છેલ્લાં ઘણા દિવસોથી ભારતીય રિઝર્વ બેંકે તેના દિશા-નિર્દેશોનું પાલન નહીં કરનારી બેંકો સામે કડક વલણ અખત્યાર કર્યુ છે. માર્ચમાં આરબીઆઈએ 8 બેંકો પર અનિયમિતતા દાખવતા દંડ ફટકાર્યો હતો. હવે રિઝર્વ બેંકે બેંગલુરૂ સ્થિત એક બેંક પર કડક પ્રતિબંધ લગાવ્યાં છે.
RBIએ તેના દિશા-નિર્દેશોનું પાલન ન કરનારી બેંકો સામે કડક વલણ અપનાવ્યું
RBIએ 8 બેંકો પર અનિયમિતતા દાખવતા દંડ ફટકાર્યો હતો
કેન્દ્રીય બેંકે લોન આપવા અને રૂપિયા જમા કરાવવા પર પ્રતિબંધ લગાવ્યો
છ મહિના માટે લગાવ્યો પ્રતિબંધ
રિઝર્વ બેંકના આદેશ બાદ હવે બેંગલુરૂ સ્થિત કો-ઑપરેટિવ બેંક શુશ્રુતિ સૌહાર્દ સહકારા નિયમિતા બેંકમાંથી તેના ગ્રાહક 5000 રૂપિયાથી વધુ નિકાળી શકશે નહીં. એટલું જ નહીં, કેન્દ્રીય બેંકે આ બેંકને લોન આપવા અને રૂપિયા જમા કરાવવા પર પણ આગામી આદેશો સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. રિઝર્વ બેંકના આ પ્રતિબંધોથી બેંકના ગ્રાહકોને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડશે. તો ગ્રાહકોના મનમાં બેંકમાં જમા પોતાના પૈસાના ભવિષ્યને લઇને ચિંતા થશે. આરબીઆઈ તરફથી જાહેર થયેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેંકના બધા સેવિંગ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ અથવા કોઈ થાપણદારોના કોઈ પણ બીજા ખાતામાંથી કુલ રકમમાંથી 5000 રૂપિયાથી વધુની રકમ નિકાળવાની મંજૂરી ના આપી શકાય. રિઝર્વ બેંકને બેંકની આ નાણાંકીય સ્થિતિમાં સુધાર થાય ત્યાં સુધી પ્રતિબંધોની સાથે બેન્કિંગ કાર્ય કરવાની મંજૂરી આપી છે. જો કે, આ પ્રતિબંધ છ મહિના માટે લગાવવામાં આવ્યો છે.
રિઝર્વ બેંકે પહેલા પણ કરી છે કાર્યવાહી
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ પાંચ એપ્રિલે ત્રણ કો-ઓપરેટિવ બેંકો પર નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દંડ ફટકાર્યો હતો. જો કે, આ બેંકો પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. આ ત્રણ બેંકો પર 5 લાખ રૂપિયાનો દંડ રિઝર્વ બેંકે કર્યો હતો. જે બેંકો પર દંડ લગાવવામાં આવ્યો છે, તેમાં બે બેંક મહારાષ્ટ્રની તથા એક પશ્ચિમ બંગાળની હતી. માર્ચમાં પણ રિઝર્વ બેંકે 8 બેંકો પર નિયમોનું પાલન ના કરતા દંડ ફટકાર્યો હતો.