આરબીઆઈએ માઈક્રોફાઈનાન્સ કંપનીઓને સૂચના આપી છે કે તેઓ અમુક શરતો સાથે લોનનો વ્યાજ દર નક્કી કરી શકે છે, પરંતુ ગ્રાહકો પાસેથી વધુ વ્યાજ વસૂલ કરી શકશે નહીં.
લોનના નિયમો અંગે RBIની ગાઈડલાઈન
RBIએ લોનના નિયમોમાં કર્યા આ ફેરફાર
જેની તમારા ઉપર થશે સીધી અસર
RBI એ માઈક્રો ફાઈનાન્સ કંપનીઓથી લોન લીધા અથવા લેનાર ગ્રાહકોને મોટી રાહત આપી છે. માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ તેમના ગ્રાહકો પાસેથી મનમાની કરીને વ્યાજ વસૂલ કરે છે, તેથી આરબીઆઇએ માઇક્રોફાઇનાન્સ કંપનીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ લોનના વ્યાજ દરને શરતો સાથે નક્કી કરી શકશે પરંતુ ગ્રાહકો પાસેથી વધુ વ્યાજ વસૂલી શકે નહીં. કારણ કે આ ફી અને દર કેન્દ્રીય બેંકની દેખરેખ હેઠળ હશે.
RBIએ આ કંપનીઓને સૂચના આપી છે, આવા ગ્રાહકો જેમની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા સુધી છે, તેવા પરિવારોને કોઈપણ ગેરંટી વિના લોન આપવી પડશે. અગાઉ આ લોન મર્યાદા ગ્રામીણ ધિરાણકર્તાઓ માટે 1.2 લાખ રૂપિયા અને શહેરી ધિરાણકર્તાઓ માટે 2 લાખ રૂપિયા હતી. તમને જણાવી દઈએ કે RBIનો આ નવો નિયમ 1 એપ્રિલ 2022થી લાગુ થશે.
કંપનીઓ પોતાની ઈચ્છા અનુસાર વ્યાજ નહીં વસૂલી શકે
આરબીઆઈએ આ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નિર્દેશ અનુસાર, 'માઈક્રો ફાઈનાન્સ કંપનીઓએ લોન સંબંધિત ચાર્જિસની મર્યાદા નક્કી કરવી પડશે. એટલે કે, આ કંપનીઓ ગ્રાહકો પાસેથી પોતાની મરજી પ્રમાણે વ્યાજ વસૂલી શકશે નહીં.
આ સાથે તમામ રેગ્યુલર એકમોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂર કરાયેલ નીતિનો અમલ કરવો જોઈએ. આમાં, માઇક્રો ફાઇનાન્સ લોનની કિંમત, કવર, વ્યાજ દરની મર્યાદા અને અન્ય તમામ શુલ્ક વિશે સ્પષ્ટતા લાવવાની રહેશે.'
આ સ્થિતિમાં નહીં વસુલવામાં આવે કોઈ દંડ
આરબીઆઈએ નિર્ધારિત સમય પહેલા લોનની ચુકવણી કરનારા ગ્રાહકો માટે આ માર્ગદર્શિકામાં કહ્યું છે, 'દરેક રેગુલર એકમોને એક સંભવિત ઋણ લેનાર વિશેની કિંમત સંબંધિત માહિતી એક ફેક્ટશીટના રૂપમાં આપવી પડશે.
જો ઉધાર લેનાર તેમની લોન સમય પહેલા ચૂકવવા માંગે છે, તો તેના પર કોઈ દંડ લગાવવામાં ન આવવો જોઈએ. જો હપ્તાની ચુકવણીમાં મોડુ થાય છે, તો માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ ગ્રાહક પર દંડ લગાવી શકે છે પરંતુ તે પણ સમગ્ર લોનની રકમ પર નહીં પરંતુ માત્ર બાકી રકમ પર.
સરળ ભાષામાં હોવો જોઈએ લોન કરાર
આ સાથે RBIએ કહ્યું છે કે જો કોઈએ લોન લીધી હોય, તો માઇક્રોફાઇનાન્સ કંપનીઓ લોનની ચુકવણી માટે તેની માસિક આવકના મહત્તમ 50 ટકા જ લોન રિપેમેન્ટ નક્કી કરી શકે છે. તેનાથી ગ્રાહકો પર વધુ બોજ નહીં વધે. માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ અને ગ્રાહક વચ્ચેનો કરાર પણ એવી ભાષામાં હોવો જોઈએ કે જે લોન લેનાર સરળતાથી સમજી શકે.