દિલ્હી: સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે નવી માહિતી સામે આવી છે. RBIના ગવર્નર ઉર્જિત પટેલે પાછલા સપ્તાહે એટલે કે 9 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મજુબ શુક્રવારે ઉર્જિત પટેલ દિલ્હીમાં હતા અને પી.એમ.ઓ. કાર્યાલયમાં અનેક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી. છેલ્લા કેટલાક સમયથી સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આશા છે કે પટેલ અને પીએમ મોદીની મુલાકાતનો હેતુ વિવાદનો અંત આણવાનો હોઈ શકે છે.
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને લોન આપવા માટે ખાસ વ્યવસ્થાનો સંકેત મળ્યા છે. પરંતુ હજુ સુધી આ વાત સ્પષ્ટ થઈ શકી નથી. આ વિવાદ વચ્ચે નાણા મંત્રાલયે રિઝર્વ બેંક કાયદાની કલમ 7 હેઠળ વિચાર વિમર્શ શરૂ કર્યો છે.
આ કલમ મુજબ સરકારને જનહિતના મુદ્દે રિઝર્વ બેંકના ગવર્નરને આદેશ આપવાનો અધિકાર આપે છે. રિઝર્વ બેંક પાસે 9.59 લાખ કરોડ રૂપિયાની જમા પૂંજીનો ભંડાર છે. જો આ વાત સાચી હશે તો સરકાર આ રાશિનો એક તૃત્યાંશ ભાગ બઝારમાં રોકાણ કરી શકે છે. સાથે સાથે સરાકારે વાણિજ્ય ક્ષેત્રની નબળી બેંકો પર લાગેલી પાબંદીઓમાં ઢીલ આપવાની પણ માગ કરી છે.