ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન સાથે જ CMOમાં ધરખમ ફેરફાર કરાયા છે. ત્યારે કે.કૈલાસનાથન ફરીવાર CMના નવા ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કે.કૈલાસનાથન CMના નવા ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી
સામાન્ય વહીવટ વિભાગે કર્યો ઓર્ડર
નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી આપશે સેવા
1979ની બેચના નિવૃત્ત IAS અધિકારી કે.કૈલાસનાથન નિવૃત્તિ બાદ પણ વર્ષોથી CMO(ચીફ મિનિસ્ટર્સ ઓફિસ)માં સેવા આપે છે. આ અંગે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ઓર્ડર કર્યો છે.
નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી આપશે સેવા
નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી તેઓ સેવા આપતા રહેશે. કૈલાસનાથન 15 વર્ષથી CMOમાં કાર્યરત છે. મુખ્યમંત્રીના ACS તરીકે પંકજ જોશી નિમણૂક કરાઈ છે.જ્યારે અશ્વિનીકુમારની જગ્યાએ IAS અવંતિકા સિંઘ ઔલખની નિમણૂક કરવામાં આવી છે.
ભરૂચના કલેક્ટર ડો.એમ.ડી મોડિયાની CMOમાં OSD તરીકે નિમણૂક થઇ છે.તો અમદાવાદ AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન.એન. દવેની પણ તાત્કાલિક અસરથી બદલી કરી CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી છે.તો મુખ્યમંત્રીના અધિક જન સંપર્ક અધિકારી તરીકે વરસોથી CMOમાં ફરજનિષ્ઠ હિતેષ પંડ્યાની નિમણૂંક કરવામાં આવી છે.
પહેલેથી જ મુખ્યમંત્રી કાર્યાલયમાં કે.કૈલાશનાથનનો રહ્યો છે દબદબો
આપને જણાવી દઇએ કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળથી જ મુખ્યમંત્રી કાર્યાલયમાં કે.કૈલાશનાથનનો દબદબો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી તેઓ નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ રહ્યા. ત્યારબાદ ઓક્ટોબર 2010થી મે 2013 સુધી ફરી મુખ્યમંત્રી મોદીના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ થઈ અને 31 મે 2013ના રોજ 33 વર્ષની ફરજ બજાવીને સેવાનિવૃત્ત થયા.
નિવૃત્તિ બાદ જૂન 2013થી મે 2014 સુધી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યાલયમાં વિશેષ દરજ્જો ઊભો કરી તેમને પોતાના મુખ્ય અગ્ર સચિવ તરીકે મુકવામાં આવ્યા હતા. આનંદીબેનના કાર્યકાળમાં પણ એક વર્ષ સુધી તેમને સેવા પર ચાલુ રાખવામાં આવ્યા હતા.
આનંદીબેને કૈલાસનાથનને 2015માં આપ્યું એક્સટેન્શન
મે 2015થી ફરી એક વર્ષ માટે આનંદીબેને તેમને એક્સટેન્શન આપ્યું. આનંદીબેનના રાજીનામાં બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેમણે પણ ઓગસ્ટ 2016થી પોતાના કાર્યકાળ સુધી કૈલાસનાથનને પોતાના અગ્ર મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા.
2017ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપનો ભવ્ય વિજય થયો અને ફરી એકવખત વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા. આ સાથે જ તેમણે પોતાના કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે કૈલાસનાથનને બે વર્ષનું એક્સટેન્શન આપ્યુ જે ડિસેમ્બર 2019માં પૂર્ણ થવાનું હતું. આ એક્સટેન્શન પૂર્ણ થાય તે પહેલાં જ વિજય રૂપાણીએ વધુ 2 વર્ષ એટલે કે ડિસેમ્બર 2021 સુધી તેમનો કાર્યકાળ લંબાવી દીધો હતો. ત્યારે હવે આજે પણ તેઓનો કાર્યકાળ લંબાવામાં આવ્યો છે.