અનિલ અંબાણી ફરીથી સરકારનું પેમેન્ટ કરવામાં ડિફોલ્ટર બની ગયા છે. તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) ફરી એક વાર ટેલિકોમ ડિપાર્ટમેન્ટને સ્પેક્ટ્રમ પેટે બાકી નીકળતી રૂ. ૪૯૨ કરોડની રકમનું પેમેન્ટ કરવામાં નિષ્ફળ રહી છે. એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર અનિલ અંબાણીની કંપનીએ પેમેન્ટ ચૂકવવામાં સતત ત્રીજી વખત ડિફોલ્ટ કર્યો છે.
બેન્કરપ્સી પ્રોટેક્શન ફાઇલ કરવાનો નિર્ણય કરનાર દેવાંમાં ડૂબેલ ઓપરેટરે જણાવ્યું છે કે એપેલેટના એક આદેશના કારણે તેને પેમેન્ટ કરવું નથી. ટેલિકોમ વિભાગે જણાવ્યું છે કે તે કારણદર્શક નોટિસ આપતાં કે ઓપરેટર્સ પાસેથી સ્પેક્ટ્રમ પરત લેતાં પહેલાં એપેલેટ ટ્રિબ્યૂનલના આદેશની રાહ જોશે.
નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલએટી) ૩૦ એપ્રિલના રોજ આ કેસની સુનાવણી કરશે. ટ્રિબ્યૂનલ એ દિવસે ઇન્સોલ્વન્સી ફાઇલ કરવા માટે આરકોમની અરજી પર પણ વિચારણા કરશે. આ કેસથી માહિતગાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે સરકારને રૂ. ૪૯૨ કરોડનું પેમેન્ટ કરવા માટે આખરી તારીખ ૧૯ એપ્રિલ હતી, જેમાં ૧૦ દિવસના ગ્રેસ પિરિયડનો પણ સમાવેશ થાય છે.
આરકોમ આ અગાઉ ૫ એપ્રિલના રોજ ટેલિકોમ વિભાગને રૂ. ૨૮૧ કરોડ અને ૧૩ માર્ચના રોજ રૂ. ૨૧ કરોડ ચૂકવવામાં પણ નિષ્ફળ રહેલ છે. ભારતીય ટેલિકોમ સેક્ટરની અગ્રણી કંપની પર આજે રૂ. ૪૬ હજાર કરોડનું દેવું છે. માર્ચનું બાકી પેમેન્ટ મુંબઇ સર્કલ માટે હતું. ત્યાર બાદ ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીને કારણદર્શક નોટિસ પણ બજાવી હતી અને તેનું લાઇસન્સ અને સ્પેક્ટ્રમ શા માટે પાછું ખેંચી ન લેવું તે અંગે ખુલાસો કરવા આદેશ કર્યો હતો, પરંતુ એપેલેટ ટ્રિબ્યૂનલે આ નોટિસ સામે સ્ટે આપ્યો હતો.