હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં હજુ 2 દિવસ ગરમી યથાવત્ રહેશે, પવનોની દિશા બદલાતા 2 દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.
સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે, સતત ગરમીનું પ્રમાણ વધવાને કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. આકાશમાંથી સુરજદાદા કોપાયમાન થયા હોય અને અગનજ્વાળાઓ વરસાવતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે, ગરમીથી રાહત મેળવવા લોકો છાશ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આવા ધગધગતા તાપમાં લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી છે. હવે તો 42 ડિગ્રી ગરમી જાણે કે સામાન્ય બની ગઈ છે. એક તો ભારે ગરમી ઉપરાંત ભેજ અને તેના કારણે થતાં ઉકળાટથી લોકો પરેશાન થઈ ઊઠ્યા છે. જોકે, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજ વધશે અને તેની સાથે ઉકળાટના પ્રમાણમાં પણ વધારો થશે. એટલે લોકોએ ઉકળાટ સહેવા માટે તૈયાર રહેવું પડશે. ગરમીને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં હજુ 2 દિવસ ગરમી યથાવત્ રહેશે. પવનોની દિશા બદલાતા 3 દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.
આતંકીઓની નજર ગુજરાત પર હોવાનો મોટો પર્દાફાશ થયો છે. કારણ કે, ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથને ઝડપી પાડ્યું છે. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી આરોપીને કોર્ટેમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે મેટ્રો કોર્ટ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.ATSએ આરોપી મહોમ્મદ સોજીબને ઝડપ્યો હતો અને જેને કોર્ટમા રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અત્રે તમને જણાવી દઈએ કે, 30મી મે સુધી આરોપીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. આતંકવાદી સંગઠન અલ કાયદાને લગતું સાહિત્ય પણ તેની પાસેથી મળ્યું છે તેમજ બાંગ્લાદેશી ચલણ પણ આરોપી પાસેથી કબજે લેવાયું છે. ઉલ્લેખનીય છે કે, આરોપી પાસેથી બોગસ આધારકાર્ડ તથા પાનકાર્ડ મળ્યા છે. બાંગ્લાદેશી નાગરિક અબ્દુલ લતીફ ઉર્ફે મોમીન ઉલ અન્સારીની શોધખોળ કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે, અન્ય કેટલાક લોકો પણ ATSની કસ્ટડીમાં છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા. વિદેશમાંથી આતંકવાદી ભંડોળ એકત્ર કરવાના પુરાવા પણ મળ્યા છે. આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાતમાં આતંકી હુમલાના ષડયંત્ર અંગે જેવા જ ઈનપુટ મળ્યા કે, ગુજરાત ATSએ એક્શન મોડમાં આવી ગઈ હતી.
પરિવર્તન સંસારનો નિયમ છે એવો ભગવદ ગીતાનો સાર છે, આ સારને વ્યક્તિ કે સમાજ જેટલો જલ્દી સમજે એ તેના જ હિતમાં છે. ગુજરાતમાં 42 લેઉવા પાટીદાર સમાજે સમાજમાં સુધારો લાવવા બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓ બંધ કરાવવા માટે પહેલ કરી છે. ગુજરાતમાં આવું પહેલીવાર નથી થયું કે કોઈ સમાજે આવી સમાજમાં સુધારો લાવવા માટે પહેલ કરી હોય. આ પહેલા પણ ઠાકોર સમાજ, કડવા પાટીદાર સમાજ, ચૌધરી સમાજ સહિતના અનેક સમાજ છે. જેમણે પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ, બિનજરૂરી પ્રથાઓ સામે કાંપ મુક્યો છે. હવે આમાં 42 લેઉવા પાટીદાર સમાજનું નામ ઉમેરાયું છે.42 લેઉઆ પાટીદાર સમાજની બહેનોએ બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓ બંધ કરાવવા માટેની પહેલ કરી છે. 42 લેઉવા પાટીદાર સમાજની બહેનોએ લગ્ન પ્રસંગમાં થતાં ખોટા ખર્ચા અટકાવવાનો નિર્ણય લીધો છે. જે મુજબ પ્રિ-વેડિંગ શૂટ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ પ્રથા બંધ કરાશે. આ ચળવળમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યની મહિલાઓ પણ જોડાઈ છે. 28 મેના રોજ પાટણમાં સભા યોજી સમાજ સુધારા ચળવળ અંગે અંદાજે 3 હજાર બહેનો શપથ લેશે. 65 વર્ષ પછી બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનો નવું બંધારણ તૈયાર કરશે.
ગુજરાતમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. દરરોજ વધતી મોંઘવારીની વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલના ભાવમાં એક અઠવાડીયામાં 50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો આજનો ભાવ 2750-2850 રૂપિયા છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1520-1600 બોલાઈ રહ્યો છે.સિંગતેલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો જોવા મળતો હતો પરંતુ તેજ ગતિ થતાં વધારા વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. થોડા દિવસ પહેલા ફક્ત 3 દિવસમા સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.100નો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલાઈ ગયો હતો. પરંતુ આંશિક ભાવ ઘટાડો થતાં ગૃહીણીઓમાં થોડી રાહત થઈ છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ગોઝારી દુર્ઘટના ઘટી છે. ગોંડલના વાસાવડ ગામ ખાતે આવેલી નદીમાં ન્હાવા પડેલા બે પિતરાઇ ભાઇઓના મોતથી સમગ્ર પંથકમાં એરેરાટી વ્યાપી છે. બંને પિતરાઈ ભાઈઓ નદીમાં ન્હાવા માટે કૂદ્યા હતા. જોકે, તેઓ અચાનક બંને ડૂબી ગયા હતા. હાલ સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેના મૃતદેહ નદીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર, ગોંડલના વાસાવડ ગામે રહેતા યાસીન મજીદ બાવનકા (ઉં.વ 15) અને મોહીન રજાક કારવા (ઉં.વ 11) ગઈકાલે વાસાવડી નદીમાં ન્હાવા ગયા હતા. નદીમાં ભરેલા પાણીના ખાડામાં આ બંન્ને બાળકો ન્હાવા માટે કૂદ્યા હતા. જોકે, અચાનક બંને પાણીમાં ડૂબી ગયા હતા. લાંબા સમય સુધી બંને બાળકો ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.
રાજ્યમાં હજારોની સંખ્યામાં ખાનગી ધોરણે મંજૂરી વિના પ્રિ-પ્રાયમરી સ્કૂલો નર્સરી, સિનયર, જુનિયર કેજી, બાલ વાટીકા ધમધમી રહી છે. ત્યારે પ્રિ-પ્રાયમરી સ્કૂલને લઈને રાજ્ય સરકારે નવી પોલિસી બનાવી છે. જે મુજબ રાજ્યમાં હવે પ્રિ-પ્રાયમરી સ્કૂલનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે સરકારમાં 5 હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી પણ ચૂકવવી પડશે.રાજ્ય સરકારની નવી પોલિસીમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રામ વિસ્તારમાં આવેલી પ્રિ-પ્રાયમરી સ્કૂલોનું સંચાલન જિલ્લા શિક્ષણ અધિકારી અને મનપા-નગરપાલિકા વિસ્તારમાં આવેલી નર્સરી, સિનયર, જુનિયર કેજીનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરશે.વર્તમાન સમયમાં જે ખાનગી સંસ્થાઓ આ પ્રકારની સ્કૂલો ચલાવે છે, જે નોન ગ્રાન્ટેડ છે તેવી સંસ્થાઓએ એક વર્ષમાં નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ઉપરાંત કોઈ નવી સંસ્થા પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી પાસે નોંધણી કરાવ્યા વિના શરૂ થઈ શકશે નહીં.
કચ્છના ગાંધીધામમાં વધુ એક આંગડિયા પેઢીમાં લૂંટ થયાની ઘટના સામે આવી છે. PM આંગડિયા પેઢીમાં અંદાજે 1 કરોડની લૂંટ કરી 4 શખ્સો ફરાર થયાની વિગતો છે. અત્રે તમને જણાવી દઈએ કે, હેલ્મેટ પહેરીને આવેલા શખ્સોએ લૂંટને અંજામ આપ્યો છે. જો કે, ગાંધીધામ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.પાપ્ત વિગતો મુજબ જવાહર ચોકમાં ખન્ના માક્રેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઇઝ આંગડિયામાં લૂંટ ચલાવી છે. જ્યાં ભર બપોરે 4 લૂંટારૂઓ હેલ્મેટ પહેરીને આવી ગયા હતા અને લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓએ પિસ્તાલ બતાવી લગભગ 1 કરોડ લઈ ફરાર થયા છે. જે મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો ગચો અને તપાસ હાથ ધરી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 22, 2023
પાટણના સિદ્ધપુર નગરપાલિકાની પાણી પાઇપલાઇનમાંથી માનવ અવશેષ મળવા મામલે મોટો ખુલાસો થયો છે. જે માનવ અવશેષ સિદ્ધપુરમાંથી ગુમ થયેલી લવિના નામની યુવતીના હોવાનું સામે આવ્યું છે. પાણી પાઇપલાઇનમાંથી મળેલા માનવ અવશેષોનું DNA પરથી ખુલાસો થયો છે કે, તે અવશેષો લવિના હરવાણીના છે, ગુમ થયેલી યુવતીના માતા પિતાના ડીએનએ રિપોર્ટ કરવામાં આવતા સમગ્ર કેસ ઉકેલાયો છે.લવિના પાંચ દિવસ પહેલા ગુમ થયાની વિગતો છે, સુદ્ધપુરમાં રહેતી લવિનાના 12 મેના રોજ લગ્ન હતાં, જો કે, 7 મેના રોજ તે ગુરૂદ્વારા જવાનું કહી ઘરેથી નીકળી હતી ત્યારબાદ તે ઘરે પરત ફરી ન હતી. જે મામલે ગુમ થયાની પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. જો કે, બાદમાં પાણીની પાઈપ લાઈનમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા હતાં. જે મામલે પોલીસને આશંકા જતા તે દિશામાં તપાસ હાથ ધરી હતી. અત્રે તમને જણાવી દઈએ કે, પોલીસના હાથે સીસીટીવી લાગ્યા છે જેમાં તે પાણીની ટાંકી તરફ જઈ રહી હતી તેમજ તે દિશામાંથી પોલીસને દુપટ્ટો પણ મળી આવ્યો હતો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 22, 2023
