કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પોતાના પર થયેલા હુમલા મુદ્દે આજે મીડિયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ભાજપે જે કરવું હોય તે કરે મને કોઈ ફર્ક પડતો નથી.
હાર્દિકે કહ્યું હતું કે ચૂંટણીનો માહોલ જે પ્રકારે છે અને મારી સભામાં જેટલી ભીડ જમા થાય છે તે જોઈને ભાજપના લોકો ડરી ગયાં છે. હાર્દિકે કહ્યું હતું કે મારે કોઈ સિક્યોરિટીની જરૂર નથી કારણ કે તે સિક્યોરિટી નહીં પરંતુ જાસૂસ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વઢવાણ તાલુકાના બલદાણા ગામે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર સોમાભાઈ પટેલના પ્રચાર માટે હાર્દિક પટેલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હાર્દિક પટેલ સ્ટેજ પર પ્રવચન કરી રહ્યા હતા તે સમયે સ્ટેજ પર આવી એક શખ્સે હાર્દિક પટેલને જાહેરમાં લાફા ઝીકતા દોડધામ મચી જવા પામી હતી.
હાર્દિકે કહ્યું હતું કે મને ખબર નથી પડી રહી કે એક 25 વર્ષનો છોકરો ભાજપને શું નડી રહ્યો છે. હજુ તો હું માંડ રાજકારણના પગલાં ભરી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે હંમેશા હાર્દિક ચર્ચામાં રહ્યો છે, ક્યારેક સ્યાહી ફેકવાની ઘટના બની છે તો ક્યારેક તેની ગાડી પર ઈંડા ફેંકવામાં આવ્યા છે. આ વખતે તેને તમાચો મારવાના કારણે તે ચર્ચામાં છે. મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણી સમયે મધ્યપ્રદેશમાં હાર્દિક પર સ્યાહી ફેંકવામાં આવી હતી તેમજ તેની ગાડી પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા.
કોંગ્રેસે લગાવ્યો ભાજપ પર આરોપ
હાર્દિક પટેલને સભા દરમિયાન લાફો મારવાને લઇ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી અને ભાજપ પર આરોપ લગાવ્યો. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, કોંગ્રેસના સ્ટાર પ્રચારકને હેરાન કરવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટ શાસન સામે લડતા હાર્દિકને હેરાન કરાય છે, ભાજપ ડરી ગયું છે અટલે ગુંડાગીરીથી સત્તા ટકાવે છે અને ભાજપના વિવિધ ધારાસભ્યો ડર અને ભયનો માહોલ ઉભો કરે છે. હાર્દિકને ચૂંટણી લડતા અટકાવવાનુ કામ ભાજપે કર્યુ છે.