લોકસભાની ચૂંટણીનું પરિણામ આગામી 23 મેના રોજ જાહેર થવાનું છે પરંતુ દેશનું એક સ્થળ એવું પણ છે જ્યાં 22 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે, ચંદીગઢના જિલ્લા ચૂંટણી અધિકારી શિવ દુલાર સિંહ ઢિલ્લોને રાજાસાંસી વિધાનસભા હલકાના પોલિંગ સ્ટેશન નં-123માં ફરીએકવાર મતદાન યોજવાનો આદેશ આપ્યો છે. આ મતદાન આગામી 22 મેના રોજ યોજાવાનું છે.
ફેર મતદાનની શરૂઆત સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, ફેર મતદાન એટલા માટે યોજવાની ફરજ પડી છે કારણ કે, પોલિંગ સ્ટેશન પર સ્થાપિત વેબ કાસ્ટ કેમેરા દ્વારા જાણકારી પ્રાપ્ત થઇ છે કે, પોલિંગ સ્ટેશન પર ચૂંટણી પ્રક્રિયાના આદેશનું યોગ્ય પાલન થયું નથી.
આ સાથે જ વોટ પ્રાઇવસીનું ઉલ્લંઘન પણ થયું છે. વોટર કંપાર્ટમેન્ટમાં એક વ્યક્તિથી વધારે લોકો દેખાય છે. જો કે, આ ફેર મતદાન મામલે કોઇપણ રાજનીતિક પાર્ટીને તકલીફ નથી. પરંતુ આ મામલા અંગેનો નિર્ણય રાજ્યના ચૂંટણી અધિકારી દ્વારા લેવામાં આવેલ છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ આ બુથની ચૂંટણી રદ્દ કરીને ફરીવાર યોજવાના આદેશ આપ્યા છે.