કશ્યપ નામના ઋષિ અને તેમની પત્ની દિતીને 2 પુત્ર થયા. હરિણ્યક્ષ અને હિરણાકશ્યપુ. હિરણ્યક્ષને ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધરીને મારી નાંખ્યો. પોતાના ભાઇના મૃત્યુથી દુખી અને ક્રોધિત થઇને હિરણ્યકશ્યપુએ પ્રતિશોધ લેવાનુ નક્કી કર્યું.
સો વર્ષો સુધી તેણે કઠોર તપ કર્યુ અને તેનાથી પ્રસન્ન થઇને બ્રહ્માજીએ તેને અમર થવાનુ વરદાન આપ્યું. વરદાન પ્રાપ્ત કરીને તેણે સ્વર્ગ પર પોતાનુ આધિપત્ય સ્થાપી દીધું. લોકપાલોને ભગાવીને પોતે અધિપતિ બની ગયો. દેવતાઓ પણ નિરુપાય થઇ ગયા હતા કારણકે તે આ અસુરને પહોંચી નહોતા વળતા.
બ્રહ્માજીએ તેને વરદાન આપ્યુ હતુ કે તેને ઘરમાં કે બહાર, અસ્ત્ર કે શસ્ત્ર, ના દિવસમાં કે રાતમાં, ના મનુષ્ય કે ના જાનવર, ન આકાશ કે પૃથ્વી કોઇ જગ્યાએ તેને મારી ન શકાય.
આ પ્રકારના વરદાન બાદ અસુરે પ્રભુના ભક્તો પર અત્યાચાર કરવાનુ શરુ કરી દીધુ હતુ. ભક્ત પ્રહલાદના જન્મ બાદ તેની ભક્તિથી તે ભયભીત થઇ જાય છે. તેને મારી નાંખવા માટે તે બનતા બધા જ પ્રયત્નો કરે છે પરંતુ તેમાં સફળતા મળતી નથી.
બાદમાં ભગવાન નરસિંહે હિરણ્યકશિપુને ખોળામાં લઈને ઘરના ઉંબરા વચ્ચે એટલે કે ઘરમાં નહીં અને બહાર પણ નહીં, અસ્ત્ર-શસ્ત્ર વિના પોતાના નખ વડે, નર કે પશુ રૂપે નહીં પરંતુ મસ્તક સિંહનું અને દેહ માનવાનો ધરીને ‘નરસિંહ’ રૂપે અવતરીને, આકાશ કે પૃથ્વી પર નહીં પરંતુ પોતાના ખોળામાં સુવાડીને તેનું શરીર નખ વડે ચીરી નાખ્યું.
તેનો વધ કર્યા બાદ પણ ભગવાન નરસિંહનો ક્રોધ શાંત નહોતો થયો, તેમનો ક્રોધ એટલો વધારે હતો કે ભક્ત પ્રહલાદ પણ તેને શાંત કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. બાદમાં તેમને ભગવાન શંકર પાસે લઇ જવામાં આવ્યા. ભગવાન શંકરને પ્રત્યક્ષ સામે જોઇને પણ તેમનો ક્રોધ શાંત ન થયો ઉપરથી તે શંકર ભગવાન પર આક્રમણ કરવા દોડ્યા, ત્યારે મહાદેવે ઋષભનો અવતાર લીધો અને નરસિંહ ભગવાનને પોતાની પૂંછડીમાં બાંધીને ખેંચીને પાતાળ લોકમાં લઇ ગયા.
પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યા બાદ પણ જ્યારે તે છૂટી ન શક્યા ત્યારે તેમનો ક્રોધ શાંત થયો અને ઋષભ અવતારમાં રહેલા મહાદેવને ઓળખ્યા બાદમાં ભગવાન શંકરે તેમને મુક્ત કરી દીધા. આ સાથે જ ભક્ત પ્રહલાદ તેમજ દેવતાઓને 2 મહાન રૂપના દર્શન થયા.