ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ ત્રણ દિવસ રાજ્યભરમાં કમોસમી વરસાદ રહેશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા
રાજ્યભરમાં અત્યારે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે, ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ ત્રણ દિવસ રાજ્યભરમાં કમોસમી વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદ, ગાંધીનગર તેમજ મહેસાણામાં વરસાદ વરસી શકે છે. તો સાબરકાંઠા,બનાસકાંઠા અને પાટણમાં પણ વરસાદની શકયતા છે. આ ઉપરાંત આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વરસાદની શકયતા છે. સુરેન્દ્રનગર, ભાવનગર, ડાંગ, વલસાડ અને ભરૂચમાં વરસાદ વરસે તેવી શકયતા છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 4 અને 5 મેના રોજ વધુ વરસાદ થવાની શક્યતા છે. કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓને 2 દિવસ પછી સ્કૂલમાંથી માર્કશીટ મળશે. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો મોરબી જિલ્લો 83.22 ટકાના પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે છે, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો છે.હળવદ કેન્દ્રનું 90.41% આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ લીમખેડા કેન્દ્રનું 22% આવ્યું છે. રાજ્યમાં 27 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે. રાજ્યમાં 76 શાળાઓનું પરિણામ 10%થી ઓછું આવ્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા TATની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ આગામી 4 જૂને પ્રીલિમનરી પરીક્ષા લેવામાં આવશે. તો 18 જૂને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. TATની પરીક્ષા માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરુઆત થશે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે. 29 એપ્રિલે શિક્ષણ વિભાગ દ્વારા TATની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારને લઈને પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પહેલી પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. TATની પરીક્ષા પદ્ધતિ હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. જેમાં પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની રહેશે. જ્યારે બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં એકપછી એક ઘણા કૌભાંડોનો પર્દાફાશ થઈ રહ્યો છે. અત્યારે હવે નકલી માર્કશીટ અને સર્ટિફિકેટનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. SOGએ એક આરોપીને ઝડપી પાડ્યો છે અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.દ્વારકા SOGની ટીમે સલાયાના પરોડીયા રોડ પરથી એક શખ્સની ધોરણ 10ની 66 નકલી માર્કશીટ સાથે ધરપકડ કરી છે. SOGની ટીમે પરોડીયા રોડ પરથી અજીમ ડુંગડા નામના એક શખ્સની ધરપકડ કરી છે. તેની પાસેથી ધોરણ-10ની 66 નકલી માર્કશીટ મળી આવી છે. SOGને આ શખ્સ પાસેથી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગરની નકલી માર્કશીટ સહિત STCW સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે.
7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાશે, ત્યારે તલાટીની પરીક્ષાને લઈ પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પરીક્ષાની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પરીક્ષાની સમિતિમાં સામેલ તમામ અધિકારીઓ સાથે બેઠક કરી લેવામાં આવી છે અને આજે મુખ્ય સચિવ સાથે બેઠક થવાની છે. વધુમાં તેમણે કહ્યું કે, તલાટીની પરીક્ષા માટે 8.64 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 8.19 લાખ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. જેથી 7.5 લાખ ઉમેદવાર પરીક્ષા આપે તેવી અમારી ધારણા છે.
વલસાડનાં પારડીની પારનદી પરથી યુવતીની મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી. નાના બ્રિજ પરથી યુવતીએ છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું છે. પારડી તાલુકાનાં વાઘછીયા ગામની યુવતીએ પાર નદીમાં ઝંપલાવ્યું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કઢાયો હતો. આજે ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અમુક વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થતા નાસીપાસ થઈ જતા હોય છે. જેને લઈને વિદ્યાર્થીઓ કંઈ આડું અવળું પગલું ભરતા હોય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર કરતા પરીક્ષામાં બીજી વખત નાપાસ થતા યુવતિ દ્વારા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે પારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શિક્ષણ વિભાગ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં પૂરક પરીક્ષા પ્રિલિમ પરીક્ષા તેમજ વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પાંચ જૂનથી શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થશે તેમજ દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. 9 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દિવાળી વેકેશન રહેશે. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં 19 રજાઓ મળવા પાત્ર રહેશે. 11 માર્ચ 2024થી 28 માર્ચ 2024 સુધી બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. 8 એપ્રિલ 2024થી શાળાકીય પરીક્ષા યોજવામાં આવશે. તેમજ 6 મે 2024થી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે.
ગુજરાત AAPમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે જેમાં મનોજ સોરઠિયાને મહામંત્રી (સંગઠન) તરીકે નિમણૂક કરાઈ છે જ્યારે સાગર રબારીને હેડ ક્વાર્ટરના મહામંત્રી બનાવામાં આવ્યા અને પી વી એસ શર્માને ઈવેન્ટ મુદ્દેના મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ તેમજ રાકેશ હિરપરા કેમ્પેઈન મહામંત્રી તરીકે નિમાયા છે જ્યારે પ્રવિણ રામને મોરચા મહામંત્રી તરીકેની વરણી કરાઈ છે. પી વી એસ શર્માની સુરત શહેરના AAP પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. અત્રે તમને જણાવી દઈએ કે, 5 આગેવાનોની અલગ અલગ ઝોનમાં સંગઠન મંત્રી તરીકે નિમણૂક કરાઈ છે.
