એક રિપોર્ટમાં રિઝર્વ બેન્કનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2018-19માં બેન્કોને 71500 કરોડ રૂપિયાનો ચૂનો લાગવતા 6800થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા નાણાકીય વર્ષ 2017-18 માં 41167.03 કરોડ રૂપિયાના 5916 કેસ સામે આવ્યા હતા.
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ સૂચના અધિકારના કાનૂન હેઠળ પૂછવામાં આવેલા એક સવાલમાં કહ્યું, કોમર્શિયલ બેન્કો અને કેટલીક નાણા સંસ્થાઓએ 71542.93 કરોડ રૂપિયાની છેતરપિંડીના 6801 મામલાની સૂચના આપી છે. કેન્દ્રીય બેન્કે જણાવ્યું કે છેતરપિંડીની આ રકમમાં 73 ટકાનો વધારો નોંધાયો છે.
આરબીઆઇના આંકડાઓ મુજબ ગત 11 નાણાકીય વર્ષોમાં 2.05 લાખ કરોડ રૂપિયા જેટલી મોટી રકમના બેન્કિંગ ફ્રોડના 53334 કેસ નોંધાયા હતા. આ પહેલા 2008-09માં 1860.09 કરોડ રૂપિયાના 4372 મામલા સામે આવ્યા હતા. ત્યારબાદ 2009-10માં 1998.94 કરોડ રૂપિયાના 4669 મામલા નોંધવામાં આવ્યા હતા. 2015-16 અને 2016-17માં ક્રમશ 18698.82 કરોડ રૂપિયા અને 23933.85 કરોડ રૂપિયા મુલ્યના 4693 અને 5076 મામલા સામે આવ્યા હતા.
કેન્દ્રીય બેન્કનું કહેવું છે કે, 'આરબીઆઇને છેતરપિંડીને લઇને પ્રાપ્ત જાણકારીને લઇને બેન્કો દ્વારા લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સમક્ષ ફરિયાદ નોંધાવવી આવશ્યક છે. કાર્યવાહીને લઇને હજુ સુધી કોઇ સૂચનાા ઉપલબ્ધ નથી.' આ આંકડા દર્શાવી રહ્યા છે કે બેન્ક છેતરપિંડીના ઘણા મોટા મામલાનો સામનો કરી રહી છે. તેમા ભાગેડૂ વેપારી નીરવ મોદી અને દારુના વેપારી વિજય માલ્યા પણ સામેલ છે.