2000 રૂપિયાની નોટ પાછી લેવાની જાહેરાત પછી લોકોમાં ચિંતા છવાઈ છે કે હવે આ નોટનું શું કરવું જોકે નોટ બદલવા માટે લોકોને 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આરબીઆઇએ સ્પષ્ટ કરી દીધું છે કે 2000 રૂપિયાની નોટને લઇને ગભરાવાની જરૂર નથી. હવે તમે બેંકમાં 2000ની નોટ બદલી શકો છો, સાથે જ તમે કોઇ પણ દુકાન પર જઇને સરળતાથી નોટથી સામાન ખરીદી શકો છો કારણ કે કોઇ પણ દુકાનદાર આ નોટ લેવાની ના પાડી શકે નહીં.આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ લાવવાનો હેતુ પૂરો થયો છે. આવી વ્યવસ્થા હેઠળ 2000 રૂપિયાની નોટ બદલીને જમા કરાવવામાં આવશે. આ માટે બેંકોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તમે દુકાનમાં જઈને સરળતાથી 2000ની નોટથી સામાન ખરીદી શકો છો.રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, નોટબંધી બાદ પાછી ખેંચવામાં આવેલી નોટોની ભરપાઇ માટે મુખ્યત્વે 2000 રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. આ પછી હવે આ નોટોને ચલણમાંથી બહાર કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, 2000 રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે અને 2023 સપ્ટેમ્બર સુધી સરળતાથી બેંકોમાં જમા અને બદલી શકાશે.
VIDEO | "We are withdrawing the Rs 2,000 currency notes from circulation but they continue to be legal tender," says RBI Governor Shaktikanta Das. pic.twitter.com/xAZfKNibql
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પાપુઆ ન્યૂ ગિની અને ફીઝીના પ્રવાસે છે. આ દિવસોમાં દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ઘણા દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે અને આ પ્રક્રિયા ચાલી રહી છે. પાપુઆ ન્યુ ગિની અને ફિજી બંનેએ PM મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. ફિજીએ PM મોદીને 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી' થી સન્માનિત કર્યા છે, જ્યારે યજમાન દેશ પાપુઆ ન્યુ ગિનીએ PM મોદીને તેના સર્વોચ્ચ સન્માન 'ધ ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ'થી નવાજ્યા છે.પીએમ મોદી જાપાનથી સીધા પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા છે. આજે તેમણે ત્યાં ત્રીજા ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન (FIPIC) સમિટમાં હાજરી આપી હતી. પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મરાપે સાથે કોન્ફરન્સની સહ-અધ્યક્ષતા કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જેમ્સ મારાપે ભારતને વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ શકે છે.
તાજેતરમાં પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં માર્યા ગયેલા કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદની હત્યામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્વોઈનું નામ ખુલ્યું છે. એનઆઈએ પૂછપરછમાં લોરેન્સ બિશ્વોઈએ જણાવ્યું કે તેણે 2021માં અમેરિકાથી ગોલ્ડ બરાર દ્વારા ગોગી ગેંગને 2 જિગાના પિસ્તોલ આપી હતી. અતીકને મારનાર ત્રણેય શૂટર્સે પણ યુપી પોલીસ સામે કબૂલ્યું હતું કે તેમણે જિગાના પિસ્તોલ ગોગી ગેંગ પાસેથી મળી હતી.
ભારતીય કુશ્તી સંઘનાં અધ્યક્ષ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણસિંહે રવિવારે ખાપ પંચાયતનાં વિવાદિત નિવેદન બાદ ચેલેન્જ આપતાં કહ્યું કે 'હું પોતાનો નાર્કો ટેસ્ટ, પોલિગ્રાફી ટેસ્ટ કે લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું પણ મારી એક શરત છે, મારી સાથે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાનાં પણ ટેસ્ટ થવા જોઈએ.' આ તરફ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કુસ્તીબાજોએ સોમવારે બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ દ્વારા નાર્કો ટેસ્ટની ચેલેન્જ સ્વીકારી છે. દિલ્હી જંતર મંતર પર બેઠેલા કુસ્તીબાજોએ બૃજભૂષણ શરણ સિંહની નાર્કો ટેસ્ટની ચેલેન્જ સ્વીકારી છે. કુસ્તીબાજોએ સોમવારે બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ દ્વારા નાર્કો ટેસ્ટની ચેલેન્જ સ્વીકારી હતી. બજરંગ પુનિયાએ કહ્યું કે, અમે બધા કોઈપણ પરીક્ષણ માટે તૈયાર છીએ, પરંતુ તે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવું જોઈએ. નાર્કો ટેસ્ટ લાઈવ હોવો જોઈએ જેથી આખો દેશ સવાલ-જવાબ સાંભળે.