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો જોરશોરથી પ્રચાક કરવા લાગ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ મોરચો સંભાળ્યો છે. ત્યારે ગઈકાલે કર્ણાટકમાં પીએમ મોદી વિપક્ષ પર વરસી પડ્યા હતા. મંગળવારે કર્ણાટકમાં જનસભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને ભગવાન શ્રી રામ સાથે પણ સમસ્યા હતી અને હવે તે જય બજરંગબલીનો નારા લગાવનારાઓથી પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે.કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે, જેને લઈને પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું- આજે હનુમાનજીની આ પવિત્ર ભૂમિ પર પ્રણામ કરવા આવ્યો તે મારૂં સૌભાગ્ય છે પરંતુ સાથે દુર્ભાગ્ય એ છે કે આજે જ્યારે હું અહીં હનુમાનજીને નમન કરવા આવ્યો છું, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેના ઢંઢેરામાં બજરંગબલીને તાળામાં બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
#WATCH | Today it is my great fortune to bow down to this holy land of Hanuman ji and see the misfortune, today when I have come here, at the same time the Congress party has decided to lock Bajrangbali in its manifesto. Earlier Shri Ram was locked up and now they have taken the… pic.twitter.com/F2IqRrQ8xp
મહારાષ્ટ્રમાં આ દિવસોમાં રાજકારણ ગરમાયું છે. આ તરફ સમાચાર સામે આવી રહ્યા છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના દિગ્ગજ નેતા શરદ પવારે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આ વાતની પુષ્ટિ ખુદ શરદ પવારે કરી છે. તાજેતરમાં NCP નેતા અને ભત્રીજા અજિત પવારથી શરદ પવારના અલગ થવાના સમાચાર સામે આવ્યા હતા.શરદ પવારે કહ્યું કે હું એનસીપી અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરું છું. મારી પાસે સાંસદ તરીકે ત્રણ વર્ષ બાકી છે. આ દરમિયાન હું રાજ્ય અને કેન્દ્રના મુદ્દાઓ પર નજર રાખીશ. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે મારી નિવૃત્તિ જાહેર જીવનમાંથી નથી. NCP કાર્યકર્તાઓએ માંગ કરી છે કે શરદ પવારે અધ્યક્ષ પદ છોડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. તેઓએ આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ.
#WATCH | "I am resigning from the post of the national president of NCP," says NCP chief Sharad Pawar pic.twitter.com/tTiO8aCAcK
મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધીનું 89 વર્ષની વયે અવસાન થયું છે. વાત જાણે એમ છે કે, અરુણ મણીલાલ ગાંધીનું મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. નોંધનીય છે કે, અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. અરુણ મણીલાલ ગાંધીના નિધનને લઈ તેમના પુત્ર તુષાર ગાંધીએ જણાવ્યું કે, તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરવામાં આવશે. અરુણ મણીલાલ ગાંધી મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર છે. તેમનો જન્મ 14 એપ્રિલ 1934ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયો હતો. તેમના પિતા અહીં પ્રકાશિત થતા અખબાર ઈન્ડિયન ઓપિનિયનના સંપાદક હતા, જ્યારે તેમની માતા એ જ અખબારમાં પ્રકાશક હતા.
તિહાડ જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા ઉર્ફે સુનીલ માનની હત્યા કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, મંગળવારે સવારે જેલમાં બંધ બદમાશોએ લોખંડની ગ્રીલ તોડીને તેના પર હુમલો કર્યો હતો. બદમાશોએ ટિલ્લુના પેટમાં લોખંડનો સળિયો માર્યો હતો . આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેલના કર્મચારીઓએ તેને ઝડપથી દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તિહાડ જેલમાં બંધ ટીલ્લુ તાજપુરિયાનું સવારે સાડા છ વાગ્યે દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં નિધન થયું હતું. ટિલ્લુ પર હુમલો કરનાર બદમાશનું નામ યોગેશ ટુંડા છે. આ હુમલામાં યોગેશના સાથીઓએ પણ તેને સાથ આપ્યો હતો. જોકે પોલીસે હવે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, ટિલ્લુ તાજપુરિયા સામે હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા છે.
દિલ્હી દારૂ કૌભાંડ મામલે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દારૂનીતિ મામલે આમ આદમી પાર્ટીની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં દિલ્હી દારૂ કૌભાંડની તપાસ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યુ છે. EDની પૂરક ચાર્જશીટમાં ઘણા મોટા ખુલાસા થયા છે. હવે એક્સાઇઝ પોલિસીના મામલે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યું છે. EDની ચાર્જશીટ મુજબ, મનીષ સિસોદિયાના પીએ સી અરવિંદે તેમના નિવેદનમાં રાઘવ ચઢ્ઢાનું નામ લીધું છે. આ તરફઆ હવે રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
પ્રાઈવેટ એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ આકરી નાણાભીડમાં આવી ગઈ છે અને તેથી તેણે 3-4 મેના દિવસે તમામ ફ્લાઈટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને આ સંબંધમાં કંપનીએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને જાણ કરી દીધી છે જે પછી સિવિલ એવિએશને આ સમાચાર જાહેર કર્યાં હતા. વાડિયા ગ્રુપની માલિકીની ગો ફર્સ્ટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને બાકી લેણાં ન ચૂકવવાને કારણે તેની ફ્લાઇટ્સ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. એરલાઇનને નોંધપાત્ર નાણાકીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે વારંવારની સમસ્યાઓ અને તેના એરબસ એ3 નિયો એરક્રાફ્ટને શક્તિ આપતા પ્રેટ એન્ડ વ્હિટની એન્જિનનો પુરવઠો ન હોવાને કારણે તેને તેના કાફલાનો અડધોઅડધ હિસ્સો ઉતારવો પડ્યો હતો. આનાથી એરલાઇન્સના રોકડ પ્રવાહ પર ગંભીર અસર પડી છે.
Go First Airlines informed DGCA that all its flights will remain cancelled on 3rd and 4th of May: DGCA pic.twitter.com/tHvJt5zB6n