:
ભગવાનોએ પોતાની સવારી હંમેશા વિશેષ રૂપથી પસંદ કરી છે ત્યાં સુધી તેમના વાહન તેમનું ચારિત્રિક વિશેષતા બતાવે છે. ભગવાન ગણેશનું વાહન મૂષક છે. મૂષક શબ્દનો સંસ્કૃતના મૂષથી બન્યો છે. જેનો અર્થ થાય છે લૂંટવું અથવા ચોરવું. સાંકેતિક રીતે મનુષ્યનું મગજ મૂષક જેવું એટલે કે ઉંદર જેવું હોય છે. જેમાં સ્વાર્થભાવ ભરેલો હોય છે. ગણેશજીનું ઉંદર પર બેસવું એ બાબતનો સંકેત છે કે તેમણે સ્વાર્થ પર વિજય મેળવ્યો અને જનકલ્યાણના ભાવને પોતાની ભીતર જાગૃત કર્યો છે.
શિવ અને નંદી:
શિવ ભગવાન ભોળેનાથ કહેવાય છે પરંતુ જ્યારે તેઓ ક્રોધ કરે છે ત્યાર પછીનું પરિણામ વિશાનકારી હોય છે. તેમનું વાહન નંદી છે. સંકેતોની ભાષામાં નંદી શક્તિ આસ્થા અને ભરોસાનું પ્રતિક છે. નંદીથી ભગવાન શિવનું ચરિત્ર મોહમાયા અને ભૌતિક ઇચ્છીઓથી દૂર રહેનાર જણાવ્યું છે. સાંકેતિક ભાષામાં નંદી આ દરેક વિશેષતાઓને ચરિતાર્થ કરે છે. જેથી શિવનું વાહન નંદી છે.
કાર્તિકેય અને મોર:
ભગવાન કાર્તિકેયનું વાહન મોર છે. એક દંતકથા અનુસાર આ વાહન તેમને ભગવાન વિષ્ણુએ ભેટમાં આપ્યું હતું. ભગવાન વિષ્ણુએ કાર્તિકેયની વિશાળ ક્ષમતાને જોતાં તેમણે આ વાહન ભેટ આપ્યું હતું. જેનો સાંકેતિક અર્થ હતો કે પોતાના ચંચળ મનરૂપી મોરને કાર્તિકેયે વશમાં કર્યું છે. તો અન્ય એક કથામાં દંભના વિનાશ તરીકે કાર્તિકેય સાથે બતાવ્યું છે.
માં દુર્ગા અને સિંહ:
દુર્ગા તેજ શક્તિ અને સામથ્ય્રનું પ્રતિક છે અને તેમની સાથે સિંહ છે. સિંહ ક્રૂરતા આક્રમકતા અને શૌર્યનું પ્રતિક છે. વિશેષતાઓ મા દુર્ગામાં પણ જોવા મળે છે. એક માન્યતા અનુસાર સિંહની ત્રાડને પણ મા દુર્ગાનો અવાજ માનવામાં આવે છે. જેની સામે સંસારના દરેક અવાજ નબળા લાગે છે.
ભગવાન વિષ્ણુ અને ગરૂડ:
ગરૂડ દિવ્ય શક્તિઓ અને અધિકારોનું પ્રતીક છે. ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યુ છે કે ભગવાન વિષ્ણુમાં જ સંસાર સમાયો છે. આ વિશાળકાય પક્ષી પણ આ જ વાતનો સંકેત છે. ભગવાન વિષ્ણુની દિવ્યતા અને અધિકાર ક્ષમતા માટે ઉત્તમ પ્રતિક છે.
લક્ષ્મીજી અને ઘૂવડ:
લક્ષ્મીજીના વાહન ધૂવડેને સૌથી વિચિત્ર પંસદગી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે ઘૂવડ દિવસે સારી રીતે જોઇ શકતું નથી. જોકે ઘૂવડ શુભ અને ધન તેમજ સંપત્તિની નિશાની માનવામાં આવે છે.
મા સરસ્વતી અને હંસ:
હંસ સંકેતોની ભાષામાં પવિત્રતા અને જિજ્ઞાસાનું પ્રતિક છે. જે જ્ઞાનની દેવી મા સરસ્વતીનું ઉત્તમ વાહન છે. સરસ્વતીનું હંસ પર બિરજવું ફકત એ જ ઇશારો કરે છે કે જ્ઞાનથી જ જિજ્ઞાસાને શાંત કરી શકાય છે. આ ઉપરાંત પવિત્રતા પણ જાળવી શકાય છે.