દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના ભાઇ અનિલ અંબાણીની નાદાર થઇ ચૂકેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ખરીદવા જઇ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) માટેની સમાધાન યોજના અને રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે.
મુકેશ અંબાણી પોતાના ભાઇ અનિલ અંબાણીની નાદાર થઇ ચૂકેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ખરીદશે
રિલાયન્સ જિઓએ આરકોમના ટાવર અને ફાઇબર બિઝનેસને ખરીદવા માટે રૂ.4,700 કરોડની ઓફર કરી
બેન્કોને આશા છે કે આ પ્લાનથી તેના રૂ.23,000 કરોડ પરત આવી જશે. અહેવાલો અનુસાર મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓએ આરકોમના ટાવર અને ફાઇબર બિઝનેસ (રિલાયન્સ ઇન્ફ્રાટેલ)ને ખરીદવા માટે રૂ.4,700 કરોડની ઓફર કરી છે.
જ્યારે યુવી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીએ આરકોમ અને રિલાયન્સ ટેલિકોમની એસેટ માટે રૂ.14,700 કરોડની બિડ ઓફર કરી છે. આરકોમે બાકી નીકળતા રૂ.4,300 કરોડ ઇન્ડિયન અને ચાઇનીઝ ક્રેડિટર્સને પ્રાથમિકતાના આધારે ચૂકવવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર એસબીઆઇએ આરકોમના રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. રેઝોલ્યુશન પ્લાનને લઇ કમિટી ઓફ ક્રેડિટર્સની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. આરકોમ પર રૂ.33,000 કરોડનું સિક્યોર્ડ દેવું છે અને ધીરધારોએ આ દેવું રૂ.49,000 કરોડ હોવાનો દાવો કર્યો છે.
આરકોમે પોતાની એસેટ વેચીને દેવું ચૂકવવાની કોશિશ કરી હતી. આ માટે અનિલ અંબાણીએ રિલાયન્સ જિઓનો સંપર્ક કર્યો હતો કે જેના માલિક મુકેશ અંબાણી છે, જોકે કેટલાક કારણસર આ ડીલ થઇ શકી નહોતી. ત્યારબાદ રિલાયન્સ જિઓએ આરકોમની એસેટ ખરીદવા નિર્ણય કરી લીધો હતો. કમિટી ઓફ ક્રેડિટર્સની બેઠકમાં આરકોમ સમાધાન યોજનાની તરફેણમાં મતદાન કરાશે અને આ અંગે મતદાન શરૂ થઇ ગયું છે અને આજે તેની પ્રક્રિયા પૂરી થશે.