આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પર જે રીતે 'ચોકર્સ'નું લેબલ લાગેલું છે તેવી જ રીતે IPLમાં RCBની ટીમ પર 'ચોકર્સ'નું ટેગ લાગી ગયું છે.
IPLની ૧૩મી સિઝનમાં પણ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમને નિષ્ફળતા જ મળી. ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કર્યા બાદ પણ ટીમનો અંત નિરાશાજનક રહ્યો. આઇપીએલની ચોકર્સ કહેવાતી RCBનો કેપ્ટન ફરી એક વાર ટીમને ટ્રોફી અપાવવામાં નિષ્ફળ રહ્યો અને હંમેશની માફક મહત્ત્વપૂર્ણ મેચમાં રન બનાવવામાં પણ નિષ્ફળ રહ્યો. સનરાઇઝર્સ હૈદરાબાદે એલિમિનેટરમાં બેંગલુરુને છ વિકેટે હરાવીને બીજા ક્વોલિફાયરમાં સ્થાન મેળવી લીધું.
આ સિઝનમાં RCB સતત પાંચ મેચ હારીને ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ. ગત સિઝનમાં વિરાટસેના પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. IPLની ૧૩મી સિઝનની શરૂઆત પહેલાં વિરાટની ટીમ કોમ્બિનેશનને લઈને આશ્વસ્થ હતી, પરંતુ પરિણામ ફરી એક વાર નિરાશાજનક રહ્યું. આ ૧૩મી સિઝન હતી, જ્યારે ટ્રોફી જીતવાની દાવેદાર તરીકે ઊતરી હતી, પરંતુ ખાલી હાથે પાછી ફરી.
વર્ષ ૨૦૦૮માં બેંગલુરુની ટીમ સાતમા સ્થાને રહીહતી. ૨૦૦૯માં અનિલ કુંબલેની કેપ્ટનશિપમાં ટીમે ફાઇનલ સુધીની સફર ખેડી હતી, પરંતુ ફાઇનલમાં પરાજિત થઈને રનરઅપ તરીકે સંતોષ માનવો પડ્યો હતો. ૨૦૧૦માં ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી, જયારે ૨૦૧૧માં RCBને ફરી એક વાર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૨ અને ૨૦૧૩માં બેંગલુરુની ટીમ પાંચમા સ્થાને રહી હતી.
૨૦૧૪માં ટીમનું પ્રદર્શન વધુ ખરાબ રહ્યું અને સાતમા સ્થાન પર રહી. ૨૦૧૫માં બેંગલુરુએ વાપસી કરતા ક્વોલિફાયર-૨માં સ્થાન મેળવ્યું, પરંતુ અહીં તેને હારનો સામનો કરવો પડ્યો અને ખિતાબ જીતવાનું સપનું ફરી તૂટી ગયું. ૨૦૧૬માં કોહલીની કેપ્ટનશિપવાળી ટીમ ફાઇનલમાં રમી, પરંતુ હૈદરાબાદે તેને હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. ૨૦૧૭ની સિઝન RCB માટે બહુ જ ખરાબ રહી અને ટીમ સૌથી છેલ્લે આઠમા નંબર પર રહી. ત્યાર બાદ ૨૦૧૮માં છઠ્ઠા અને ગત વર્ષે બેંગલુરુની ટીમ સૌથી છેલ્લા એટલે કે આઠમા સ્થાને રહી હતી.